Sunday, September 8, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજગતગુરુ શ્રીકૃષ્ણનું ધબકતું હ્રદય, હવાથી વિરુદ્ધ ફરકતો ધ્વજ, પડછાયા વગરનું શિખર… અને...

    જગતગુરુ શ્રીકૃષ્ણનું ધબકતું હ્રદય, હવાથી વિરુદ્ધ ફરકતો ધ્વજ, પડછાયા વગરનું શિખર… અને બીજું ઘણું: વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું જે રહસ્યોના કોયડા, જાણો પુરીના જગન્નાથ મંદિરના તે ચમત્કારો

    મંદિરના ગર્ભગૃહની બહાર રહેલા સુરક્ષાદળના જવાનોએ પણ કહ્યું હતું કે, 'બ્રહ્મ પદાર્થ'ને નવી મૂર્તિમાં સ્થાપિત કરતાં સમયે આખા ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જાય છે. જે કદાચ 'બ્રહ્મ પદાર્થ'ના તેજને દર્શાવે છે. તેમનો દાવો છે કે, બ્રહ્મ પદાર્થનો તેજ એટલો છે કે, તેને નરી આંખે જોનારા અંધ થઈ શકે છે અથવા તો તે મૃત્યુ પણ પામી શકે છે.

    - Advertisement -

    ભારતના પ્રાચીન મંદિરો અને ધર્મસ્થળોનો ઇતિહાસ રહસ્યો અને ચમત્કારોથી ભરપૂર છે. એવા અનેક ધર્મસ્થળો આજે પણ ભારતની પાવન ભૂમિ પર મોજૂદ છે, જે વિજ્ઞાનને સીધો પડકાર આપે છે. તે સ્થળો સાથે જોડાયેલા રહસ્યો પર માણસને વિચારવા પર મજબૂર કરી દે છે. તેવું જ એક ધર્મસ્થળ છે પુરીનું જગન્નાથ મંદિર. પુરીના જગન્નાથ મંદિરના ચમત્કારો વિજ્ઞાન પણ સમજી શકતું નથી. માન્યતા છે કે, પુરીના જગન્નાથ મંદિરની મૂર્તિમાં આજે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું હ્રદય ધબકી રહ્યું છે. જેને ‘બ્રહ્મ પદાર્થ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, કલ્કિ અવતાર સમયે ભગવાનનું તે હ્રદય પૂર્ણરુપે જીવંત થશે અને કલ્કિમાં સમાહિત થશે.

    પુરીના જગન્નાથ મંદિરના ચમત્કારો પર અનેક સંશોધન પણ કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોએ તે જાણવાના પ્રયાસો કર્યા હતા કે, આખરે જગન્નાથ મંદિરમાં એવી કઈ શક્તિ છે, જે તેને અન્ય મંદિરો કરતાં વિશેષ બનાવે છે. પરંતુ વૈજ્ઞાનિકોના હાથે માત્ર અસફળતા જ લાગી છે. આજે પણ જગન્નાથ મંદિરના તે રહસ્યો અકબંધ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, ભગવાન શ્રીકૃષ્ણ જ કલિયુગમાં જગન્નાથ તરીકે સાક્ષાત પૂજાય રહ્યા છે. સ્કંદ પુરાણ અને મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે, જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે.

    સામાન્ય રીતે તમામ હિંદુ મંદિરોમાં અષ્ટધાતુ, ધાતુ અથવા તો પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે. પરંતુ જગન્નાથ મંદિર ઇતિહાસનું એવું પ્રથમ મંદિર છે, જ્યાં કાષ્ટની મૂર્તિઓ જોવા મળે છે. માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વપ્નમાં આવીને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મંદિરના નિર્માણ પછી દેવોના વાસ્તુકાર ભગવાન વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની મૂર્તિઓ બનાવી હતી. જે આજે પણ મંદિરમાં મોજૂદ છે. આપણે અહીં જગન્નાથ મંદિરના ચમત્કારો વિશે વિગતે જાણીશું.

    - Advertisement -

    આજે પણ ધબકે છે ભગવાનનું હ્રદય

    પુરીના જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે. જે દર 12 વર્ષે બદલવામાં આવે છે. ભગવાન જગન્નાથની મૂર્તિમાં એક ‘બ્રહ્મ પદાર્થ’ પણ છે, જેને ભગવાન શ્રીકૃષ્ણના હ્રદય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ જે વૃક્ષ નીચે માનવ શરીરનો ત્યાગ કર્યો હતો, તે જ વૃક્ષના કાષ્ટમાં તેમનું હ્રદય જીવંત રીતે સમાહિત થયું હતું. તે કાષ્ટ દ્વારકાથી પુરી સુધી ગયું હતું અને તે જ કાષ્ટમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. દર 12 વર્ષે તે મૂર્તિઓને બદલવામાં આવે છે. મૂર્તિઓ બદલતી વખતે આખા પુરી નગરની વીજળી ગાયબ થઈ જાય છે. આખા શહેરમાં અંધકાર છવાય જાય છે. તે સાથે જ મંદિરની બહાર ભારે સુરક્ષાદળોને પણ ખડકી દેવામાં આવે છે.

    મૂર્તિ બદલાનારા પૂજારીની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવે છે. જો તેમણે ભૂલથી પણ તે પટ્ટી ખોલી તો તેમની આંખોની દ્રષ્ટિ ચાલી જાય છે. જ્યારે મંદિરની મૂર્તિઓને બદલવામાં આવે છે, ત્યારે ભગવાન જગન્નાથની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થને કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. બ્રહ્મ પદાર્થને શ્રીકૃષ્ણનું હ્રદય માનવામાં આવે છે. જે આજે પણ જીવંત છે અને સતત ધબકતું રહે છે. જગન્નાથ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે, જ્યારે તેઓ ભગવાનનું હ્રદય નવી મૂર્તિઓમાં સ્થાપિત કરે છે, ત્યારે તેમને હાથમાં કઈ ઉછળતું હોય તેવું અનુભવાય છે.

    મંદિરના પૂજારીઓનું માનવું છે કે, આ ‘બ્રહ્મ પદાર્થ’ છે, જે અષ્ટધાતુ જેવુ લાગે છે. પરંતુ તે જીવિત અવસ્થામાં છે. મંદિરના ગર્ભગૃહની બહાર રહેલા સુરક્ષાદળના જવાનોએ પણ કહ્યું હતું કે, ‘બ્રહ્મ પદાર્થ’ને નવી મૂર્તિમાં સ્થાપિત કરતાં સમયે આખા ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જાય છે. જે કદાચ ‘બ્રહ્મ પદાર્થ’ના તેજને દર્શાવે છે. તેમનો દાવો છે કે, બ્રહ્મ પદાર્થનો તેજ એટલો છે કે, તેને નરી આંખે જોનારા અંધ થઈ શકે છે અથવા તો તે મૃત્યુ પણ પામી શકે છે. તેથી જ પૂજારીઓની આંખો પર પણ પટ્ટી બાંધી દેવામાં આવે છે.

    હવાની વિપરીત ફરકે છે ધ્વજ

    શ્રી જગન્નાથ મંદિરના શિખર પર સ્થાપિત લાલ અથવા પીળો ધ્વજ હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં ફરકતો જોવા મળે છે. એવું શા કારણથી થાય છે, તેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. આપણાં દેશના મહાપુરુષો કહી ચૂક્યા છે કે, જ્યાં વિજ્ઞાનનો દાયરો પૂર્ણ થાય છે, ત્યાંથી જ અધ્યાત્મ અને ધર્મનો દાયરો શરૂ થાય છે. આ ઘટનામાં પણ તે જ સિદ્ધાંત લાગુ પડે છે. સૌથી આશ્ચર્યની વાત તો તે છે કે, દરરોજ સંધ્યા સમયે મંદિરની ઉપર સ્થાપિત ધ્વજને એક સામાન્ય માણસ દ્વારા ઉંધા ચડીને બદલવામાં આવે છે. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે, તે લહેરાય ત્યારે નગરના કોઈપણ ખૂણેથી તેને જોઈ શકાય છે. ભયાનક ચક્રવાતના સમયે પણ જગન્નાથ મંદિરનો ધ્વજ બદલવામાં આવે છે. તેમ છતાં આજ સુધી કોઈપણ માણસને નાની ઇજા પણ થઈ નથી. મંદિરના પવિત્ર ધ્વજ પર ભગવાન શિવનો અર્ધચંદ્ર બનેલો જોવા મળે છે.

    શિખરનો નથી પડતો પડછાયો

    જગન્નાથ મંદિર વિશ્વનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે, આ મંદિર 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. તેની ઊંચાઈ લગભગ 214 ફૂટ છે. મંદિર પાસે ઊભા રહીને તેનું શિખર જોવું અશક્ય છે, મુખ્ય મંદિરના શિખરનો પડછાયો દિવસના કોઈપણ સમયે અદ્રશ્ય રહે છે. આપણાં પૂર્વજો કેટલા મહાન એન્જિનિયરો હશે તે આ એક મંદિરના ઉદાહરણ પરથી સમજી શકાય છે. આવા અનેક મંદિરો પ્રાચીન સમયમાં ભારતની શોભા વધારતા હતા, પરંતુ ઇસ્લામિક આક્રમણોને લીધે તેનો નાશ થયો છે. સ્વતંત્રતા પછી ડાબેરી ઇતિહાસકારોએ આવા મંદિરો અને તેના રહસ્યો પર જાણે પડદો જ ઢાંકી દીધો હતો. પરંતુ હવે ધીરે-ધીરે તે તમામ રહસ્યો પણ દુનિયાની સામે આવી રહ્યા છે.

    ચમત્કારિક સુદર્શન ચક્ર

    જો તમે પુરી નગરના કોઈપણ ખૂણેથી મંદિરના શિખર પર લાગેલા સુદર્શન ચક્રને જોશો તો તમને એવું જ લાગશે કે તે તમારી સામે જ છે. તમે મંદિરની વિરુદ્ધ દિશામાં કે આડી-અવળી દિશામાં પણ જોશો તોપણ તે ચક્ર તમારી સામે જ હશે. આ ચક્રને નીલચક્ર પણ કહેવામાં આવે છે. તે અષ્ટધાતુથી બનેલું છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સૌપ્રથમવાર મંદિર બન્યું ત્યારે તે ચક્રને લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો, ત્યારે તે ચક્રને ઉતારી લઈને ફરીથી તેને ત્યાં જ સ્થાપિત કરવામાં આવતું હતું. આજે પણ તે જ પ્રાચીન સુદર્શન ચક્રને આપણે જોઈ શકીએ છીએ.

    પવનની દિશા

    સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ ફૂંકાય છે અને સાંજે તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. પરંતુ પુરીમાં હંમેશા મંદિરમાંથી સમુદ્ર તરફ પવન ફૂંકાય છે. જાણે જગન્નાથ કુદરતનું સ્વયં સંચાલન કરે છે, તેવો સંદેશ આપવા માંગતા હોય. આજે પણ ઘણા વિદ્વાનોએ આ વિશે જાણવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેના રહસ્ય વિશે જાણી શકાયું નથી. જમીન પરથી સમુદ્ર તરફ હવા ફૂંકાવી તે પણ કુદરતના નિયમો વિરુદ્ધ છે. તેમ છતાં પુરીમાં આ ઘટના જોવા મળે છે. જેના કારણે પુરી જગન્નાથ મંદિર પર અનેક સંશોધન પણ કરવામાં આવ્યા હતા.

    પક્ષીઓ કે વિમાન શિખર પર ઉડતા નથી

    જગન્નાથ મંદિરના ચમત્કારો અંતર્ગત એ પણ ગણી શકાય કે આ મંદિરના શિખરની આસપાસ આજ સુધી કોઈ પક્ષી ઉડતા જોવા મળ્યા નથી. ભારતના મોટા ભાગના મંદિરોના શિખર પર પક્ષીઓ બેસે છે અથવા નજીકમાં ઉડતા જોવા મળે છે, પરંતુ પુરીના જગન્નાથ મંદિરમાં પક્ષીઓ મંદિરની ઉપરથી ઉડતા નથી. આટલું જ નહીં, પરંતુ મંદિરના શિખર પર પક્ષીઓ બેસતા પણ નથી. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ વિમાન પણ મંદિરની ઉપરથી ઊડી શકતું નથી. એક સમયે તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વિમાને પોતાની જાતે જ દિશા બદલી નાખી હતી. જગન્નાથ મંદિરનું આ રહસ્ય પણ હજુ અકબંધ છે.

    વિશ્વનું સૌથી મોટું રસોડુ, નથી ઘટતો ક્યારેય પ્રસાદ

    300 સાથીઓ સાથે 500 રસોઈયા ભગવાન જગન્નાથજીનો પ્રસાદ તૈયાર કરે છે. અહીં લગભગ 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. કહેવાય છે કે, મંદિરમાં પ્રસાદ અમુક હજાર લોકો માટે બનાવવામાં આવે છે, તેમ છતાં તેને લાખો લોકો ભરપેટ ખાઈ શકે છે. આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ પ્રસાદ ઘટ્યો નથી કે પ્રસાદ વધ્યો પણ નથી. પ્રસાદનો એક કણ પણ ક્યારેય વ્યર્થ નથી ગયો. મંદિરના રસોડામાં રસોઈ બનાવવા માટે 7 માટીના વાસણો એકની ઉપર એક એવી રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણમાં રહેલી સામગ્રી સૌથી પહેલાં પાકે છે, ત્યારબાદ ક્રમશઃ નીચેના વાસણોમાં પાકે છે. એટલે સૌથી ઉપરના વાસણમાં રાખેલો પદાર્થ પહેલાં પાકે છે!

    સમુદ્રનો ધ્વનિ

    મંદિરના સિંહદ્વારમાં પહેલું ડગ માંડતાની સાથે જ તમે સગાર દ્વારા નિર્મિત કોઈપણ ધ્વનિને સાંભળી શકતા નથી. એટલે મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. જેવુ તમે બહાર પગલું ભરો કે, તરત જ અવાજ આવવાનો શરૂ થઈ જાય છે. સાંજના સમયે તેને સારી રીતે અનુભવ કરી શકાય છે. તેવી જ રીતે મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે, જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે તમે મંદિરની બહાર નિકળશો ત્યારે જ મૃતદેહોની ગંધ અનુભવી શકાશે. મંદિરની અંદર તેની કોઈપણ પ્રકારની ગંધ અનુભવી શકાતી નથી.

    સ્વયં હનુમાનજી કરે છે જગન્નાથની સમુદ્રથી રક્ષા

    એવું માનવામાં આવે છે કે, સમુદ્રએ ભગવાન જગન્નાથના મંદિરને ત્રણવાર નષ્ટ કરી દીધું હતું. એવું કહેવાય છે કે, મહાપ્રભુ જગન્નાથે સમુદ્રને નિયંત્રિત કરવા માટે અહીં હનુમાનજીને કાર્ય સોંપ્યું હતું. પરંતુ ક્યારેક હનુમાનજી પણ ભગવાન જગન્નાથના દર્શનનો લોભ સંતોષી શક્યા નહોતા. તેઓ ભગવાનના દર્શન માટે નગરમાં પ્રવેશ કરતાં હતા, આવી સ્થિતિમાં સમુદ્ર પણ તેમની પાછળ નગરમાં પ્રવેશ કરતો હતો. હનુમાનજીની આ આદતથી ભગવાન જગન્નાથે તેમને પ્રેમની સાંકળમાં બાંધી દીધા હતા અને હંમેશા તેમને દર્શન આપવાનું આશ્વાસન આપ્યું હતું. અહીં પુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. જ્યાં હનુમાનજીની સાંકળથી બાંધેલી મૂર્તિ જોવા મળે છે. તે સિવાય પણ જગન્નાથ મંદિરના આવા હજારો ચમત્કારો જગજાહેર છે.

    છેલ્લે જાણો મંદિર સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો

    • મહાન શીખ સમ્રાટ મહારાજા રણજીત સિંઘે આ મંદિરને પુષ્કળ પ્રમાણમાં સોનું દાનમાં આપ્યું હતું. જે તેમણે સુવર્ણ મંદિર અમૃતસરને આપેલા સોના કરતાં પણ ઘણું વધારે હતું.
    • વનવાસ દરમિયાન પાંચ પાંડવો પણ ભગવાન જગન્નાથના દર્શન માટે અહીં આવ્યા હતા. શ્રી મંદિરની અંદર પાંડવોનું સ્થાન આજે પણ જોવા મળે છે. ભગવાન જગન્નાથ જ્યારે ચંદન યાત્રા પર જાય છે, ત્યારે તેમની સાથે પાંચ પાંડવો નરેન્દ્ર સરોવર પણ જાય છે.
    • આદિગુરુ શંકરાચાર્ય 9મી સદી માં અહીં આવ્યા હતા અને અહીં તેમણે ચાર મઠમાંથી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.
    • આ મંદિરમાં બિનભારતીય ધર્મના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. આ પ્રતિબંધો ઘૂસણખોરી અને મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઘણા વિદેશીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે લાદવામાં આવ્યા હતા. ભૂતકાળમાં મંદિરને નુકશાન પહોંચાડવામાં અનેક પ્રયાસો થયા હતા, પરંતુ કોઈપણ વિદેશી મંદિરને લેશમાત્ર નુકશાન પહોંચાડી શક્યો નહોતો.
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં