Thursday, July 4, 2024
More
    હોમપેજરાજકારણ'બાળકબુદ્ધિમાં ન તો બોલવાનું ઠેકાણું હોય છે, ન તો વ્યવહારનું ઠેકાણું હોય...

    ‘બાળકબુદ્ધિમાં ન તો બોલવાનું ઠેકાણું હોય છે, ન તો વ્યવહારનું ઠેકાણું હોય છે’: PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યો જોરદાર પ્રહાર, કહ્યું- સંસદમાં પણ પડી જાય છે ગમે તેના ગળે

    વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે રાહુલને બાળકબુદ્ધિ ગણાવીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "બાળકબુદ્ધિમાં ન બોલવાનું ઠેકાણું હોય છે અને ન તો બાળકબુદ્ધિમાં વ્યવહારનું કોઈ ઠેકાણું હોય છે. જ્યારે આ બાળકબુદ્ધિ સંપૂર્ણપણે સવાર થઈ જાય છે તો સંસદમાં પણ કોઈને ગળે લાગી જાય છે."

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીએ મંગળવારે (2 જુલાઈ, 2024) રાષ્ટ્રપતિના અભિભાષણ પર સમર્થન આપીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ વિકસિત ભારત પર ભાર મૂક્યો છે. નોંધનીય છે કે, હિંદુઓને હિંસક ગણાવી અને ભગવાન શિવની તસવીર લહેરાવીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ દેવી-દેવતાઓની ‘અભય મુદ્રા’ને ઇસ્લામ અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હ સાથે જોડી દીધી હતી. આ કારણોસર આ વખતે સંસદમાં વાતાવરણ ગરમાયું છે. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત પહેલીવાર ચૂંટાયેલા સાંસદોના ભાષણની પ્રશંસા કરીને કરી હતી.

    PM મોદીએ સંસદમાં કહ્યું કે, તેઓ કેટલાક લોકોનું દર્દ સમજી શકે છે, સતત જુઠ્ઠાણા ફેલાવવા છતાં તેમને વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન વિપક્ષી દળોએ હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું, જે બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહની ગરિમા યાદ અપાવી હતી. PM મોદીએ કહ્યું કે, “જનતાએ દરેક કસોટી પર પરીક્ષણ કર્યા બાદ NDAને આ જનાદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જનતાએ અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે, ગરીબોના કલ્યાણ માટે અમારું સમર્પણ જોયું છે, અમે ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને સાકાર કરીને કામ કર્યું છે.”

    દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે રાહુલને બાળકબુદ્ધિ ગણાવીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “બાળકબુદ્ધિમાં ન બોલવાનું ઠેકાણું હોય છે અને ન તો બાળકબુદ્ધિમાં વ્યવહારનું કોઈ ઠેકાણું હોય છે. જ્યારે આ બાળકબુદ્ધિ સંપૂર્ણપણે સવાર થઈ જાય છે તો સંસદમાં પણ કોઈને ગળે લાગી જાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આ બાળકબુદ્ધિ પોતાની સીમાઓ ગુમાવી દે છે. જે સંસદમાં બેસીને આંખો મારે છે.” આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ અનેક રીતે રાહુલ ગાંધી અને INDI ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાને ગણાવી સરકારની સિદ્ધિઓ

    વડાપ્રધાને કહ્યું કે, “10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા, જે ભાજપને સતત ત્રીજી વખત લોકોના આશીર્વાદ મળવાનું કારણ બન્યું.” તેમણે યાદ કર્યું કે, જ્યારે તેઓ 2014માં પહેલીવાર જીત્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, “આપણાં દેશને ખોખલો કરનારા ભ્રષ્ટાચાર પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ રહેશે અને આજે અમને ગર્વ છે કે સરકારે ભ્રષ્ટાચારથી પીડિત દેશના સામાન્ય માનવીને રાહત આપી છે. તેથી જ સતત ત્રીજી વખત પણ આશીર્વાદ મળ્યા છે.”

    PM મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતની શાખ વધી છે, ભારતની પ્રશંસા થઈ રહી છે અને ભારત પ્રત્યેનું વલણ પણ ગૌરવપૂર્ણ બન્યું છે. તેમણે કહ્યું કે, “અમારો ઉદ્દેશ્ય ‘ભારત પ્રથમ’ છે, અમારા દરેક નીતિ-નિર્ણય-કાર્યમાં એક જ માપદંડ છે – ભારત પ્રથમ.” તેમણે આ સમયગાળા દરમિયાન થયેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, છેલ્લા એક દાયકામાં તેઓ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને અનુસરીને દેશના તમામ લોકોના કલ્યાણ માટે પ્રયાસ કરી રહ્યા છે.

    PM મોદીએ કહ્યું, “અમે ભારતના બંધારણની ભાવના અનુસાર સર્વપંથ સમભાવના વિચારને સર્વોપરી રાખીને દેશની સેવા કરવાનો પ્રયાસ કર્યો તે સિદ્ધાંતોને અમે સમર્પિત છીએ. આ દેશે લાંબા સમય સુધી તુષ્ટિકરણની રાજનીતિ અને શાસનનું મોડલ જોયું છે, અમે સેક્યુલરઝિમ હેઠળ કામ કર્યું છે. અમે તુષ્ટિકરણ નહીં પરંતુ સંતુષ્ટિકરણ કર્યું છે. આનો અર્થ છે દરેક યોજનાનો લાભ છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવો. અમે Saturationના સિદ્ધાંતને અનુસરીએ છીએ, આ સાચા અર્થમાં સામાજિક ન્યાય છે. તુષ્ટિકરણે આ દેશને તબાહ કરીને રાખ્યો છે, અમે ‘જસ્ટિસ ફોર ઓલ, અપીજમેન્ટ ટુ નન’ના સિદ્ધાંતનું પાલન કર્યું છે.”

    PM મોદીએ 2014 પહેલાંના દિવસો કર્યા યાદ

    વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ખાતરી આપી કે, “અમે ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે તમામ પ્રયાસો કરીશું અને તેમાં અમારા સમયનો પળ-પળ અને શરીરનો કણ-કણ તેના માટે લગાવી દઈશું.” તેમણે 2014 પહેલાંના દિવસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે દેશ નિરાશામાં ડૂબી ગયો હતો અને લોકોએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. આ દેશનું સૌથી મોટું નુકસાન હતું. જ્યારે ભરોસો અને આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે ત્યારે દેશ અને સમાજ ઊભા રહી શકતા નથી.”

    PM મોદીએ કહ્યું કે, “તે સમયે બધા કહેતા હતા કે, આ દેશનું હવે કઈ થઈ શકશે નહીં. ભારતીયોની નિરાશા તેમની ઓળખ બની ગઈ હતી. તે સમય દરમિયાન સેંકડો કરોડના કૌભાંડો થયા હતા, રોજ નવા કૌભાંડના સમાચારો આવતા હતા, તે કૌભાંડોથી કૌભાંડો સુધીની સ્પર્ધાનો સમયગાળો હતો.” તેમણે યાદ અપાવ્યું કે, કેવી રીતે નિર્લજ્જતાથી સ્વીકારવામાં આવ્યું હતું કે, દિલ્હીમાંથી 1 રૂપિયો જાય છે તો માત્ર 15 પૈસા ગરીબો સુધી પહોંચે છે.

    ‘ફોન બેંકિંગ’ના કારણે થતા કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, “કેવી રીતે બેંકોના પૈસા લૂંટી લેવાયા હતા, પરંતુ 2014 પછી ભારતીય બેંકો વિશ્વની શ્રેષ્ઠ બેંકોમાંની એક બની અને સૌથી વધુ નફો કરતી બેંકો બની. 2014 પહેલાં આતંકવાદીઓ આવીને જ્યાં મન પડે ત્યાં હુમલો કરી દેતા હતા. હવે 2014 પછી ભારત ઘરમાં ઘૂસીને મારે છે, સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરે છે.”

    PM મોદીએ સંસદમાં સંબોધન દરમિયાન યાદ અપાવ્યું કે, “વોટબેંકની રાજનીતિને હથિયાર બનાવનારા લોકોએ જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો છીનવી લીધા હતા, ભારતનું બંધારણ ત્યાંની સરહદમાં પ્રવેશી શકતું નહોતું અને અહીં સંવિધાન માથા પર રાખીને નાચવાવાળા લોકો ત્યાં સંવિધાન લાગુ કરવાની હિંમત પણ નહોતા રાખતા.” તેમણે કહ્યું કે, “આજે જમ્મુ-કાશ્મીરને ભારતના બંધારણમાં વિશ્વાસ છે અને પથ્થરમારો બંધ થઈ ગયો છે. વડાપ્રધાને કહ્યું કે, આ વિશ્વાસે વિકાસના ડ્રાઇવિંગ ફોર્સ તરીકેનું કામ કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં