અમદાવાદના (Ahmedabad) દિલ્હી દરવાજા (Delhi Darwaja) વિસ્તારમાં 29 મેની રાત્રે ભારે હોબાળો મચ્યાની ઘટના સામે આવી હતી. એક વાહનમાં પાડા ભરીને બલિ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. જેની જાણ ગૌરક્ષકોને થતા તેમણે આ વાહનને રોક્યું હતું. જોકે જોતજોતામાં ત્યાં મુસ્લિમ સમુદાયના લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું અને તેનો વિરોધ કરતા બંને જૂથો સામે સામે આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ 29 મેની મોડી રાત્રે આ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ગૌરક્ષકોને પાડા ભરેલી ગાડી અંગેની માહિતી મળતા તેમણે દિલ્હી દરવાજા નજીક આ ગાડી રોકી હતી. ત્યારપછી હિંદુ-મુસ્લિમ બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટના સ્થળે ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતા ભારે હોબાળો મચ્યો હતો.
ભીડ ભેગી થઈ હોવાની જાણકારી માધુપુરા પોલીસને મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે ભેગો થઈ ગયો હતો. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર પોલીસે ઘટનાસ્થળ પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. પોલીસે કેટલાકને સમજાવીને તો કેટલાકને લાઠીચાર્જ દ્વારા પાછા વાળ્યા હતા. અહેવાલ મુજબ ઘટનાની જાણકારી મળતા ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યો હતો.
સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, રાતના સમયે માધુપુરા પોલીસને ભીડ ભેગી થયાની મેસેજ મળ્યો હતો, જેથી પોલીસે સ્થળ પર પહોંચી હતી. લોકોના ટોળા ભેગા થયા હતા, તેમને સમજાવીને દૂર કરવામાં આવ્યા હતા.
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ દરિયાપુર પોલીસ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પોલીસે તકેદારી સ્વરૂપે બનાવ બાદ તરત જ ઘટના સ્થળે પોઈન્ટ ગોઠવી દીધો હતો. આ સિવાય માધુપુરા પોલીસ સાથે વાત કરતા જાણવા મળ્યું કે પાડા ભરેલી ગાડીને રોકવાને લઈને આ હોબાળો થયો હતો. જેમાં પોલીસે બંને પક્ષોના જવાબ નોંધ્યા છે. જોકે આ મામલે હજી સુધી કોઈ FIR નોંધાઈ નથી કે કોઈ ધરપકડ કે અટકાયત પણ કરવામાં આવી નથી.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે બે જૂથ વચ્ચે અથડામણ; પોલીસે દોડી જઇ મામલો થાળે પાડ્યો#Ahmedabad #DelhiDarwaja #AhmedabadPolice #Viral #GujaratSamachar pic.twitter.com/fAjfb1uspP
— Gujarat Samachar (@gujratsamachar) May 30, 2025
આ ઉપરાંત ઘટના અંગે જાણવા ઑપઇન્ડિયાએ બજરંગ દળના જ્વલિતભાઈ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “29 મેની રાત્રે દિલ્હી દરવાજા નજીક આવેલ ફરકી ખાતે 2 ગાડીમાં કસાઈઓ પાડા લઈને જઈ રહ્યા હતા. જ્યારે બજરંગદળના કાર્યકર્તાને આ અંગે જાણ થઈ ત્યારે તેમણે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ગાડીનો ડ્રાઈવર ફટાફટ ગાડી ભગાવીને મુસ્લિમ બહુલ વિસ્તારમાં લઈ ગયો.”
‘પાડાની પાછળ છુપાવેલું હતું વાછરડું’
તેમણે જણાવ્યું કે “ગાડીમાં જોતા ખબર પડી કે એમાં 2 પાડા અને એની પાછળ વાછરડું છુપાવેલું હતું. આ જ દરમિયાન દિલ્હી દરવાજા વિસ્તારમાંથી લગભગ 300-400 મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું. આ દરમિયાન બજરંગદળના એક કાર્યકર્તા સાથે મારપીટ કરવામાં આવી. જોકે સદનસીબે કાર્યકર્તાને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “ભીડ ભેગી થતા પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને પોલીસ પશુ ભરેલી ગાડી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટોળાએ પોલીસને ગાડીમાંથી ઉતારી દીધી અને પોતે ધક્કા મારીને ગાડી લઈ જવા લાગ્યા. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના થતા રોકી લીધી.”
મુસ્લિમ સમુદાયના લોકોએ તેમના વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવ્યા હોવાના આરોપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મુસ્લિમ વિસ્તારમાં જઈને આવા કોઈ નારા લગાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાઓ જ્યાં ઉભા હતા એ જગ્યાએ જ આ નારા લગાવ્યા હતા. જાણીજોઇને મુસ્લિમ વિસ્તારમાં નારા લગાવવાના આરોપ તેમણે ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે આજે (30 મે) સાંજ સુધીમાં FIR નોંધાય એવી સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું કે બજરંગદળે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમુદાય તરફથી એક શખ્સે નિવેદન આપ્યું હતું. આ શખ્સે પોતે SDPIનો કાર્યકર્તા હોવાનું કહ્યું હતું. નોંધવા જેવી બાબત છે કે SDPI (સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા) પ્રતિબંધિત ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFIની રાજકીય પાંખ છે. છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદમાં SDPIની ગતિવિધિઓ ઘણા પ્રમાણમાં વધી હોય એવા મામલા સામે આવી ચૂક્યા છે.