Saturday, September 28, 2024
More
    હોમપેજદેશ'શાહી ઈદગાહ પાર્કમાં લાગશે ઝાંસીના રાણીની પ્રતિમા, તેઓ રાષ્ટ્રીય નાયક': સરકારી મેદાન...

    ‘શાહી ઈદગાહ પાર્કમાં લાગશે ઝાંસીના રાણીની પ્રતિમા, તેઓ રાષ્ટ્રીય નાયક’: સરકારી મેદાન પર દાવો કરી રહ્યું હતું વક્ફ, હાઈકોર્ટે લગાવી ફટકાર; મસ્જિદ કમિટીને કહ્યું- માફી માંગો, ના કરો સાંપ્રદાયિક રાજનીતિ

    ચીફ જસ્ટિસ મનમોહને વધુમાં કહ્યું કે, “તેઓ (લક્ષ્મીબાઈ) એક રાષ્ટ્રીય નાયક છે, જે ધાર્મિક સીમાઓથી પરે છે. અરજદાર (મસ્જિદ સમિતિ) સાંપ્રદાયિક રેખાઓ તાણવાનો પ્રયાસ કરે છે અને કોર્ટનો ઉપયોગ કરે છે."

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે (25 સપ્ટેમ્બર 2024) સિંગલ જજ સામે નિંદનીય દલીલો કરવા બદલ શાહી ઈદગાહ પ્રબંધન સમિતિને (Shahi Idgah Committee) ફટકાર લગાવી અને તેને માફી માંગવા કહ્યું. સિંગલ જજે શહેરના સદર બજાર વિસ્તારમાં શાહી ઈદગાહ પાર્કની જગ્યાને DDAની જાહેર કરી હતી અને ‘ઝાંસીની રાણી’ની (Jhansi Ki Rani) પ્રતિમા સ્થાપિત કરવા વિરુદ્ધની ઈદગાહ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે મસ્જિદ કમિટીને આ ઘટનાને લઈને માફી માંગવા પણ કહ્યું છે અને સાથે જ રાણી લક્ષ્મીબાઈને રાષ્ટ્રીય નાયક પણ કહ્યા છે.

    કોર્ટે મસ્જિદ સમિતિએ દાખલ કરેલી અરજીની કેટલીક પંક્તિઓ અને શબ્દો પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. અરજીમાં સિંગલ જજના તે નિર્ણયની સત્યતા અને વિશ્વાસ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેના હેઠળ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ને શાહી ઈદગાહ પાર્કમાં લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મસ્જિદ સમિતિએ આ જમીન પર પોતાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ કોર્ટે તેને DDAની જમીન જાહેર કરી છે. વક્ફના (Waqf Board) દાવા બાદ ત્યાં ઝાંસીની રાણીની પ્રતિમા લગાવવા મુદ્દે પણ મસ્જિદ સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો.

    ‘મસ્જિદ સમિતિ કરી રહી છે સાંપ્રદાયિક રાજકારણ’- કોર્ટ

    કેસની સુનાવણી દરમિયાન કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે વિવાદને સાંપ્રદાયિક રંગ આપવા બદલ મસ્જિદ સમિતિની ટીકા કરી હતી. આ સાથે દિલ્હી હાઈકોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, ઈદગાહ મસ્જિદ સમિતિ આવતીકાલ (26 સપ્ટેમ્બર) સુધીમાં આવા વર્તન માટે બિનશરતી માફી પણ માંગે. જસ્ટિસ મનમોહને ઈદગાહ મસ્જિદ સમિતિને કહ્યું કે, “કોર્ટના માધ્યમથી સાંપ્રદાયિક રાજકારણ રમાઈ રહ્યું છે! તમે (મસ્જિદ સમિતિ) આ બાબતને એવી રીતે રજૂ કરી રહ્યા છો કે જાણે તે કોઈ ધાર્મિક મુદ્દો હોય, પરંતુ તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જોડાયેલો મુદ્દો છે.” આ સાથે જ જસ્ટિસ ગેડેલાએ કહ્યું કે, “ઝાંસીની રાણીની પ્રતિમા હોવી ખૂબ ગર્વની વાત છે. આપણે આ દિવસોમાં મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ અને તમારી પાસે તો આ એક મુદ્દો પણ છે.”

    - Advertisement -

    કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહને વધુમાં કહ્યું કે, “તેઓ (લક્ષ્મીબાઈ) એક રાષ્ટ્રીય નાયક છે, જે ધાર્મિક સીમાઓથી પરે છે. અરજદાર (મસ્જિદ સમિતિ) સાંપ્રદાયિક રેખાઓ તાણવાનો પ્રયાસ કરે છે અને કોર્ટનો ઉપયોગ કરે છે. સાંપ્રદાયિક ધોરણે વિભાજન ન કરો. તમારું સૂચન જ વિભાજનકારી છે. જો જમીન તમારી હોત, તો તમારે પ્રતિમા સ્થાપિત કરવા સ્વેચ્છાએ આગળ આવવું જોઈતું હતું!”

    ‘ઝાંસીની રાણીની પ્રતિમા સ્થાપવાથી બગડશે કાયદો-વ્યવસ્થા’- મસ્જિદ સમિતિ

    મસ્જિદ સમિતિના વકીલે દલીલ કરી હતી કે, શાહી ઈદગાહની સામે ઝાંસીની રાણીની પ્રતિમા સ્થાપિત કરવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમણે કહ્યું કે, દિલ્હી લઘુમતી સમિતિએ યથાસ્થિતિનો આદેશ આપ્યો હતો. તેથી મૂર્તિની સ્થાપના કરી શકાતી નથી. તેમણે કહ્યું કે લઘુમતી સમિતિના આ આદેશને સિંગલ જજ સમક્ષ પડકારવામાં આવ્યો ન હતો. તેથી આ હુકમ હજુ પણ લાગુ રહેશે.

    મસ્જિદ સમિતિના વકીલે વધુમાં દલીલ કરી હતી કે, DDA અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક સ્થળની ભાળ મેળવી છે, જ્યાં પ્રતિમા સ્થાપિત કરી શકાય તેમ છે. દરમિયાન, DDAના વકીલે મસ્જિદ સમિતિની દલીલોમાં કેટલાક ‘નિંદાપાત્ર’ ફકરાઓ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેને કોર્ટના સિંગલ જજના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું, જેમણે તાજેતરમાં આદેશ આપ્યો હતો કે વિવાદિત જમીન DDAની છે.

    દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે આવી દલીલો કરવા બદલ શાહી ઈદગાહ પ્રબંધ સમિતિને આવતીકાલ (26 સપ્ટેમ્બર) સુધીમાં માફી માંગવા આદેશ આપ્યો છે. કોર્ટની ફટકાર બાદ સમિતિના વકીલ બિનશરતી માફી માંગવા સંમત થયા હતા. આ સાથે તેણે પોતાની અપીલ પાછી ખેંચવાની પરવાનગી પણ માંગી હતી. આ મામલામાં કોર્ટની આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે છે.

    મેદાન પર ઈદગાહ સમિતિના દાવાને કોર્ટે ફગાવ્યો

    નોંધવા જેવું છે કે, સિંગલ જજ સમક્ષ રજૂ કરવામાં આવેલી તેની અરજીમાં, મસ્જિદ સમિતિએ કોર્પોરેશનના અધિકારીઓને શાહી ઈદગાહ પર અતિક્રમણ ન કરવા માટે નિર્દેશ આપવા માટે કોર્ટ પાસે માંગ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, તે વક્ફ મિલકત છે. મસ્જિદ સમિતિએ જણાવ્યું હતું કે, 1970માં પ્રકાશિત એક ગેઝેટ નોટિફિકેશનમાં શાહી ઈદગાહ પાર્કને મુઘલકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. આ સાથે જ ત્યાં ઝાંસીની રાણીની પ્રતિમા સ્થાપવા પર રોક લગાવવાની માંગણી પણ કરવામાં આવી હતી.

    અરજીમાં મસ્જિદ સમિતિએ વધુમાં કહ્યું હતું કે, આ શાહી ઈદગાહ પરિસરનો ઉપયોગ નમાજ પઢવા માટે કરવામાં આવે છે. જેમાં એક સાથે 50,000 નમાજીઓ નમાજ પઢી શકે છે. જોકે, સિંગલ જજે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ઈદગાહ હદની અંદરનો વિસ્તાર, જે પાર્ક અથવા ખુલ્લું મેદાન છે, તે DDAનો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દિલ્હી વક્ફ બોર્ડ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ પાર્કના ઉપયોગને અધિકૃત કરતું નથી. આ સાથે જ ત્યાં ઝાંસીની રાણીની પ્રતિમા સ્થાપવા માટે પણ સહમતી દર્શાવી હતી. હવે આ કેસ અંગેની સુનાવણી 27 સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં