Thursday, September 19, 2024
More
    હોમપેજક્રાઈમમુસ્લિમ સગીરોએ 'અલ્લાહુ અકબર'ના નારા સાથે કર્યો હતો પથ્થરમારો, 10 ગણેશ પંડાલો...

    મુસ્લિમ સગીરોએ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કર્યો હતો પથ્થરમારો, 10 ગણેશ પંડાલો હતા ટાર્ગેટ પર, ગેંગ લીડર 3 માસથી લેતો હતો ‘મદરેસાની તાલીમ’: જાણો સૈયદપુરા વિવાદમાં શું થયા ઘટસ્ફોટ

    પોલીસ સ્ટેશનની આસપાસથી ફરીથી પથ્થરમારો થયો હતો. ત્યારે સ્થાનિક કટ્ટરપંથી મુસ્લિમોએ પોલીસ અને હિંદુઓ પર પથ્થરો વરસાવ્યા હતા. પોલીસે કાર્યવાહીની તૈયારી તેજ કરતાં કટ્ટરપંથીઓએ એકબીજાને કહ્યું હતું કે, "માથામાં લાડકીઓ અને ધોકા મારો તો પોલીસ મરી જશે."

    - Advertisement -

    સુરતના સૈયદપુરામાં ગણેશ મંડપ પર પથ્થરમારા બાદથી પોલીસ તડામાર તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થયા છે. જાણવા મળી રહ્યું છે કે, પથ્થરમારો કરનાર મુસ્લિમ સગીરોની ગેંગના એક માસ્ટરમાઇન્ડ સગીરે આખી યોજના બનાવી હતી. તે જ આ ટોળકીનો ગેંગ લીડર પણ હતો. તેણે 10 ગણેશ પંડાલો પર રોજના પથ્થરમારો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. આ આરોપીએ જ બાકીના 6 અન્ય મુસ્લિમ સગીરોને એકઠા કરીને ગેંગ બનાવી હતી. આ ગેંગે શનિવારે પણ ‘વરિયાળી ચા રાજા’ની ગણેશ પ્રતિમા પર પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ રવિવારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સૈયદપુરામાં ગણેશ મંડપ પર પથ્થરમારામાં સામેલ મુસ્લિમ સગીરોએ 6 સપ્ટેમ્બરે ગણપતિ પંડાલ પર પાણીના પાઉચ ફેંક્યા હતા. તેમ છતાં હિંદુઓ શાંત રહ્યા હતા. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ આ મુસ્લિમ ટોળકીએ પથ્થરો ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને આખરે રવિવારે (8 સપ્ટેમ્બરે) તેમણે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી દીધા હતા. તમામ મુસ્લિમ સગીરો રિક્ષામાં આવ્યા હતા અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. હાલ રિક્ષાચાલકની ભૂમિકાને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

    ગેંગ લીડર આરોપી 3 માસથી લેતો હતો ‘મદરેસાની તાલીમ’

    પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મુસ્લિમ સગીરોની ટોળકીનો ગેંગ લીડર છેલ્લા ત્રણ મહિનાથી ‘મદરેસાની તાલીમ’ મેળવી રહ્યો હતો. જાણવા મળ્યું છે કે, આરોપી લીડરના અબ્બુનું ઘણા સમય પહેલાં જ ઇંતકાલ થઈ ગયું હતું. જોકે, આ સગીર આરોપીને પથ્થરમારો કરવા માટે કોણે કહ્યું હતું, તે દિશામાં તપાસ ચાલી રહી છે અને મહત્વની તપાસ મદરેસામાં પણ ચાલી રહી છે. હાલ મદરેસા પોલીસની રડારમાં છે. પોલીસે સૈયદપુરામાં રહેલા મુસ્લિમ આગેવાનોને પણ બોલાવ્યા હતા. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

    - Advertisement -

    મુસ્લિમ આગેવાનોએ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પોલીસ અનુસાર, શનિવારે જે પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યાં આરોપીઓએ પહેલાં પોલીથીન ફેંકી હતી અને પછી બીજા દિવસે પથ્થરમારાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેથી રવિવારે રાત્રે ફરીથી ગેંગ લીડર પોતાની ટોળકીના 5 છોકરાઓને લઈને ગણેશ પંડાલ પર પહોંચ્યો હતો અને પથ્થરો વરસાવ્યા હતા.

    ‘અલ્લાહુ અકબરના નારા લગાવી અમે પહોંચ્યા હતા પ્રતિમા પાસે’ – આરોપી સગીર

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મુસ્લિમ સમુદાયના તહેવારને લઈને ગેંગ લીડર સગીરની આગેવાનીમાં અન્ય આરોપીઓ ભેગા મળીને એક પછી એક મસ્જિદોમાં જઈ રહ્યા હતા અને ત્યાંથી ખાવા-પીવાની વસ્તુઓ એકઠી કરી રહ્યા હતા. ત્યારબાદ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે તેઓ વરિયાળી ખાતે ગણેશ સ્થાપન સુધી પહોંચ્યા હતા અને ભગવાનની પ્રતિમા પર પથ્થર ફેંક્યા હતા. પરંતુ ભાગવા જતાં તેને સ્થાનિકોએ ઝડપી લીધા હતા અને મેથીપાક આપ્યો હતો. આ કબૂલનામું પકડાયેલા આરોપીઓએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂ કર્યું હતું.

    પ્રશ્ન એ થઈ રહ્યા છે કે, સવારે સરકારી સ્કૂલો અને સાંજે ‘મદરેસા’માં જઈ રહેલા આ સગીર આરોપીઓને આવું શીખવ્યું કોણે? 12-13 વર્ષના છોકરાઓએ આટલો ભયંકર પ્લાન કોની મદદથી તૈયાર કરી લીધો હતો? જોકે, પોલીસે આ અંગેની પૂછપરછ કરી હતી, પરંતુ તમામ આરોપીઓ આ અંગે કોઈ નિવેદન આપી રહ્યા નથી. આ આરોપીઓને આવું કરવા માટેની પ્રેરણા ક્યાંથી મળી હતી અથવા તો કોણે આપી હતી, તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

    ચાર ઘરોમાં પહેલાંથી રાખી મૂક્યા હતા પથ્થરો

    ગણેશજીની પ્રતિમા પર પથ્થરો વરસાવ્યા બાદ મુસ્લિમસ સગીર આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હિંદુ-મુસ્લિમોના ટોળાં સામસામે આવી ગયા હતા. મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિંદુઓ અને પોલીસ પર પણ પથ્થરો વરસાવવાના શરૂ કર્યા હતા. જોકે, પોલીસે ટિયર ગેસના સેલ છોડી, લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરંતુ તે દરમિયાન ત્રીજીવાર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સ્થાનિક મસ્જિદની નજીક આવેલી બે બિલ્ડિંગોમાં ચાર ઘરો હતા, જ્યાંથી સતત પથ્થરો વરસી રહ્યા હતા. આ પથ્થરમારામાં ડીસીપી સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થઈ ગયા હતા.

    પથ્થરમારાની આ ત્રીજી ઘટના બાદ સૈયદપુરામાં પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો કર્યા પછી 27 જેટલા મુસ્લિમોએ પોતાના ઘરોમાં અંધારા કરી દીધા હતા અને બહારથી ‘તેના સ્થાનિક સહયોગી’ઓ પાસે તાળાં મરાવી દીધા હતા. પોલીસે કોમ્બિંગ કર્યું ત્યારે આ માહિતી મળતા જ આ તમામ ઘરોના તાળાં તોડીને મુસ્લિમ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. દરમિયાન આ ચાર ઘરોમાં પહેલાંથી જ પથ્થરો રાખી મૂક્યા હોવાનું સામે આવ્યું હતું. જે સાબિત કરે છે કે, આખી ઘટના પૂર્વનિયોજિત કાવતરાનો જ એક ભાગ હતી.

    ‘માથામાં લાકડીઓ અને ધોકા મારો તો પોલીસ મરી જશે’ – મુસ્લિમ કટ્ટરપંથીઓ

    પોલીસ તપાસમાં અન્ય એક ઘટસ્ફોટ થયો છે. ઘટનાક્રમ અનુસાર, પહેલાં તો મુસ્લિમ સગીર આરોપીઓને ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેમને ઝડપી પાડીને માર માર્યો હતો અને હિંદુઓએ સૈયદપુરા પોલીસ સ્ટેશન જઈને આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા. દરમિયાન પોલીસ સ્ટેશનની આસપાસથી ફરીથી પથ્થરમારો થયો હતો. ત્યારે સ્થાનિક કટ્ટરપંથી મુસ્લિમોએ પોલીસ અને હિંદુઓ પર પથ્થરો વરસાવ્યા હતા. પોલીસે કાર્યવાહીની તૈયારી તેજ કરતાં કટ્ટરપંથીઓએ એકબીજાને કહ્યું હતું કે, “માથામાં લાડકીઓ અને ધોકા મારો તો પોલીસ મરી જશે.”

    આ ઘટના બાદ બે FIR નોંધવામાં આવી છે. એક તો સગીર મુસ્લિમ આરોપીઓ પર નોંધાઈ છે. જ્યારે બીજી FIR પછીથી બેવાર થયેલા પથ્થરમારાના આરોપીઓ વિરુદ્ધ નોંધવામાં આવી છે. આ ઘટનામાં લાલગેટ પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, તોડફોડ સહિત કલમો હેઠળ 3 ગુના નોંધ્યા છે. જોકે, ઘણા આરોપીઓને રાત્રે જ પકડી પાડવામાં આવ્યા હતા અને નિષ્ઠાપૂર્વક પોલીસે તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.

    હત્યાના ઈરાદે પોલીસ અને હિંદુઓ પર પથ્થરમારો કરનારાના નામ જાહેર, તમામ મુસ્લિમ

    સગીર આરોપીઓએ પથ્થરમારો કર્યા બાદ તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને ગુનો પણ નોંધી દેવામાં આવ્યો હતો. જોકે, સગીર હોવાથી તેમના નામ જાહેર કરી શકાયા નહોતા. પરંતુ, તે પછી બે વખત થયેલા પથ્થરમારામાં 26 જેટલા આરોપીઓના નામો સામે આવ્યા હતા. રાત્રે જ પોલીસે તેમની સરભરા કરી નાખી હતી. પરંતુ હવે પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લઈને આરોપીઓના નામની જાહેરાત પણ કરી છે. આ તમામ આરોપીઓ મુસ્લિમ છે અને હાલ પોલીસ તેમના પર કાયદેસરની કાર્યવાહી આદરી રહી છે.

    નોંધનીય છે કે, ઘટના બાદ મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો, ત્યાં જ તેમણે મધ્યરાત્રિએ શ્રીજીની આરતી કરીને સંકલ્પ લીધો હતો કે, સૂર્યનું પ્રથમ કિરણ સુરતની ધરતી પર પડે, તે પહેલાં તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. જોકે, તેમણે આ સંકલ્પને પૂર્ણ કરીને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા તમામની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં