Saturday, June 29, 2024
More
    હોમપેજદેશરાફા પર આંખો પહોળી કરીને બેસેલા 'લાગણીશીલ' વ્યક્તિઓની આંખો 'રિયાસી આતંકી હુમલા'...

    રાફા પર આંખો પહોળી કરીને બેસેલા ‘લાગણીશીલ’ વ્યક્તિઓની આંખો ‘રિયાસી આતંકી હુમલા’ પર કેમ રહી બંધ?: ઇસ્લામિક આતંકવાદ સામે બૉલીવુડ-લેફ્ટ લિબરલોનું આ બેવડું વલણ શું દર્શાવે છે?

    અહીં મૂળ વાત છે બૉલીવુડ ગેંગ અને લેફ્ટ-લિબારલોના સિલેક્ટિવ સપોર્ટની. આ ઘટના તે વાતની સાબિતી છે કે વામપંથી અને માનવાધિકારના ઝંડા લઈને ફરતી ટોળકીને ક્યારેય માનવતાવાદ સાથે કશું જ નથી લાગતું વળગતું. એક ચોક્કસ સમય અને પરિસ્થિતિમાં ફૂટી નીકળતા આ લોકો માત્ર પોતાનો જ એક એજન્ડા સેટ કરવા માટે હોહા કરતા રહે છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં 10 હિંદુ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ ઇસ્લામિક બર્બરતામાં કેટલાક બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. પરતું અત્યાર સુધીમાં કોઈપણ ‘All Eyes On Rafah’વાળી ગેંગે આતંકી હુમલા પર પ્રતિક્રિયા નથી આપી. આ ઘટનાએ બૉલીવુડ અને લેફ્ટ ઇકોસિસ્ટમના બેવડા વલણને ઉજાગર કર્યું છે. તમામ લોકો જાણે છે કે, ઇઝરાયેલના હુમલા બાદ રાફાના લોકો માટે ભારોભાર સંવેદના વ્યક્ત કરતાં તુચ્છ કક્ષાના કલાકારો પોતાના જ દેશમાં થયેલા મોતના તાંડવ પર મૌન ધારણ કરીને બેઠા છે. શા માટે તેમને ભારતના બાળકો પ્રત્યે સંવેદના નથી? ભારતથી 40000 કિલોમીટર દૂર બનેલી ઘટના પર તેમણે આખું સોશિયલ મીડિયા માથા પર લીધું હતું, જ્યારે કાશ્મીરની ઘટના પર તેમણે દુઃખ પણ વ્યક્ત નથી કર્યું.

    બૉલીવુડ અભિનેતાઓ-અભિનેત્રીઓ અને લેફ્ટ ગેંગના ‘ક્રાંતિકારી’ સિપાહીઓ માટે ભારતીય બાળકોના જિંદગીનું મૂલ્ય એટલું હિન છે કે, તેઓ સંવેદના પણ વ્યક્ત ન કરી શક્યા? ગાઝામાં બનેલી ઘટનાથી તેમની અંદર રહેલી માનવતા જાગૃત થઈ ગઈ. પરંતુ ભારતની ઘટના પર તેમને લેશમાત્ર ફેર નથી પડ્યો. એક આખી ઇકોસિસ્ટમ ભયાનક દુર્ઘટના માટે સંપૂર્ણપણે મૌન ધારણ કરીને બેઠી રહી એ ગંભીર બાબત છે. ‘All Eyes On Rafah’ હેશટેગ સાથે આખું કેમ્પેઇન ચલાવ્યું અને હિંદુઓ માટે માત્ર અસાધારણ મૌન. માત્ર આ એક જ ઘટના નહીં, પરંતુ દેશમાં ઇસ્લાઇમ આતંકવાદને લઈને બનતી તમામ ઘટનાઓ પર આ ગેંગ ચૂપ રહે છે.

    રિયાસીમાં આતંકી હુમલાની ઘટના બની, તેવી જ ઘટના ગાઝામાં ઇઝરાયેલ દ્વારા ઘટી હોત તો લેફ્ટ ઇકોસિસ્ટમે આખો દેશ માથે લીધો હોત. વિપક્ષી પાર્ટીઓ, વામપંથી ટોળકી અને બોલીવુડની ‘સેલેબ્રિટી’ઓ તો ઠીક તથાકથિત ‘માનવતાવાદી’ સંસ્થાઓ પણ આ મામલે મૌન જોવા મળી રહી છે. રિયાસીની ઘટના પર યુટ્યુબ પત્રકારો, વામપંથી મીડિયા, નેતાઓ અને તથાકથિત એક્ટિવિસ્ટો પણ ચૂપ રહ્યા છે. આ એ જ લોકો છે, જેમણે ગાઝા માટે રાડારાડ કરી હતી. ભારતથી હજારો કિલોમીટર દૂર ઘટેલી એક ઘટનાથી તેમની અંતરાત્મા જાગી ગઈ હતી. તે ઘટનાનો ભારત સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં એક વિશેષ સમુદાયને ‘લાચાર’ અને ‘શોષિત’ દર્શાવવા માટે આખું કેમ્પેઇન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. હવે તે જ લોકો હિંદુ શ્રદ્ધાળુઓની મોત પર ચૂપ છે.

    - Advertisement -

    બૉલીવુડ અને લેફ્ટ-લિબરલોનો સિલેક્ટિવ સપોર્ટ

    અહીં મૂળ વાત છે બૉલીવુડ ગેંગ અને લેફ્ટ-લિબારલોના સિલેક્ટિવ સપોર્ટની. ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ પર આ ગેંગે માત્ર એક જ કાર્ય કર્યું હતું, તે પણ મૌન ધારણ કરીને મુકદર્શક બની જોતાં રહેવાનું. રાજસ્થાનમાં ઇસ્લામિક જેહાદીઓ દ્વારા થયેલી કન્હૈયાલાલની હત્યા મામલે પણ આ કથિત એક્ટિવિસ્ટો અને બૉલીવુડ ગેંગના સભ્યોએ એકપણ શબ્દ કહ્યો નહોતો. નૂંહમાં હિંદુઓની થયેલી હત્યા સમયે પણ બોલીવુડે આંખ આડા કાન કર્યા હતા. બોલીવુડ હજારો કિલોમીટર દૂર રાફા સુધી પહોંચી ગયું, ભારતને રાફા કે ગાઝા સાથે સ્નાન-સૂતકનોય વ્યવહાર ન હોવા છતાં સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી દેવામાં આવ્યાં ને રાડારાડ કરી મૂકવામાં આવી. પરંતુ રિયાસીની આતંકી ઘટના માટે એકપણ બૉલીવુડ કલાકાર દુઃખ વ્યક્ત કરવા માટે ના આવ્યો!

    ભૂતકાળમાં પણ આપણે નજર કરીએ તો જોઈ શકાય છે કે, તેવી તમામ ઘટનાઓમાં કે જેમાં હિંદુઓ સાથે અત્યાચાર થયા છે, તેમાં લેફ્ટ ગેંગ અને બૉલીવુડ કલાકારો મૌન રહ્યા છે. આ તો માત્ર તાજેતરની એક જ ઘટના છે, તે પહેલાં તમામ ઘટનાઓમાં આ કથિત ક્રાંતિકારી લોકોએ દુઃખ વ્યક્ત કર્યું નહોતું. આ ઘટનાઓ તે વાતની સાબિતી છે કે વામપંથી અને માનવાધિકારના ઝંડા લઈને ફરતી ટોળકીને ક્યારેય માનવતાવાદ સાથે કશું જ નથી લાગતું વળગતું. એક ચોક્કસ સમય અને પરિસ્થિતિમાં ફૂટી નીકળતા આ લોકો માત્ર પોતાનો જ એક એજન્ડા સેટ કરવા માટે હોહા કરતા રહે છે. આવા લોકો પીડિત કે આરોપીની વિચારધારા, ઘટના જે રાજ્યમાં બની છે ત્યાંની સરકાર, ધર્મ-મઝહબ અને આવા અનેક પાસાં જોઇને નક્કી કરે છે કે બોલવું કે નહીં.

    રિયાસીની ઘટનામાં પણ એવું જ બન્યું છે. અહીં પીડિત હિંદુ શ્રદ્ધાળુઓ છે અને આરોપી ઇસ્લાઇમ આતંકવાદ છે. તેવામાં બૉલીવુડ અને લેફ્ટ ગેંગના કથિત ‘માનવતાવાદી’ લોકો આ ઘટનામાં અસાધારણ મૌન સેવીને બેસી રહે તે સ્વાભાવિક છે. કારણ કે, અહીં બોલવું તેમના એજન્ડા વિરુદ્ધ છે. તે જ જગ્યાએ કોઈ મુસ્લિમ સાથે અત્યાચાર થયો હશે તો આ જ લોકો સોશિયલ મીડિયા પર રાડારાડ કરવા લાગશે અને આખો દેશ માથે લઈને કકળાટ કરવા લાગશે.

    આ બધી ઘટનાઓ અને બૉલીવુડ, લેફ્ટ-લિબરલોના સિલેક્ટિવ સપોર્ટને જોતાં અમુક પ્રશ્નો ચોક્કસ થાય છે કે, આ ગેંગ ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ શા માટે એકપણ શબ્દ નથી બોલી શકતી? શા માટે તેઓ મૌન ધારણ કરીને બેસી રહે છે? ઇસ્લામિક આતંકવાદ માટે તેમનું આ મૌન શું દર્શાવે છે? શું હિંદુઓ આ ગેંગના દુશ્મન છે? ઇસ્લામિક આતંકવાદ સાથે તે લોકોને શું સંબંધ છે? માત્ર એટલું જ નહીં, પરંતુ આ ગેંગને દૂરસુદૂર પેલેસ્ટાઇનમાં બનેલી ઘટના નરી આંખે દેખાઈ આવે છે, પરંતુ ભારતમાં ઘટેલી ઘટના પર તેમની આંખ બંધ થઈ જાય છે. કારણ માત્ર એટલું જ છે કે, રાફામાં બનેલી ઘટનામાં ઇઝરાયેલને રાક્ષસ ચિતરવું હતું અને મુસ્લિમોને પીડિત અને લાચાર દર્શાવવા હતા. જ્યારે રિયાસીમાં બનેલી આતંકી હુમલાની ઘટનામાં તો મુસ્લિમ આતંકીઓ આરોપી છે અને હિંદુઓ પીડિત છે. તેથી આવી ઘટનાઓ બૉલીવુડ અને લેફ્ટ ઇકોસિસ્ટમના એજન્ડામાં સેટ થઈ શકે નહીં.

    બીજી મહત્વની વાત તો એ છે કે, પેલેસ્ટિયન લોકો પ્રત્યેની સંવેદનાના કારણે બૉલીવુડ અને લેફ્ટ ઇકોસિસ્ટમની આ ગેંગ છેક રાફા સુધી પહોંચી ગઈ હતી અને ભારતમાં બેસીને રાફાના લોકોની ચિંતામાં જોતરાઈ ગઈ હતી. પરંતુ નજીકના પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતી કોમો પર થઈ રહેલા અત્યાચારો પર તેમની સંવેદના મરી પરવારી છે. હજારો કિલોમીટર દૂરના લોકોની ચિંતા કરતી આ ગેંગ પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિને લઈને પણ ક્યારેય કશું બોલી નથી.

    ટૂંકમાં આ આખી ગેંગ અમુક ચોક્કસ સમુદાય, ચોક્કસ વિચારધારા અને પીડિત તથા આરોપીઓના ધર્મ અને મઝહબને જોઈને જ નક્કી કરે છે કે, ઘટનામાં બોલવું જોઈએ કે નહીં. તેથી જ તો દુનિયાના કોઈપણ ખૂણે એક ચોક્કસ સમુદાયના કોઈ વ્યક્તિ પર અત્યાચાર થાય તો આ આખી ગેંગ ભારતમાં રોદણાં રડવા લાગે છે અને સોશિયલ મીડિયા માથા પર લઈ લે છે. પણ તે જ ગેંગ અન્ય કોઈ ચોક્કસ ધર્મના પીડિત માટે મૌન ધારણ કરીને બેસી રહે છે.

    બૉલીવુડ હોય કે લેફ્ટ લિબરલ્સ, તેમની આ હરકત આજકાલની નથી, પરંતુ વર્ષોથી તે આવી રીતે જ પોતાનો એજન્ડા સેટ કરે છે અને એજન્ડા અનુરૂપ ઘટના પર હાથમાં ઝંડા લઈને ન્યાય માટે નીકળી પડે છે. પરંતુ હવે દેશનું યુવાધન તેમની આ ચાલ સમજી ગયો છે. માટે જ જ્યારે ઇસ્લામિક આતંકવાદીઓએ રિયાસીમાં હિંદુ ધાર્મિક યાત્રિકો પર હુમલો કર્યો ત્યારે સૌએ આ કથિત સેલિબ્રિટીઓને આડેહાથે લીધા અને સાથે જ #AllEyesOnReasi ટ્રેન્ડ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં