15 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે ભારત 2030માં કૉમનવેલ્થ ગેમ્સનું (CWG) આયોજન કરશે. કોંગ્રેસે વર્ષ 2010માં આયોજન કર્યું હતું જોકે તે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોથી ખરડાયેલું હતું. હવે 20 વર્ષ બાદ ભારત ફરી તેનું આયોજન કરવા જઈ રહ્યું છે. કૉમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે 2030ની સેન્ટેનરી આવૃત્તિ માટે અમદાવાદને યજમાન શહેર તરીકેની ભલામણ કરી છે. નાઇજીરીયાની રાજધાની અબુજા પણ ગેમ્સનું આયોજન કરવા માટેનું બીજું સૂચિત શહેર હતું, પરંતુ અમદાવાદ અંતિમ પસંદગી બન્યું.
26 નવેમ્બર 2025ના રોજ ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની જનરલ એસેમ્બલીમાં ઔપચારિક મંજૂરી મળવાની અપેક્ષા છે. આ વિકાસ ભારતની 2036 ઓલિમ્પિક્સનું આયોજન કરવાની મહત્વાકાંક્ષા માટેનું એક પગથિયું બનવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારે આને ‘અપાર આનંદ અને ગૌરવનો દિવસ’ ગણાવ્યો છે.
A day of immense joy and pride for India.
— Amit Shah (@AmitShah) October 15, 2025
Heartiest congratulations to every citizen of India on Commonwealth Association's approval of India's bid to host the Commonwealth Games 2030 in Ahmedabad. It is a grand endorsement of PM Shri @narendramodi Ji's relentless efforts to…
અમિત શાહે આ નિર્ણયની પ્રશંસા કરતાં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિભા વિકાસ પર ધ્યાન આપવાના કારણે ભારત હવે એક મહાન રમતગમત માટેનું સ્થળ બની ગયું છે. ભારતીય ઓલિમ્પિક સંઘનાં પ્રમુખ પી. ટી. ઉષાએ જણાવ્યું છે કે આ ગેમ્સ ભારતની આયોજન ક્ષમતા દર્શાવશે અને યુવાનોને પ્રેરણા આપશે. તેમણે આને ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
ભારતે છેલ્લે 2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું, પરંતુ તે આયોજન ખરાબ યોજના, બાંધકામમાં વિલંબ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ખરડાયેલું હતું. આ વિવાદ 2030ની તૈયારીઓ દરમિયાન હંમેશા યાદ રહેશે. હવે સરકાર માટે જવાબદારી વધી ગઈ છે. તેણે સાબિત કરવું પડશે કે તેણે અગાઉની ભૂલોમાંથી શીખ્યું છે અને સમયસર, પારદર્શી, સફળ અને બજેટમાં રહીને ગેમ્સનું આયોજન કરી શકે છે.
2010માં કેવી રીતે થયો કૉમનવેલ્થ ગેમ્સ કૌભાંડ?
ભારતે 2010માં કૉમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં આયોજિત કરવાની બિડ જીતી ત્યારે તેને રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ ગણવાઈ હતી. પરંતુ, થોડા જ સમયમાં તે આયોજન ખરાબ વ્યવસ્થાપન અને ભ્રષ્ટાચારનું પર્યાય બની ગયું. 2010ના CWG કૌભાંડનો છાયો ભારતની રમતગમત પ્રતિષ્ઠા પર હજુ પણ છાપ છોડી રહ્યો છે.
આ બધું નવેમ્બર 2003માં શરૂ થયું હતું. ભારતે 2010ની કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની બિડ જીતી હતી. કેનેડા મુખ્ય હરીફ હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને (IOA) ઇવેન્ટનો કુલ ખર્ચ ફક્ત ₹1,200 કરોડ આંક્યો હતો, જે પાછળથી ખૂબ ઓછો અને અવાસ્તવિક માનવામાં આવ્યો હતો. પછીથી એવું બહાર આવ્યું કે બજેટ નોંધપાત્ર રીતે ઓછું આંકવામાં આવ્યું હતું અને અંતિમ ખર્ચ અનેક ગણો વધી ગયો હતો. વધુમાં, આરોપો સામે આવ્યા કે ભારતે દરેક કૉમનવેલ્થ દેશની ઓલિમ્પિક સમિતિને $100,000ની લાંચ આપીને સમર્થન ખરીદ્યું હતું. ભૂતપૂર્વ રમતગમત મંત્રી મણિશંકર ઐયરે તેને ‘લાંચ’ આપ્યા સમાન ગણાવ્યું હતું.
ડિસેમ્બર 2004માં તત્કાલીન રમતગમત મંત્રી સુનીલ દત્તના વિરોધ છતાં કોંગ્રેસના સાંસદ સુરેશ કલમાડીને વડા પ્રધાન કાર્યાલયની ભલામણ પર CWG આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કલમાડી ચેરમેન બન્યા પછી તેમણે રમતોની તૈયારીઓનું સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. પછીથી નિષ્ણાતોએ તેને એક મોટી ભૂલ ગણાવી હતી.
સ્ટેડિયમ અને શહેરના માળખાનું બાંધકામ 2006થી 2009 દરમિયાન ધીમી ગતિએ થયું. બજેટને ઘણી વખત વધારવામાં આવ્યું હતું. એપ્રિલ 2007થી સપ્ટેમ્બર 2010 સુધીમાં સત્તાવાર ખર્ચનો અંદાજ 7 વખત બદલાયો. શરૂઆતમાં જે ₹1,100 કરોડનો અંદાજ હતો, તે વધીને ₹3,566 કરોડ અને પછી₹11,687 કરોડ સુધી પહોંચી ગયો, જે શરૂઆતના અંદાજથી દસ ગણો વધારે હતો. ગેમ્સના સમયે કુલ ખર્ચ લગભગ ₹18,532 કરોડ થયો, જે લગભગ 15 ગણો વધારે હતો.
ગેમ્સનો સમય નજીક આવતાં સંકટના વાદળ ઘેરાયા. 2009ના અંતમાં કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ માઇકલ ફેનલે જાહેરમાં ચેતવણી આપી હતી કે તૈયારીઓ સમયથી પાછળ ચાલી રહી છે અને ‘સમય તમારો દુશ્મન છે.’ આ કારણે CGFએ એક વિશેષ નિરીક્ષણ પેનલની રચના કરી, જે દર મહિને પ્રગતિની સમીક્ષા કરતી હતી.
ભારતના તત્કાલીન રમતગમત મંત્રી એમ. એસ. ગિલે સરકાર તરફથી વધુ ફંડ આપવાની ખાતરી આપી, જેથી આયોજન સફળ થઈ શકે. જે દર્શાવે છે કે ખર્ચ પર કોઈ નિયંત્રણ રહ્યું નહોતું.
પૂર્વ રમતગમત મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે જુલાઈ 2010માં આયોજનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ₹35,000 કરોડ એક સર્કસ પર ખર્ચાઈ રહ્યા છે, જ્યારે દેશના ગરીબ ખેલાડીઓની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી. તેમણે કહ્યું કે જો ગેમ્સ સફળ થશે તો તેઓ નાખુશ થશે કારણ કે તેનાથી આવા ખર્ચમાં વધારો થશે. તેમણે ભારત પર અન્ય દેશોને લાંચ આપવાનો આરોપ પણ લગાવ્યો. કલમાડીએ તેમને બેદરકાર અને દેશવિરોધી ગણાવ્યા.
સપ્ટેમ્બર 2010માં છેલ્લી ઘડીએ મુશ્કેલીઓ વધી ગઈ હતી. ખેલાડીઓના આગમન પહેલાં દિલ્હીની તૈયારીઓ ઘણી ખરાબ હતી. ઉદ્ઘાટનના બાર દિવસ પહેલાં 21 સપ્ટેમ્બર 2010ના રોજ મુખ્ય સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની બહાર નવો જ બનાવેલો 95 મીટરનો ફૂટ ઓવરબ્રિજ ધરાશાયી થઈ ગયો. આશરે 27 શ્રમિકો ઘાયલ થયા, જેમાંથી પાંચને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ ઉજાગર કર્યું કે બાંધકામ કેટલી હદે ભ્રષ્ટાચારથી ખરડાયેલું હતું.

ખરાબ બાંધકામ એકમાત્ર સમસ્યા નહોતું. આંતરરાષ્ટ્રીય ટીમો આવી ત્યારે તેમણે ફરિયાદ કરી કે એથ્લીટ્સ વિલેજ ગંદું, અધૂરું અને ‘માનવ વસવાટ માટે અયોગ્ય’ હતું. પાણી ભરાયેલા એપાર્ટમેન્ટ્સ અને રૂમમાં ભટકતા કુતરાના ફોટા વૈશ્વિક હેડલાઈન્સ બન્યા હતા. અનેક દેશોના પ્રતિનિધિમંડળના વડાઓએ ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ગેમ્સ યોજાવી જોઈએ, કારણ કે આવશ્યક સુવિધાઓ દિવસો પહેલાં પણ અધૂરી હતી. કૉમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડે ચેતવણી આપી કે પરિસ્થિતિ ‘અસુરક્ષિત’ છે અને CGFને વિનંતી કરી કે જો બાબતોમાં સુધારો ન થાય તો ઇવેન્ટ રદ કરવાનું વિચારે.

વાત એટલી હદે વણસી કે આયોજકોની મદદ માટે ભારતીય સેનાને બોલાવવી પડી હતી. સેનાના ઇજનેરોએ ધરાશાયી થયેલા ફૂટઓવર બ્રિજની જગ્યાએ માત્ર ચાર દિવસમાં એક કામચલાઉ બ્રિજ બનાવી દીધો. તેમણે દિવસ-રાત કામ કર્યું, જેથી સુરક્ષા અને વ્યવસ્થાઓ સાથે જોડાયેલી મોટી સમસ્યાને ટાળી શકાય. તેમ છતાં ભારતીય અધિકારીઓએ દાવો કર્યો કે બધું સમયસર ઠીક થઈ જશે.

3થી 14 ઑક્ટોબર 2010 દરમિયાન 19મી કૉમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં સમયસર યોજાઈ હતી. 71 રાષ્ટ્રોના 6,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઇવેન્ટ્સ શરૂ થયા બાદ ભારતે એક વાજબી સફળ રમતગમત સ્પર્ધા આયોજિત કરી હતી. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું હતું.
જોકે આ રાહત લાંબા સમય સુધી ન ટકી. ગેમ્સના સમાપન પહેલાં જ ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાઓના આરોપોએ પ્રભુત્વ જમાવી લીધું હતું.
ગેમ્સ પૂર્ણ થયા બાદ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘે ઝડપથી પગલાં લીધાં અને 25 ઑક્ટોબર 2010ના રોજ ભૂતપૂર્વ CAG વી.કે. શુંગલુના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી, જેને અનિયમિતતાઓની તપાસ અને કાર્યવાહીની ભલામણ કરવાનું કામ સોંપાયું હતું. તે જ સમયે ભારતની ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને CBIએ CWGની તૈયારીઓ દરમિયાન ફરિયાદોની તપાસ શરૂ કરી હતી.
2011માં CBIએ પોતાની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, જેમાં સુરેશ કલમાડીને મુખ્ય આરોપી ગણાવ્યા હતા. આરોપ હતો કે તેમણે એક સ્વિસ કંપનીને Timing, Scoring, Results (TSR) સિસ્ટમનો કોન્ટ્રાક્ટ ₹141 કરોડમાં અપાવ્યો, જે બજાર કિંમતથી લગભગ₹95 કરોડ વધુ હતો. 24 એપ્રિલ 2011ના રોજ કલમાડીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના નજીકના સાથીઓ સેક્રેટરી જનરલ લલિત ભાનોત અને ડિરેક્ટર જનરલ વી.કે. વર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તેમના પર આરોપ હતો કે તેમણે સ્વિસ કંપનીને ₹141 કરોડનો ટાઇમિંગ ઇક્વિપમેન્ટ કોન્ટ્રાક્ટ અતિશય ખર્ચે આપવા માટે ષડયંત્ર રચ્યું હતું, જેની કિંમત બજાર દરથી ₹95 કરોડ વધુ હતી. તે જ વર્ષે ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે 5 ઑગસ્ટ 2011ના રોજ સંસદમાં એક ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ગેમ્સ પ્રોજેક્ટ્સમાં વિશાળ ખર્ચ વધારા અને નિયમોના ઉલ્લંઘનની વિગતો આપવામાં આવી હતી.
CAGએ દિલ્હી સરકાર અને બહુવિધ એજન્સીઓને ‘ખરાબ રીતે આયોજિત’ પ્રોજેક્ટ્સ, બિનજરૂરી ખર્ચ અને ગંભીર અનિયમિતતાઓ માટે દોષી ઠેરવી હતી. રાજકીય દબાણ વધ્યું હતું. કલમાડીને જાન્યુઆરી 2012માં જામીન ન મળ્યા ત્યાં સુધી નવ મહિના સુધી દિલ્હીની તિહાડ જેલમાં અન્ડરટ્રાયલ તરીકે રહ્યા હતા.
શુંગલુ સમિતિએ 2012થી 2015 દરમિયાન 6 રિપોર્ટ આપ્યા હતા. રિપોર્ટમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તેજિન્દર ખન્ના અને મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ગેમ્સ વિલેજ અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ વધારા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. આ ઉપરાંત, પ્રસારણ સોદાઓમાં ગેરરીતિઓ જોવા મળી અને સમિતિએ પ્રસાર ભારતીના તત્કાલીન CEO બી. એસ. લાલી સામે પણ કાર્યવાહીની ભલામણ કરી હતી.
2012 સુધીમાં CBIએ CWG કૌભાંડના વિવિધ પાસાઓ પર 19 FIR નોંધી, જેમાં સ્થળ બાંધકામથી લઈને સ્ટ્રીટ લાઇટિંગ કોન્ટ્રાક્ટ્સનો સમાવેશ થતો હતો. સ્પેશિયલ CBI કોર્ટમાં ટ્રાયલ ધીમે ધીમે આગળ વધી. 2014માં, એક વિશેષ કોર્ટે સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સનો અતિશય ખર્ચાળ કોન્ટ્રાક્ટ સંબંધિત એક કેસ પુરાવાના અભાવે બંધ કરી દીધો હતો. આ કેસો વર્ષો સુધી ચાલ્યા હતા કારણ કે તેમાં ઘણા બધા કોન્ટ્રાક્ટસની તપાસ કરવાની હતી.
2015માં ગેમ્સના પાંચ વર્ષ બાદ પ્રથમ સજા થઈ હતી. ઑગસ્ટ 2015માં દિલ્હીની ટ્રાયલ કોર્ટે ગેમ્સ માટે દિલ્હીમાં સ્ટ્રીટ લાઇટિંગ અપગ્રેડ કરવાના કૌભાંડમાં છ લોકોને દોષી ઠેરવ્યા હતા. ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હીના ઇજનેરો અને એક ખાનગી કંપની, M/s સ્વેકા પાવરટેકના બે ડિરેક્ટર્સ ટેન્ડર દસ્તાવેજોમાં હેરફેર કરીને કિંમતો વધારવા માટે દોષી ઠર્યા, જેનાથી સરકારને 3.3 કરોડનું નુકસાન થયું હતું. સજા ચારથી છ વર્ષની જેલની હતી. દોષિતોએ હાઇકોર્ટમાં અપીલ કરી અને સજા અટકાવવામાં આવી હતી. કેસો હજુ દિલ્હી હાઇકોર્ટમાં ચાલે છે.
CBIએ 2016 અને 2017 વચ્ચે ઘણા કેસ ચૂપચાપ બંધ કરી દીધા હતા. એક હાઇ-પ્રોફાઇલ કેસમાં લંડન સ્થિત ઇવેન્ટ નોલેજ સર્વિસીસને ₹70 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિના આરોપો હતા, પરંતુ પુરાવાના અભાવે કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો.
સ્ટેડિયમ બાંધકામમાં ગેરરીતિ બદલ 2017માં બે કોન્ટ્રાક્ટરોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સામેલ સરકારી અધિકારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે સ્કોરિંગ સિસ્ટમ સાથે સંકળાયેલા કેસમાં 11 આરોપીઓ જેમ કે કલમાડી અને ભનોટને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
2020 અને 2025ની વચ્ચે મોટાભાગના કેસ કાં તો બંધ કરવામાં આવ્યા હતા અથવા કોર્ટમાં પેન્ડિંગ રહ્યા હતા. સીબીઆઈએ 19 કેસમાંથી 11 કેસ આરોપો ઘડ્યા વિના બંધ કર્યા હતા. ફક્ત બેમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેની અપીલ પેન્ડિંગ છે અને હજુ સુધી કોઈને જેલમાં મોકલવામાં આવ્યા નથી.
દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અંતિમ અહેવાલને સ્વીકાર્યો હતો, જેમાં તારણ હતું કે કલમાડી, ભનોટ અથવા અન્ય કોઈ સામે મની લોન્ડરિંગનો કોઈ કેસ બન્યો નથી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે CBIએ કેસ પહેલાંથી જ બંધ કરી દીધો છે, તેથી કોઈ ‘ગુનાની આવક’ સાબિત થઈ શકી નથી.
15 વર્ષ પછી પણ આ મોટા કૌભાંડમાં કોઈ પણ ઉચ્ચ અધિકારીને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. આ ભારતની તપાસ પ્રક્રિયા અને ન્યાય પ્રણાલીની નબળાઈઓને ઉજાગર કરે છે. ભારતે 2010ની કૉમનવેલ્થ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હશે, પરંતુ ભ્રષ્ટાચારની ગાથા અને તેની આસપાસની લાંબી કોર્ટ લડાઈઓ ભારતની છબી પર ડાઘ છે.
મુખ્ય ખેલાડીઓ અને મોટાપાયે ભ્રષ્ટાચાર
2010ના કૉમનવેલ્થ ગેમ્સ કૌભાંડના કેન્દ્રમાં તત્કાલીન કોંગ્રેસના સાંસદ સુરેશ કલમાડી હતા, જેમનું ગેમ્સ સંબંધિત કોન્ટ્રાક્ટિંગ અને ખર્ચ પર નોંધપાત્ર નિયંત્રણ હતું. કલમાડીને એક અનુભવી રમત પ્રશાસક માનવામાં આવતા હતા. તેમની સાથે આયોજન સમિતિના સેક્રેટરી જનરલ લલિત ભાનોટ અને ડિરેક્ટર જનરલ વીકે વર્મા જેવા નજીકના સહયોગીઓ પણ હતા. આ ઉપરાંત, ટી.એસ. દરબારી, એમ. જયરાચંદ્રન અને દિલ્હી સરકારની અનેક એજન્સીઓના અધિકારીઓ પણ આ કાર્યક્રમની તૈયારીઓમાં સામેલ હતા.
આ કૌભાંડમાં વ્યાપક નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે. અહેવાલો અનુસાર આ કૌભાંડમાં આશરે ₹70,000 કરોડની ગેરરીતિ થઈ હોવાની શંકા છે, જે સમગ્ર રમતોના અંદાજિત ખર્ચ જેટલો છે. આનાથી 2010ની કૉમનવેલ્થ ગેમ્સ ઇતિહાસની સૌથી મોંઘી બની હતી. તેની સરખામણીમાં 2006માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલ CWGનો ખર્ચ ₹7,000 કરોડથી થોડો ઓછો હતો. CAG રિપોર્ટમાં જણાવાયું છે કે 2003 અને 2010ની વચ્ચે ખર્ચમાં 15 ગણો વધારો થયો હતો અને કોઈપણ સ્તરે તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવ્યો ન હતો.
લગભગ દરેક ક્ષેત્રમાં ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના નવીનીકરણનો ખર્ચ ₹76 કરોડથી વધીને ₹671 કરોડ થયો હતો. સ્ટ્રીટ લાઇટિંગ પ્રોજેક્ટનું બજેટ ₹13 કરોડથી વધીને ₹37 કરોડ થયું હતું. CAG અનુસાર, બ્યુટીફીકેશનના નામે ₹101 કરોડનો બગાડ કરવામાં આવ્યો હતો. ઘણા કોન્ટ્રાક્ટ પસંદગીની કંપનીઓને ખૂબ ઊંચા દરે આપવામાં આવ્યા હતા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને (CVC) ગેમ્સ પહેલાં જ ચેતવણી આપી હતી કે ખર્ચ ખૂબ જ વધારે પડતો બતાવવામાં આવી રહ્યો છે.
મીડિયામાં ઘણા ચોંકાવનારા કિસ્સાઓ નોંધાયા હતા, જેમ કે ટોઇલેટ પેપર રોલ્સને ₹4,000 પ્રતિ પીસ અને છત્રીઓ માટે ₹6,000 પ્રતિ છત્રીના બિલ આપવામાં આવ્યા હતા. CAGએ જણાવ્યું હતું કે કામમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો, જેથી ‘તાત્કાલિક જરૂરિયાત’નો ઉલ્લેખ કરીને નિયમોને અવગણી શકાય અને મોંઘા સોદા થઈ શકે.
સૌથી હાઇ-પ્રોફાઇલ કેસોમાંનો એક ₹141 કરોડની TSR (સમય, સ્કોરિંગ, પરિણામો) સિસ્ટમનો સમાવેશ થાય છે, જે કોન્ટ્રાક્ટ સ્વિસ કંપની સ્વિસ ટાઇમિંગને આપવામાં આવ્યો હતો, જ્યારે તેની વાસ્તવિક કિંમત માત્ર ₹50 કરોડ હતી. તેનો અર્થ એ થયો કે આ કોન્ટ્રાક્ટમાં આશરે ₹90 કરોડની ગેરરીતિઓ મળી આવી હતી.
ગેમ્સ વિલેજનું નિર્માણ Emaar MGF દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અસંખ્ય ગેરરીતિઓ મળી આવી હતી. પ્રોજેક્ટ અટકી ગયો ત્યારે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (DDA) તેને બચાવવા માટે ₹766 કરોડનું રોકાણ કરવું પડ્યું હતું. બાદમાં તેના ઘણા યુનિટ વેચવામાં આવ્યા હતા, જેના પર સવાલો પણ ઉઠ્યા હતા.
લંડનમાં ક્વીન્સ બેટન રિલે યાત્રા દરમિયાન પણ ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા હતા. સુરેશ કલમાડીના નજીકના સહયોગીની વ્યક્તિગત ભલામણ પર કથિત રીતે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વિના અનામી બ્રિટિશ કંપનીઓને ₹38 મિલિયન ચૂકવવામાં આવ્યા હતા. CAGએ આ ચુકવણીઓને ખૂબ જ શંકાસ્પદ ગણાવી હતી.
એકંદરે આ 12 દિવસના કાર્યક્રમ પર ₹18,000 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, કૉમનવેલ્થ ગેમ્સ સરકારી ભ્રષ્ટાચાર, અમલદારશાહીની બેદરકારી અને ભારતમાં અનિયંત્રિત ખર્ચનું પ્રતીક બની ગઈ.
માળખાગત વિલંબ, ખર્ચમાં વધારો
ઑક્ટોબર 2010 સુધીના અઠવાડિયામાં દિલ્હીની તૈયારીનો અભાવ વિશ્વભરમાં હેડલાઇન્સમાં આવ્યો હતો. રમતોનું આયોજન બીજા પાનાં પર ઉતરી ગયું હતું અને દરેક વ્યક્તિએ ભારતની અવ્યવસ્થાની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ દરેક કૉમનવેલ્થ ગેમ્સ (CWG) પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. ઘણા રમતગમત સ્થળો કાં તો અધૂરા હતા અથવા ઉદ્ઘાટન સમારોહ પહેલાં જ ઉતાવળમાં પૂર્ણ થઈ રહ્યા હતા.
મુખ્ય રમતો અને સમારંભોનું સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ માંડમાંડ સમયસર તૈયાર થયું હતું. દરમિયાન હોકી માટે આપવાનું હતું એ શિવાજી સ્ટેડિયમ કૉમનવેલ્થના બે વર્ષ પછી 2012માં પૂર્ણ થયું. સપ્ટેમ્બર 2010ના અંતમાં પણ આયોજકો હજુ પણ માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી રહ્યા હતા, જેનાથી ભારતની યજમાની પર પ્રશ્નો ઉભા થયા હતા.
સૌથી શરમજનક અને ગંભીર ઘટના 21 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે નેહરુ સ્ટેડિયમની બહાર એક નવો ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો હતો. આ પુલ ₹10.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો. અકસ્માત સમયે શ્રમિકો કોંક્રિટ રેડી રહ્યા હતા. અકસ્માતમાં સત્તાવીસ શ્રમિકો ઘાયલ થયા હતા, જેમાંથી પાંચને ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્રિજના ભંગારની તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બની હતી. દિલ્હીના જાહેર બાંધકામ વિભાગે (PWD) સ્વીકાર્યું હતું કે બ્રિજમાં માળખાકીય નબળાઈઓ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તાત્કાલિક સેનાને બોલાવવી પડી હતી. એક હજાર સૈનિકો અને ઇજનેરોએ માત્ર ચાર દિવસમાં એક કામચલાઉ બેલી બ્રિજ બનાવ્યો, જેને 29 સપ્ટેમ્બરના રોજ વહીવટીતંત્રને સોંપવામાં આવ્યો હતો. આ લશ્કરી કાર્યવાહીને નાગરિક કટોકટી દરમિયાન બચાવ કામગીરી તરીકે જોવામાં આવી હતી.
યમુના નદીના કિનારે ખેલાડીઓના રહેવા માટે બનાવવામાં આવેલું એથલીટ્સ વિલેજ 6,500 રમતવીરો અને અધિકારીઓ માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, સ્કોટલેન્ડ અને ન્યુઝીલેન્ડની શરૂઆતની ટીમોએ તેને માનવ વસવાટ માટે અયોગ્ય જાહેર કર્યું હતું. તેમણે પાણી ભરાવા, ગંદકી, રખડતા શ્વાનો, ખામીયુક્ત પ્લમ્બિંગ અને ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરની ફરિયાદ પણ કરી હતી. ઘણી ટીમોએ સ્પર્ધામાંથી ખસી જવા અથવા મોડા આવવાની ધમકી પણ આપી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને આયોજન સમિતિના અધ્યક્ષ કલમાડીએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સફાઈ ટીમો તહેનાત કરવામાં આવી હતી અને દીક્ષિતે પોતે દેખરેખ રાખી હતી. અધિકારીઓએ પરિસ્થિતિ માટે શ્રમિકોને દોષી ઠેરવ્યા અને દાવો કર્યો કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. જોકે, આંતરરાષ્ટ્રીય ટીકા થઈ ગયા પછી આ સફાઈ કામગીરી શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડ અને કેનેડાની ટીમો પહેલાં હોટલોમાં રોકાઈ હતી અને બાદમાં છેલ્લી ઘડીના સુધારા પછી વિલેજમાં પહોંચી હતી.
CAG રિપોર્ટ અનુસાર નબળું આયોજન અને છેલ્લી ઘડીની દોડાદોડને કારણે ખર્ચમાં વધારો થયો હતો, જેને ટાળી શકાયો હોત. વૈશ્વિક મીડિયાએ ભારતના ગેરવહીવટને ઉજાગર કર્યો અને ભારતની સરખામણી ચીનના 2008ના શાનદાર બેઇજિંગ ઓલિમ્પિક સાથે કરી, જેનાથી ભારતની છબીને ભારે નુકસાન પહોંચ્યું હતું.
CAG રિપોર્ટ અને ચોંકાવનારા ખુલાસા
મીડિયા રિપોર્ટ્સ અને વિપક્ષની ટીકા વચ્ચે ખરો આંચકો ત્યારે લાગ્યો જ્યારે 5 ઑગસ્ટ, 2011ના રોજ સંસદમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટ 2010 કૉમનવેલ્થ ગેમ્સ સંબંધિત વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની પ્રથમ સત્તાવાર પુષ્ટિ હતી.
CAG 2010ના ઓડિટમાં આયોજન સમિતિ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઘણી એજન્સીઓનો પર્દાફાશ થયો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે સમગ્ર ઇવેન્ટ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન, પસંદગીના કોન્ટ્રાક્ટરો લાભ આપવો અને વહીવટી નિષ્ફળતાઓ સામાન્ય હતી. રિપોર્ટથી દેશવ્યાપી હોબાળો મચી ગયો હતો અને ઘણા જવાબદાર વ્યક્તિઓ પર પ્રશ્નો ઉભા થયા હતા.
CAG રિપોર્ટના મુખ્ય તારણો
CAG રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે 2010 કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ તેને કોઈપણ સ્તરે નિયંત્રિત કરવામાં આવ્યો ન હતો. 2003માં ગેમ્સનો અંદાજિત ખર્ચ માત્ર ₹1200 કરોડ હતો, પરંતુ 2010 સુધીમાં તે વધીને ₹18,532 કરોડ થઈ ગયો હતો.
CAG જણાવ્યું હતું કે સરકારે કોઈપણ સ્તરે ખર્ચ વધારો રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. તેના પરિણામે આયોજન સમિતિને (OC) કોઈપણ જવાબદારી વિના અમર્યાદિત સરકારી ભંડોળ પ્રાપ્ત થયું હતું. અહેવાલમાં જણાવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે નાણાકીય અનુશાસનનો ભંગ હતો.
CAGએ એમ પણ જણાવ્યું હતું કે નિર્ણયો જાણીજોઈને વિલંબિત કરવામાં આવ્યા હતા, જેથી ટેન્ડરિંગ પ્રક્રિયાને પછીથી ‘તાત્કાલિક જરૂરિયાત’નો ઉલ્લેખ કરીને બાયપાસ કરી શકાય. તેના કારણે અસંખ્ય કોન્ટ્રાક્ટ સીધા આપવામાં આવ્યા અથવા પસંદગીની કંપનીઓની તરફેણમાં આપવામાં આવ્યા હતા. આ બધી ક્રિયાઓ સમગ્ર સિસ્ટમમાં ગંભીર ખામીઓ દર્શાવે છે.
અહેવાલમાં જણાવાયું હતું કે તત્કાલીન રમતગમત મંત્રી સુનીલ દત્તના વિરોધ છતાં 2004માં વડા પ્રધાન કાર્યાલયની (PMO) ભલામણ પર સુરેશ કલમાડીને CWG આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. CAGએ તેને એક મોટી ભૂલ ગણાવી હતી. આ નિર્ણયથી તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘ પણ તપાસના દાયરામાં આવ્યા હતા, જોકે તેમના પર કોઈ ફોજદારી ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો ન હતો.
CAGએ એ પણ તારણ કાઢ્યું કે હોકી ટર્ફ, ટ્રેક સપાટી અને સ્ટ્રીટ લાઇટિંગ જેવી બાબતોના કોન્ટ્રાક્ટ વાજબી સરખામણી વિના વિદેશી કંપનીઓને આપવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, વિદેશથી આયાત કરાયેલી સ્ટ્રીટલાઇટ ભારતમાં ઉપલબ્ધ સ્ટ્રીટલાઇટ કરતાં બમણી મોંઘી હતી અને દસ્તાવેજોમાં દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સંડોવણીનો ખુલાસો થયો હતો.
ગેમ્સ વિલેજ માટે Emaar MGFને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અને લંડનમાં ક્વીન્સ બેટન રિલે સંબંધિત ખર્ચમાં પણ નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ બ્રિટિશ કંપનીઓ AM ફિલ્મ્સ અને SIS Liveને પારદર્શિતા વિના આપવામાં આવ્યા હતા. ખાસ કરીને 246 કરોડનો પ્રસારણ કોન્ટ્રાક્ટ, જેના માટે સમિતિએ ફોજદારી કાર્યવાહીની ભલામણ કરી હતી.
CAGએ જણાવ્યું હતું કે ઇવેન્ટ પર દેખરેખ રાખવા માટે ઘણી ઓવરલેપિંગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેનાથી જવાબદારી અટકાવી શકાય. કોઈ એક એજન્સીને જવાબદાર ઠેરવવામાં આવી ન હતી, જેના કારણે ચેતવણીઓ પર સમયસર કાર્યવાહી કરવામાં આવી હતી અને કામગીરીમાં સંકલનનો અભાવ વધ્યો હતો.
અહેવાલમાં નકલી ટેન્ડર અને દસ્તાવેજમાં છેડછાડના ગંભીર આરોપોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, કોઈ વસ્તુ માટે ટેન્ડર દર ₹800થી વધારીને ₹1,800 કરવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં ટેન્ડર નિયમોને અવગણવા માટે કરારો સાથે છેડછાડ કરવામાં આવી હતી. બદલાયેલા દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી ન હતી.
જોકે CAGની ભાષા સંયમિત હતી, પરંતુ તેના અહેવાલની ગંભીરતા સ્પષ્ટ રીતે સામે આવી હતી. તેણે રમતો દરમિયાન મોટાપાયે બરબાદી, પક્ષપાત અને ગેરવહીવટની જાહેર શંકાઓને પુષ્ટિ આપી હતી. અહેવાલના પ્રકાશનથી રાજકીય તોફાન ફાટી નીકળ્યું હતું અને વિપક્ષે જવાબદારીની માંગ કરવાનું શરૂ કરી દીધું.
તે જ સમયે શુંગલુ સમિતિએ પણ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વિલંબ અને ખર્ચમાં વધારા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
જોકે CAG અહેવાલમાં ‘કૌભાંડ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. અહેવાલના પડઘા ફક્ત CWG સુધી મર્યાદિત ન હતા, તે ભારતની સંસ્થાકીય નબળાઈઓનું પ્રતીક બની ગયો હતો.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર કોંગ્રેસ પક્ષના સભ્યોએ પણ ખાનગી રીતે આ નુકસાન સ્વીકાર્યું હતું. સંસદમાં કાયદા મંત્રી સલમાન ખુર્શીદનો બચાવ નબળો સાબિત થયો અને આખો મામલો રાજકીય પરિવર્તન અને સુધારાની જરૂરિયાતનું પ્રતીક બની ગયો.
રાજકીય પરિણામો – યુપીએ સરકારે કરવો પડ્યો જનતાના આક્રોશનો સામનો
કૉમનવેલ્થ ગેમ્સ (CWG) કૌભાંડ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર માટે એક મોટી રાજકીય સમસ્યા બની ગઈ હતી. તે સમયે કોંગ્રેસ પહેલાંથી જ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ જેવા અન્ય ભ્રષ્ટાચારના કેસોને કારણે ટીકાનો સામનો કરી રહી હતી. 2010 અને 2011ની વચ્ચે જનતાનો ગુસ્સો મીડિયા ખુલાસાઓ, CAG રિપોર્ટ અને શુંગલુ સમિતિના સતત અહેવાલોને કારણે વધુ તીવ્ર બન્યો હતો.
આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ (BJP) સરકાર સામે જોરદાર ઝુંબેશ શરૂ કરી હતી. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર ‘રાષ્ટ્રીય સન્માનને નુકસાન પહોંચાડવાનો’ આરોપ લગાવ્યો હતો અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના રાજીનામાની માંગ કરી હતી. પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જો દીક્ષિત રાજીનામું ન આપે તો તેમને હટાવવા જોઈએ.
સરકાર પર હુમલા એટલા તીવ્ર હતા કે કોંગ્રેસના નેતાઓ એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા હતા. કલમાડી અને દીક્ષિત વચ્ચે ખુલ્લેઆમ ઝઘડો થયો હતો, જેના કારણે કોંગ્રેસ પાર્ટીને દરમિયાનગીરી કરવાની અને તેમને ચૂપ રાખવાની ફરજ પડી હતી.
તત્કાલીન રમતગમત મંત્રી સુનીલ દત્તના વિરોધ છતાં ડૉ. મનમોહન સિંઘના કાર્યાલય પર પણ કલમાડીની નિમણૂક અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે CAGએ ‘ભ્રષ્ટાચાર’ શબ્દનો ઉપયોગ કર્યો નથી અને કાનૂની પ્રક્રિયાને આગળ વધવા દેવી જોઈએ, પરંતુ લોકોનો ગુસ્સો આવી નબળી દલીલથી શાંત પડ્યો નહીં.
સોશિયલ એક્ટિવિસ્ટ અન્ના હજારેએ એપ્રિલ 2011માં લોકપાલ બિલની માંગણી સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. અસંખ્ય કૌભાંડો, ખાસ કરીને CWG અને 2G કૌભાંડોથી ગુસ્સે ભરાયેલા લોકોના સમર્થનથી આંદોલન ઝડપથી આગળ વધવા લાગ્યું હતું. તે જ મહિને સુરેશ કલમાડીની ધરપકડ કરવામાં આવી હતી અને કોંગ્રેસે તેમને પ્રાથમિક પક્ષના સભ્યપદમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
વિરોધ પ્રદર્શનો અને રાજકીય ઉથલપાથલના 2014ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પ્રત્યાઘાત પડ્યા હતા. 2013માં ભાજપે તેનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું અને CWG કૌભાંડ સહિત UPAના કથિત કૌભાંડો એક મુખ્ય પ્રચાર મુદ્દો બન્યા હતા.
નરેન્દ્ર મોદીએ તેમની રેલીઓમાં CWG કૌભાંડ અંગે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે, “એક દેશ રમતગમત દ્વારા વિશ્વમાં માન મેળવે છે અને બીજો અપમાન દ્વારા.” તેમણે ભારતના CWGના આયોજનની તુલના દક્ષિણ કોરિયા દ્વારા ઓલિમ્પિકના આયોજન સાથે કરી હતી.
તે જ વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટી (AAP) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. AAPએ કોંગ્રેસના સમર્થનથી થોડા મહિનાઓ માટે સરકાર બનાવી હતી, પરંતુ શીલા દીક્ષિતની ચૂંટણી હાર કોંગ્રેસ માટે મોટો ફટકો હતો અને CWG કૌભાંડે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
થોડા વર્ષો પછી જ્યારે કેસ નબળા પડ્યા અને આરોપીઓને રાહત મળવા લાગી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ દાવો કરવાનું શરૂ કર્યું કે તે બધું રાજકીય કાવતરું હતું. 2025માં પુણેમાં કોંગ્રેસના નેતાઓએ કલમાડીના નિર્દોષ છૂટા થવા અને EDના કેસ બંધ થવાને પુરાવા તરીકે ટાંકીને કહ્યું કે CWG કૌભાંડ રાજકીય રીતે પ્રેરિત આરોપ હતો.
છતાં, CAG અને શુંગલુ સમિતિના અહેવાલો હજુ પણ તે સમયની સંપૂર્ણ પ્રણાલીગત નિષ્ફળતા દર્શાવે છે. જનતાની નજરમાં CWG કૌભાંડ કુશાસન અને ભ્રષ્ટાચારનું પ્રતીક છે.
પરિણામ – ટ્રાયલ, ધરપકડ અને સજા
કૉમનવેલ્થ ગેમ્સ (CWG) કૌભાંડના કાનૂની પરિણામો લાંબા, જટિલ અને નિરાશાજનક રહ્યા છે. શરૂઆતમાં તપાસ ઝડપી હતી અને ટ્રાયલ ઝડપથી શરૂ થઈ હતી, પરંતુ સિસ્ટમ જવાબદારી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ. 2010 અને 2012ની વચ્ચે CBIએ કૌભાંડના વિવિધ પાસાંને આવરી લેતી કુલ 19 FIR દાખલ કરી હતી. સુરેશ કલમાડી, વી.કે. વર્મા અને અન્ય લોકો પર કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કલમાડી અને વર્માએ એપ્રિલ 2011થી જાન્યુઆરી 2012 સુધી જેલમાં સમય વિતાવ્યો અને પછી તેમને જામીન મળી ગયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ તેમની સામે મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી હતી. ઘણા કેસોમાં દૈનિક સુનાવણી યોજાઈ હતી, પરંતુ દસ્તાવેજોના ભારણ, સાક્ષીઓની ઉપલબ્ધતા અને કાનૂની પ્રક્રિયામાં વિલંબને કારણે કેસ ધીમે ધીમે અટકી ગયા. એક કેસમાં કોર્ટે ફોરેન્સિક તપાસ માટે છેડછાડ કરેલા ટેન્ડર દસ્તાવેજો સબમિટ કરવાની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી હતી.
અત્યાર સુધીમાં ફક્ત બે કેસમાં છ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, પરંતુ તે કેસ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ માટે પેન્ડિંગ છે અને સજાઓ સ્થગિત છે. મોટાભાગના મુખ્ય કેસ કાં તો બંધ કરવામાં આવ્યા છે અથવા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 2016માં CBIએ પુરાવાના અભાવે સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સ કેસ બંધ કરી દીધો હતો. 2017માં કલમાડી, ભનોટ અને બધા આરોપીઓને મહત્વપૂર્ણ TSR કોન્ટ્રાક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે કોર્ટે તારણ કાઢ્યું હતું કે કોઈ ગુનાહિત કાવતરું સાબિત થયું નથી.
આ જ બાબત સાથે સંબંધિત ED કેસ પણ 2025માં બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે કોર્ટે તારણ કાઢ્યું હતું કે મની લોન્ડરિંગના કોઈ નક્કર પુરાવા નથી. અત્યાર સુધી કોઈ મોટા રાજકીય ચહેરાઓને દોષિત ઠેરવવામાં આવ્યા નથી, જે ખામીયુક્ત તપાસ, પુરાવાના અભાવને કારણે સિસ્ટમની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે.
કોંગ્રેસ પક્ષ પોતાને નિર્દોષ જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ભાજપ અને અન્ય વિપક્ષી પક્ષો CAG અને CVC રિપોર્ટને ભ્રષ્ટાચારના પુરાવા તરીકે ટાંકી રહ્યા છે. ભલે કાયદાકીય સજા થઈ નથી, પરંતુ CWG કૌભાંડ જનતાની નજરમાં ભારતીય વ્યવસ્થાની નિષ્ફળતા અને બેદરકારીનું પ્રતીક બની રહ્યું છે.
શીખ્યા કે ભૂલી ગયા? મુખ્ય ઘટનાઓમાં જવાબદારી
2010ના કૌભાંડ પછી કૉમનવેલ્થ ગેમ્સમાં (CWG) ઘણા ફેરફારો થયા હતા. સુધારાઓની ચર્ચા થઈ હતી, પરંતુ તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો ન હતો. CAG રિપોર્ટમાં સૌથી મોટી ખામી કેન્દ્રીય સંકલન સંસ્થાના અભાવ તરીકે ઓળખાઈ હતી, જેના કારણે સમગ્ર ઇવેન્ટમાં અરાજકતા ફેલાઈ હતી.
ત્યારબાદની ઘટનાઓ જેમ કે 2016 દક્ષિણ એશિયન ગેમ્સ અને 2017 FIFA અંડર-17 વર્લ્ડ કપ, જે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન યોજાઈ હતી, તેને વધુ સારી દેખરેખ અને કડક નિયંત્રણ સાથે હેન્ડલ કરવામાં આવી હતી.
2011માં તત્કાલીન રમતગમત મંત્રી અજય માકને રાષ્ટ્રીય રમતગમત બિલ રજૂ કર્યું હતું. તેમાં પારદર્શિતા લાવવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) જેવી રમતગમત સંસ્થાઓને ઓડિટ અને માહિતી અધિકાર (RTI) હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, વિરોધને કારણે બિલ પસાર થયું ન હતું.
2009માં CAGનો પ્રારંભિક અહેવાલ શરૂઆતમાં અવગણવામાં આવ્યો હતો જે પછીથી ચેતવણી બની ગયો. આ પછી, આયોજન પંચ અને PMOએ ભવિષ્યમાં સમયસર ઓડિટ સુનિશ્ચિત કરવા અને પ્રારંભિક ચેતવણીઓને અવગણવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી.
સુરેશ કલમાડીને IOC દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અન્ય અનિયમિતતાને કારણે 2012માં IOAને પણ સસ્પેન્ડ. 2014માં IOAએ એક નવું બંધારણ અપનાવ્યું જેણે તેની દેખરેખ પદ્ધતિઓને મજબૂત બનાવી. પી.ટી. ઉષા જેવા ભૂતપૂર્વ રમતવીરો હવે આ સંગઠનના અધ્યક્ષ છે, જે દર્શાવે છે કે ભારત ઓલિમ્પિક જેવી યોજનાઓની તૈયારી માટે વધુ ગંભીર છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેરફારો થયા છે. કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (CGF) ભવિષ્યના આયોજકો માટે કડક નિયમો અને દેખરેખ પ્રણાલીઓ પણ સ્થાપિત કરી છે. તેનાથી ગ્લાસગો 2014 અને ગોલ્ડ કોસ્ટ 2018 રમતોની તૈયારીઓમાં સુધારો થયો હતો. જોકે, તાજેતરના વર્ષોમાં ખર્ચની ચિંતાઓને કારણે કેટલાક યજમાન દેશો પીછેહઠ કરી ચૂક્યા છે. ડર્બન (2022) અને વિક્ટોરિયાએ (2026) રમતોનું આયોજન કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, CGF એ ખર્ચ ઘટાડવા માટે રમતોની સંખ્યા ઘટાડીને 10 કરી હતી.
2010ના કૌભાંડે ભારતને ઘણા પાઠ શીખવ્યા, પરંતુ સુધારાઓ અધૂરા અને ખંડિત રહ્યા. સરકાર હવે ડિજિટલ ખરીદ પ્રક્રિયાઓ અને ખાનગી ક્ષેત્રની કુશળતા વિશે વાત કરી રહી છે, પરંતુ 2030 કૉમનવેલ્થ ગેમ્સ ભારત માટે સાબિત કરવાની તક છે કે તેણે ભૂતકાળની ભૂલોમાંથી ખરેખર કંઇક શીખ્યું છે, નહીં તો ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી શકે છે.
આ વખતે શું અલગ છે – નવી પારદર્શિતા અને માળખું
2030 કૉમનવેલ્થ ગેમ્સની (CWG) યજમાની માટે ભારતની દાવેદારીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે 2010ની ભૂલોનું પુનરાવર્તન નહીં થાય. ભારત સરકાર અને કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) બંનેએ આ વખતે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ઘણા સુધારાઓની રૂપરેખા આપી છે.
ભારત પાસે તૈયારી માટે ઓછો સમય હોવા છતાં તૈયારીઓ સમયપત્રક મુજબ આગળ વધી રહી છે. સદનસીબે ઘણા સ્થળો પહેલાંથી જ અસ્તિત્વમાં છે અથવા 2036 ઓલિમ્પિક્સ માટે બોલી લગાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 2010ની જેમ છેલ્લી ઘડીની અંધાધૂંધી અને ઉતાવળમાં બાંધકામ નહીં થાય.
મોદી સરકારે ઈ-પ્રોક્યોરમેન્ટ (ડિજિટલ ટેન્ડર સિસ્ટમ) અને ઓપન ટેન્ડર અપનાવ્યા છે, જેનાથી ખર્ચ અને કરારોમાં પારદર્શિતા સુનિશ્ચિત થાય છે. દરમિયાન, CGFની દેખરેખ સિસ્ટમ પહેલાં કરતાં વધુ કડક બની છે.
2010ની સરખામણીમાં હવે જનતા, મીડિયા અને નાગરિક નિરીક્ષણની ભૂમિકા પણ ઘણી વધુ સક્રિય છે. કોઈપણ ગેરવાજબી ખર્ચ અથવા વિલંબ તરત જ રાષ્ટ્રીય સમાચાર બની જાય છે, જેનાથી જવાબદારો પર દબાણ વધે છે.
આ વખતે રાજકીય દાવ પણ વધારે છે. સરકાર માટે 2030 CWG માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ 2036 ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી તરફનું પ્રથમ પગલું છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ઉચ્ચ સ્તરીય કેન્દ્ર સરકારના નેતાઓ વ્યક્તિગત રીતે આયોજન અને દેખરેખમાં સામેલ છે, જેમાં બેદરકારી માટે કોઈ જગ્યા નથી. આ વખતે ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: ભારતને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય રમતગમત આયોજક તરીકે રજૂ કરવાનો.
2030નો માર્ગ – શું ભારત તેની છબી સુધારી શકશે?
2030 કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને 2010માં તેની કલંકિત છબી સુધારવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. આગામી પાંચ વર્ષમાં તૈયારી અને સંગઠનની ગુણવત્તા નક્કી કરશે કે ભારત પર મૂકવામાં આવેલ વિશ્વાસ વાજબી હતો કે નહીં.
જો આ રમતો ભ્રષ્ટાચાર કે વિલંબ વિના સમયસર સફળતાપૂર્વક યોજવામાં આવે છે તો ભારત 2010ની નકારાત્મક છબીને દૂર કરશે એટલું જ નહીં, પરંતુ ઓલિમ્પિક જેવા મોટા આયોજન માટે તેની તૈયારી પણ સાબિત કરશે. ભારત વિશ્વભરમાં રમતગમતની ઘટનાઓ માટે એક પસંદગીનું સ્થળ બનવાની ઇચ્છા રાખે છે.
આ સફળતાની લાંબાગાળાની અસર ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. 2010ની દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સ પછી બાંધવામાં આવેલી માળખાગત સુવિધાનો ઉપયોગ ઓછો થયો છે. જોકે, અમદાવાદમાં સ્ટેડિયમ, સુધારેલ શહેરી સેવાઓ અને ટકાઉ વિકાસ પ્રાપ્ત કરે છે તો આ ઇવેન્ટ શહેરને લાંબાગાળાના ફાયદા આપી શકે છે. જોકે, આ બધું પારદર્શિતા અને ખર્ચ નિયંત્રણના દાયરામાં થવું જોઈએ.
2030 ભારત માટે બીજી તક છે. આ વખતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભૂતકાળની ભૂલોમાંથી શીખેલા પાઠનો ઉપયોગ કરીને નવી પેઢીના નેતૃત્વ હેઠળ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ પેઢી સફળ થાય છે તો 2030નો ઉદ્ઘાટન સમારોહ ભારત માટે એક ગૌરવની ક્ષણ બની શકે છે, જેનાથી દેશ પોતાની જૂની ભૂલો અને શરમને છોડીને પ્રામાણિકતા અને ક્ષમતા સાથે વૈશ્વિક મંચ પર પોતાની નવી ઓળખ બનાવી શકે છે.


