Thursday, September 19, 2024
More
    Home Blog Page 1111

    ‘જહાંગીરપુરીમાં વૃંદા કરાત, કોર્ટમાં કપિલ સિબ્બલ, ‘આપ’નું સંરક્ષણ’ : દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું- તોફાનીઓને બચાવવા માટે સેક્યુલર ગેંગ મેદાને

    હનુમાન જયંતીના દિવસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલાં રમખાણો બાદ પકડાયેલા તોફાનીઓની ભૂમિકાને લઈને રાજ્ય સરકાર પર પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે જહાંગીરપુરી હિંસા માટે જવાબદાર આ તોફાનીઓને દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીનું સંરક્ષણ મળી રહ્યું છે.

    દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જે રીતે સુપ્રીમ કોર્ટમાં તોફાનીઓનો પક્ષ લેવામાં આવી રહ્યો છે અને જહાંગીરપુર વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે તે દર્શાવે છે કે આ તોફાનીઓને બચાવવા માટે ‘સેક્યુલર ગેંગ’ એક થઇ ગઈ છે.

    આદેશ ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું, ‘વૃંદા કારતનું જહાંગીરપુરી જવું, કપિલ સિબ્બલનું કોર્ટમાં પક્ષ રાખવું અને આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓનું તોફાનમાં સામેલ થવું સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તોફાનીઓને સંરક્ષણ આપવા માટે કથિત સેક્યુલર ગેંગ આજે એક થઇ ગઈ છે.’

    આદેશ ગુપ્તાએ કહ્યું, જહાંગીરપુરી વિસ્તારમાં ધારાસભ્ય અને કોર્પોરેટર બંને આમ આદમી પાર્ટીના છે અને બંને માફિયાઓ અને તોફાનીઓને સંરક્ષણ આપી રહ્યા છે. ત્યાં જે તોફાનીઓ પકડાયા છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમને સંરક્ષણ મળી રહ્યું હતું.

    આદેશ ગુપ્તાએ કહ્યું કે, અન્સાર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. જહાંગીરપુરીના ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેના સબંધો છે. તે એક માફિયા તરીકે કામ કરતો હતો. ત્યાં જેઓ પણ ગેરકાયદે ધંધો કરતા હતા તેઓ તપાસમાં સામે આવી જશે. આ પોલીસ તપાસનો વિષય છે.

    દિલ્હી પોલીસની કાર્યવાહી મામલે સંતુષ્ટિ વ્યક્ત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, જહાંગીરપુરી વિસ્તારમાં સ્થિતિ ઠીક નથી. તોફાનીઓએ શાંતિપૂર્ણ યાત્રા અને નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન વચ્ચે દિલ્હી પોલીસ આવી તો તેમની ઉપર પણ ગોળી ચલાવવામાં આવી. આવા તોફાનીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી.

    જહાંગીરપુરી હિંસા બાદ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી રહેલા અતિક્રમણને લઈને તેમણે કહ્યું, મેં કોર્પોરેશનના કમિશનર અને મેયરને પત્ર લખ્યો હતો. મેં ગેરકાયદે સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. ત્વરિત કાર્યવાહી કરવા બદલ હું પાલિકાને અભિનંદન પાઠવું છું.

    તેમણે કહ્યું કે અતિક્રમણ હટાવવું એ પાલિકાનું કામ છે. ઘણીવાર ફરિયાદ મળ્યા બાદ થાય છે તો ઘણીવાર રૂટિન કામ તરીકે કરવામાં આવે છે. આવનાર સમયમાં દિલ્હીમાંથી અને ખાસ કરીને જ્યાં ગેરકાયદે કારોબાર ચાલતા હોય, નશાખોરી થતી હોય તેવા વિસ્તારોમાંથી અતિક્રમણ હટાવવામાં આવશે.

    બાંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના અતિક્રમણ અને ગેરકાયદે નિરમાનોને લઈને તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી રોહિંગ્યાઓને કેજરીવાલ સરકારનું સમર્થન મળી રહ્યું છે. સરકાર તેમને વીજળી-પાણી અનર રાશન મફતમાં આપી રહી છે. આ વિસ્તારોમાં કાર્યવાહી ખૂબ જરૂરી છે અને કોર્પોરેશન આ મામલે આગળ પણ કાર્યવાહી ચાલુ જ રાખશે.

    બીજેપી નેતાઓ બાદ હવે પંજાબ પોલીસ પહોંચી કુમાર વિશ્વાસના ઘરે, કવિએ ભગવંત માનને આપી ચેતવણી

    પંજાબ પોલીસ આ પહેલા ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજકારણી બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત આવી ચૂકી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ તથા આમ આદમી પાર્ટીના સ્થાપક સદસ્ય કુમાર વિશ્વાસના ઘરનો દરવાજો ખખડાવ્યો છે.

    એવું લાગે છે કે પંજાબ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ જે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેને દબાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પંજાબ પોલીસે ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજનેતા બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત મુલાકાત લીધી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના ઘરે પણ પહોચી છે.

    કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેણે પંજાબના સીએમ ભગવંત માનને ચેતવણીના રૂપમાં સલાહ પણ આપી છે અને માનને તેમના ભૂતકાળની યાદ અપાવી છે. કુમાર વિશ્વાસના ઘરે પંજાબ પોલીસનું પહોચવું એ મુદ્દો હવે વધુ વેગ પકડે એવી આશંકા છે.

    કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘વહેલી સવારે પંજાબ પોલીસ દરવાજા પર આવી પહોંચી છે. એક સમયે, મારા દ્વારા પાર્ટીમાં સામેલ કરાયેલા ભગવંત માનને હું ચેતવણી આપું છું કે દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ, જેને તમે પંજાબની જનતાએ આપેલી સત્તા સાથે રમવા દો છો, તે એક દિવસ તમને અને પંજાબને છેતરશે. દેશને મારી ચેતવણી યાદ રહે.’

    પંજાબ પોલીસે કુમાર વિશ્વાસ વિરૂદ્ધ કયા કેસમાં કેસ નોંધ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું લાગે છે કે કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના ખાલિસ્તાનીઓ સાથેના સંબંધોનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસ એ જ મામલામાં તેમના ઘર સુધી પહોંચી ગઈ છે જે તેમણે દાવો કર્યો હતો.

    કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે તેઓ AAPમાં હતા ત્યારે એક દિવસ કેજરીવાલે તેમને કહ્યું હતું કે જો તેઓ પંજાબ જીતશે તો હું અલગ દેશનો પીએમ પણ બની શકું છું. તેના પર આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપવામાં આવ્યા હતા. જો કે, બાદમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પોતે બે વીડિયો જાહેર કર્યા હતા જેમાં જણાવાયું હતું કે AAPએ ચૂંટણી લડવા માટે તેમની પાસેથી નાણાકીય અને અન્ય ટેકો લીધો હતો.

    પંજાબ પોલીસ દ્વારા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધના નિવેદનોને લઈને મોહાલીના સાયબર ક્રાઈમ સેલમાં ઉપરાઉપર કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ પહેલા દિલ્હીમાં બીજેપી નેતા તેજિંદર બગ્ગા, દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પણ પંજાબ પોલીસ તપાસ માટે દિલ્હી પહોંચી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલ ઉપરાંત અનેક લોક ઉપયોગી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

    બનાસ ડેરી ખાતેના નવા સંકુલના ઉદઘાટન સાથે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ, ચીઝ-વેય પ્રોસેસિંગ પ્લાન્ટ, 4 બનાસ બાયોગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન તથા બનાસડેરીના હમણાં સુંધીના વિકાસને દર્શાવતી કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું.

    પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં કો-ઓપરેટિવ ચળવળથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પ્રધાનમંત્રી મોદીએ બનાસડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, “હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું.”

    બનાસકાંઠાએ બટાટાના મબલખ ઉત્પાદન દ્વારા ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી, વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી. આ અવસર પર પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    બનાસ ડેરી દ્વારા મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લોકલ પ્રોડક્ટને વૈશ્વિક બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહ્યું કે, મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભર થશે.

    નહિવત વરસાદ અને સૂકી જમીન વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા ખેડૂતો બનાસકાંઠામાં જોવા મળે છે.

    બનાસડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે, પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યુ કે, બનાસકાંઠાના લોકો જેને સમજી-સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે.

    આ બનાસડેરીએ ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે.

    પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ 75 તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ-જનકલ્યાણ માટેના અનેક માર્ગ હોય છે. સીમાદર્શન, રણોત્સવ, જેવા પ્રકલ્પોથી ટુરિઝમ ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે, ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની આધુનિક સુવિધાઓ અને તેનાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

    નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂપિયા 600 કરોડના ખર્ચે નવનિર્મિત ડેરી સંકુલ અને બટાટા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ નવું તૈયાર કરવા આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે.

    WHOના પારંપરિક દવાઓના વૈશ્વિક કેન્દ્ર: કોરોનાકાળમાં આયુર્વેદનું મહત્વ આપમેળે સમજાયું હતું

    આયુર્વેદિક સારવાર દ્વારા કોરોનાના કપરાં કાળમાં એવા લાખો લોકોને જીવનરક્ષક સારવાર મળી હતી કે જેમણે દવાખાના સુંધી નહોતાં પહોંચી શક્યા અથવા જેમને દવાખાનામાં ખાટલા કે ઓક્સિજનની વ્યવસ્થા થઇ નહોતી. આજે જ્યારે WHO પણ પરંપરાગત સારવાર પર ભાર આપી રહ્યું હોય ત્યારે ભગવાન ધન્વંતરિ સર્જિત આ આયુર્વેદથી કોરોનાની સારવારમાં થયેલ અસર જરૂર જાણવી જોઈએ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવાના આ પગલાને WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે “ગેમ-ચેન્જર” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને WHOના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે.

    ડૉ. પૂનમે ANI સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે.

    કોરોનાકાળ દરમિયાન સફળ નીવડી હતી આયુર્વેદિક સારવાર

    2020-2021 માં જ્યારે કોરોનાનાં કેસ ભારતમાં ટોચ પર હતા અને સર્વત્ર કોરોનાનો કહેર વર્તી રહ્યો હતો ત્યારે ભારતની પ્રજાને આયુર્વેદિક સારવાર પદ્ધતિઓએ રાહતનો શ્વાસ આપ્યો હતો. ભલે એ કોરોનીલ કીટ હોય કે ગિલોય ઘનવટી, સુદર્શન વટી હોય કે દિવ્ય ધારા હોય, કંથામૃત ગોળીઓ હોય કે વરાળથી નાસ લેવાની સારવાર હોય, દરેક ઘરમાં આયુર્વેદિક સારવાર એક રક્ષાકવચ તરીકે ઉભરી આવ્યું હતું.

    લગભગ દરેક દવાખાનાઓમાં કોરોનાની સારવારમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દર્દીઓને જુદી જુદી આયુર્વેદિક ગોળીઓ સાથે બે થી ત્રણ સમય આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવતાં હતા. દરેક શહેર-ગામમાં પ્રશાસન દ્વારા તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સેવાભાવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આયુર્વેદિક દવાઓ, ચૂરણો તથા ઉકાળાઓનું વિતરણ કરવામાં આવતું હતું.

    ગુજરાત સરકારની ધન્વંતરિ રથ સેવા પણ રેડ ઝોન તરીકે નોંધાયેલ સ્થળોએ જઈને સામાન્ય નાગરિકોને આ અતિજરુરી આયુર્વેદિક સારવાર માટેની સામગ્રીઓ વિનામૂલ્યે પહોંચાડતી હતી. સમગ્ર કોરોના કાળ દરમિયાન એવા અનેક કિસ્સા સામે આવ્યા કે જેમાં આયુર્વેદિક સારવાર દ્વારા કેટલાય વ્યક્તિઓ તથા કેટલાય પરિવારો કોરોનાના ભરડામાંથી સકુશળ બહાર આવ્યા હોય.

    વિશ્વની અનેક મોટી સંસ્થાઓની રિસર્ચમાં સાબિત થયું કે કોરોનાની સારવારમાં અન્ય પદ્ધતિઓ કરતા આયુર્વેદિક સારવાર વધુ અસરકારક નીવડી હતી.

    આયુર્વેદિક સારવાર પરંપરાગત દવાઓ કરતાં વધુ શક્તિશાળી છે, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

    વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સારવાર મેળવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, ત્યારે કોરોના દર્દીઓની ક્લિનિકલ ટ્રાયલના એક ગ્રાઉન્ડબ્રેકિંગ વચગાળાના પરિણામએ નવી આશાઓને જન્મ આપ્યો હતો. દર્દીઓ ત્રણ હોસ્પિટલોમાં કોરોના માટે કુદરતી સારવાર લઈ રહ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે આયુર્વેદિક ઉપચારની સંયુક્ત સારવાર એલોપેથિક સારવારના પરંપરાગત માર્ગની સરખામણીમાં કોરોનાના કેટલાક લક્ષણોને દૂર કરવામાં વધું સક્ષમ હતી.

    ક્લિનિકલ ટ્રાયલ ત્રણ અલગ-અલગ હૉસ્પિટલોમાં હાથ ધરવામાં આવી હતી અને કોરોના દર્દીઓને કોરિવલ લાઇફ સાયન્સ દ્વારા “ઇમ્યુનોફ્રી” તરીકે ઓળખાતી આયુર્વેદિક દવા અને બાયોજેટિકા દ્વારા ‘રેજિનમ્યુન’ કે જે ન્યુટ્રાસ્યુટિકલ છે તેની સંયુક્ત સારવાર આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ કુદરતી ઉપાયોના સંયોજનથી સરકાર દ્વારા કોરોના માટે મંજૂર કરવામાં આવેલી પરંપરાગત સારવારની સરખામણીમાં વધુ સારા પરિણામો આવ્યા હતા.

    આયુર્વેદિક ઉપાય ઇમ્યુનોફ્રી અને ન્યુટ્રાસ્યુટિકલ બાયોગેટિકાની મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં 3 હોસ્પિટલોમાં કરવામાં આવી રહી હતી. જેથી મધ્યમ લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની કુદરતી સારવારની અસરને સમજવામાં આવે. આ હોસ્પિટલોમાં લોકમાન્ય હોસ્પિટલ પુણે, મહારાષ્ટ્ર, સરકારી મેડિકલ હોસ્પિટલ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા, ગુજરાતનો સમાવેશ થયો હતો.

    આમ ભગવાન ધન્વંતરિ દ્વારા હજારો વર્ષો પહેલાં દર્શાવાયેલ આયુર્વેદિક સારવાર આ કોરોના જેવા એકદમ નવા તથા જીવલેણ રોગોમાં પણ અસરકારક નીવડે એ ભારત માટે પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરવા જેવી બાબત છે.

    પ્રધાનમંત્રી મોદીએ જામનગર, ગુજરાત ખાતે ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ નો શિલાન્યાસ કર્યો

    આજે ગુજરાતનાં જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો.

    કાર્યક્રમના મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મોરેશિયશના પ્રધાનમંત્રી પ્રબિંદકુમાર જગનાથ, WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ , ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના આયુષ મંત્રી સરબનંદા સોનોવાલ, ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા જોવા મળ્યા.

    સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહી હતી.

    • ગણપતિ વંદના તથા ધન્વંતરિ વંદના સાથે જામનગર ખાતેના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
    • આયુષ મંત્રીનું સરબનંદા સોનોવાલનું વક્તવ્ય થયું.
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વક્તવ્ય થયું.
    • WHO ના ભાગ એવા બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળના પ્રધાનમંત્રીઓના વિડિયો મેસેજ દ્વારા વક્તવ્ય થયા.
    • WHO ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસનું વક્તવ્ય થયું.
    • મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રબિંદકુમાર જગનાથનું વક્તવ્ય થયું.
    • પ્રધાનમત્રીશ્રી મોદીએ સેન્ટર નો શિલાન્યાસ કર્યો હતો.
    • અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય થયું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

    WHO પરંપરાગત દવાના આ કેન્દ્ર તરીકે ભારત સાથે નવી ભાગીદારી કરી છે. પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતના યોગદાન અને ભારતની ક્ષમતા બંને માટે આ સન્માન છે. ભારત આ ભાગીદારીને સમગ્ર માનવતાની સેવા કરવાની મોટી જવાબદારી તરીકે લઈ રહ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    પાંચ દાયકા કરતાં વધુ સમય પહેલાં જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. અહીં એક શ્રેષ્ઠ આયુર્વેદ સંસ્થા છે – ‘આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા’. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું આ ગ્લોબલ સેન્ટર વૈશ્વિક સ્તરે વેલનેસ ક્ષેત્રે જામનગરની ઓળખને નવી ઊંચાઈ આપશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    રોગમુક્ત રહેવું એ જીવનની સફરનો મહત્વનો ભાગ બની શકે છે, પરંતુ સુખાકારી એ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. આપણા જીવનમાં સુખાકારીનું શું મહત્વ છે, કોવિડ રોગચાળાના આ યુગમાં આપણે તેનો અનુભવ કર્યો છે. તેથી જ વિશ્વ આજે આરોગ્ય સંભાળ વિતરણના નવા પરિમાણની શોધમાં છે. મને આનંદ છે કે WHO એ આ વર્ષ માટે “આપણો ગ્રહ અમારું સ્વાસ્થ્ય” સૂત્ર આપીને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ના ભારતના વિઝનને આગળ ધપાવ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    ભારતની પરંપરાગત દવા પદ્ધતિ માત્ર સારવાર પુરતી મર્યાદિત નથી, પરંતુ તે જીવનનું સર્વગ્રાહી વિજ્ઞાન છે. દર્દ દૂર થવો અને સારવાર ઉપરાંત, આયુર્વેદમાં સામાજિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય – સુખ, પર્યાવરણીય સ્વાસ્થ્ય, કરુણા, સહાનુભૂતિ અને ઉત્પાદકતાનો સમાવેશ થાય છે. તેથી આપણો આયુર્વેદ જીવનના જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. તેને પાંચમો વેદ કહેવામાં આવે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    સારા સ્વાસ્થ્યનો સીધો સંબંધ સંતુલિત આહાર સાથે છે. આપણા પૂર્વજો માનતા હતા કે કોઈપણ રોગનો અડધો ઈલાજ સંતુલિત આહારમાં રહેલો છે. આપણી પરંપરાગત તબીબી પદ્ધતિઓ કઈ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું તેની માહિતીથી ભરપૂર છે. મને સંતોષ છે કે બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. વર્ષ 2023 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ જાહેર કરવું એ માનવતા માટે ખૂબ જ ફાયદાકારક પગલું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    આયુર્વેદ, સિદ્ધ, યુનાની ફોર્મ્યુલેશનની પણ વૈશ્વિક સ્તરે ઘણી માંગ છે. વિશ્વના ઘણા દેશો આજે રોગચાળાને રોકવા પરંપરાગત હર્બલ પધ્ધતિના ઉપયોગ પર ભાર મૂકે છે. ભારતની યોગ પરંપરા ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન જેવા અનેક રોગો સામે લડવામાં વિશ્વને ઘણી મદદ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા, યોગ લોકપ્રિય બની રહ્યો છે અને વિશ્વભરના લોકોને માનસિક તણાવ ઘટાડવા, મન-શરીર-ચેતનાને સંતુલિત કરવામાં મદદ કરી રહ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    હું પણ આ વૈશ્વિક કેન્દ્ર માટે પાંચ ધ્યેયો રાખવા માંગુ છું. પ્રથમ ધ્યેય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત જ્ઞાન એકત્રિત કરવાનો છે, તેનો ડેટાબેઝ બનાવવાનો છે.

    ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) એ પરંપરાગત દવાઓના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો પણ બનાવવા જોઈએ. આ તમારી સંસ્થાનું બીજું લક્ષ્ય હોઈ શકે છે. આ સાથે આ દવાઓ પર દરેક દેશના લોકોનો વિશ્વાસ વધુ વધશે.

    GCTM એ એવું પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં વિશ્વની પરંપરાગત દવાઓના નિષ્ણાતો એક સાથે આવે, સાથે આવે, તેમના અનુભવો શેર કરે. આ વૈશ્વિક કેન્દ્ર આ પ્રયાસોને તેનું ત્રીજું લક્ષ્ય બનાવી શકે છે.

    આ કેન્દ્રનો ચોથો ધ્યેય સંશોધનમાં રોકાણ સાથે સંબંધિત હોવો જોઈએ. GCTM એ પરંપરાગત દવાના ક્ષેત્રમાં સંશોધન માટે ભંડોળ એકત્ર કરવું જોઈએ.

    પાંચમો ધ્યેય સારવાર પ્રોટોકોલ સાથે સંબંધિત છે. શું GCTM અમુક ચોક્કસ રોગો માટે સાકલ્યવાદી સારવાર પ્રોટોકોલ વિકસાવી શકે છે જેમાં દર્દીને આધુનિક અને પરંપરાગત દવાઓ બંનેમાંથી ફાયદો થાય છે?

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    આપણે ભારતીયો વસુધૈવ કુટુંબકમ અને સર્વ સંતુ નિરામયની ભાવનામાં જીવતા લોકો છીએ. આખું વિશ્વ એક કુટુંબ છે અને આ આખો પરિવાર હંમેશા સ્વસ્થ રહે, આ અમારી ફિલસૂફી રહી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે : રાજ્યમાં ₹20,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ કરશે

    ગુજરાતમાં PM મોદી : વડાપ્રધાન મોદી સોમવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ જામનગરમાં પરંપરાગત દવાઓના નવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શિલાન્યાસ કરતી વખતે ₹20,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

    અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ PM મોદી રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરાયેલ સુધારાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગના નવા સ્થાપિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે ગયા હતાં.

    આ સેન્ટર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સર્વેલન્સ સિસ્ટમ તરીકે કામ કરે છે. 2019 માં સ્થપાયેલા અને ગયા વર્ષે અપગ્રેડ કરાયેલા કેન્દ્રની મુલાકાત લીધા પછી, મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી.

    PM મોદીએ ટ્વિટ કરીને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે નવું નામ સૂચવ્યું હતું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થોડા સમય પહેલા જ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલાયુ હતું. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની જગ્યાએ વિધા સમીક્ષા કેન્દ્ર લખવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત મુખ્ય બિલ્ડીંગનુ પણ નામ બદલી દેવાયુ છે. પીએમ મોદીના ટ્વીટ બાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના બદલે વિધા સમીક્ષા કેન્દ્ર નામ કરાયુ છે.

    રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સ્થાનિક રીતે ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ તરીકે ઓળખાતું કેન્દ્ર રાષ્ટ્રીય ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા આધારિત કેન્દ્ર છે.

    રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કેન્દ્ર 55,000 શાળાઓ પર દેખરેખ રાખી રહ્યું છે અને 1.2 કરોડ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોને સુધારવામાં મદદ કરવા માટે 4 લાખ શિક્ષકોને હાથવેગા રાખે છે. આ કેન્દ્ર પ્રાથમિક શિક્ષણના ગુણાત્મક સુધારણા માટે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાજરી અને કાર્યનું વાસ્તવિક સમયનું ઓનલાઈન મોનિટરિંગ કરે છે.

    PM આજે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

    પ્રધાનમંત્રી આજે સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

    પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે.

    આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.

    પ્રધાનમંત્રી જામનગરમાં WHO ના વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે

    19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે. આથી આ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે. જેને લઈને ઈન્સ્ટિટયુટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડાયેરકટર ડૉ.અનુપ ઠાકર ઈત્રની તમામ ટીમ દ્વારા વિશેષ કાર્યકમના આયોજન માટે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

    દાહોદના આદિજાતિ મહાસંમેલનમાં વડાપ્રધાન હાજરી આપશે

    ગુજરાતમાં PM મોદી પોતના પ્રવાસના ત્રીજા દિવસે 20 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 22,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    સંમેલનમાં 2 લાખથી વધુ લોકો આવવાની આશા છે. વડાપ્રધાન 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ પ્રદેશમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજના, વડાપ્રધાન આશરે રૂ. 335 કરોડના દાહોદ સ્માર્ટ સિટીના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસી લોકોને 120 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહ, આંગણવાડી અને અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન દાહોદમાં ઉત્પાદન એકમ ખાતે 9000 HP ઈલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન માટે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.

    આ ઉપરાંત વડાપ્રધાન લગભગ રૂ. 550 કરોડના મૂલ્યના રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં અંદાજે રૂ. 300 કરોડના પાણી પુરવઠાને લગતા પ્રોજેક્ટ, રૂ. 175 કરોડના દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, દુધીમતી નદી પ્રોજેક્ટને લગતા કામો, ઘોડિયા ખાતે ગેટકો સબસ્ટેશન સહિત અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 18થી 20 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં PM મોદીની અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.

    અફઘાનિસ્તાન : કાબુલની શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત

    અફઘાનિસ્તાનની એક શાળામાં એકસાથે ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટમાં છ લોકોનાં મોત થયાં હોવાની અને દસથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીકના હઝારા શિઆ વિસ્તારમાં આવેલ એક કુમાર શાળામાં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

    કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ન્યૂઝ એજન્સી AFP ને જણાવ્યું હતું કે, બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તે જ વિસ્તારમાં ઇંગ્લિશ લેંગ્વેજ સેન્ટર ખાતે થયેલા એક બ્લાસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે વિસ્ફોટકોના કારણે થયો હતો કે કેમ તે અંગે ફોડ પાડ્યો ન હતો.

    ઝદરાનના જણાવ્યા અનુસાર, દશ્ત-એ-બાર્ચી વિસ્તારના પશ્ચિમી વિસ્તારમાં આવેલ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની બહાર બે વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. નોંધવું જોઈએ કે, દશ્ત-એ-બાર્ચી વિસ્તારમાં મોટેભાગે હઝારા કોમના લોકો રહે છે. આ ધાર્મિક લઘુમતીઓને અગાઉ પણ ઇસ્લામિક સ્ટેટ જેવા સુન્ની આતંકવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના 3.80 કરોડ લોકોમાંથી હઝારાઓની સંખ્યા 10 થી 20 ટકા જેટલી છે.

    અહેવાલ અનુસાર, બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જોકે, હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી.

    હઝારા કોમના લોકોને અગાઉ પણ ISKP દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હઝારાઓમાં ભય ફેલાયો છે. ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન કટ્ટર સુન્ની નિયમો પાળે છે અને આ આતંકી સંગઠન 26 ઓગસ્ટ 2021 ના રોજ કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 26 ઓગસ્ટ 2021 ના દિવસે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ની જ શાખા છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.

    મોટી બેહેનને નદીમ અને ફરમાન કરતાં હતા છેડછાડ; સગીર ભાઈએ કર્યો વિરોધ તો બેલ્ટથી માર્યો પછી માથું ધડથી અલગ કર્યું

    હચમચાવી મૂકે તેવી એક ઘટના ઉત્તરપ્રદેશના મેરઠમાં બની છે. આ ઘટના જાનીખુર્દ પોલીસ સ્ટેશનના સિવાલ ખાસ ગામની છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોટી બેનની છેડતીનો વિરોધ કરવા બદલ નદીમ અને ફરમાને સગીર વયના નાના ભાઈને પહેલા પટ્ટાથી માર માર્યો ત્યાર બાદ એકે પકડી રાખ્યો અને બીજા એ તેનું ગળું કાપી નાખ્યું. કાપેલું માથું ખેતરમાં ફેકી દીધું. આ ઘટનાથી પૂરા પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પોલીસે ઘટનાના 24 કલાકમાં ગત રવિવારે (17 અપ્રેલ 2022) નદીમ અને ફરમાનની ગિરફ્તારી કરી છે.

    મળતી માહિતી મુજબ, અનસની માથું કાપેલી લાશ સીવાન ખાનપુર સ્થિત એક ખેતર માથી શનિવાર (17 અપ્રેલ 2022)ના રોજ મળી હતી. પોલીસે ત્વરિત પગલાં લઈ કપાયેલું માથું આરોપીઓ એ જે રીતે નિશાન બાતવ્યા તે પ્રમાણે શોધીને નજીકના ખેતર માથી મેળવી લીધું હતું. પોલીસ અધિકારી સંજય વર્માનું કહેવું હતું કે “અનસની મોટી બહેનને બંને આરોપી છેડતી કરતાં હતા, જેનો અનસે વારંવાર વિરોધ કર્યો હતો. બંને આરોપીએ મારવાની ધમકી આપી હતી. અંતે બંને આરોપીએ ભેગા થઈને અનસની હત્યા કરી હતી.”

    અઠવાડીયા પહેલા ઘરની બહાર ઊભી બહેનને નદીમ અને ફરમાને જ છેડતી કરી હતી. જે નાનો ભાઈ જોઈ જતાં તેને વિરોધ કર્યો હતો. વિરોધથી અકળાઇને બંને આરોપીએ અનિસ ને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાતની જાણ પિતા અનિસ ને થતાં આ ગુંડાતત્વોથી કંટાળીને દીકરી અને માતાને મુરાદાબાદ મોકલી આપી હતી. જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

    આ વાતની જાણ બંને આરોપીને થતાં બીજા દિવસે બંને આરોપી અનસના ઘરે પહોચી ગયા હતા. પરંતુ ત્યાં માતા અને દીકરી ના દેખાતા તેઓ હાજર મોટા ભાઈ કૈફ સાથે મારા મારી કરી તેની બહેન ક્યાં છે તે બાબતે જાણકારી માંગી હતી. પરંતુ કૈફે કઈ કહ્યું ના હતું માટે આટલાથી મન ના ભરાતા તેમણે નાના ભાઈ અનાસ જે શુક્રવારની રાતે ડેરીથી દૂધ લઈને પાછો આવતો હતો ત્યારે તેને ઊચકી ગયા હતા. એક વેરાન જ્ગ્યા પર લઈ જઇ ને તેની બહેનનો નંબર અને સરનામું માંગ્યું હતું. પરંતુ અનસે આપવાની મનાઈ કરી હતી. તે બાબતથી ગુસ્સે થઈ ને પહેલા પટ્ટા વડે તેને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ એક આરોપી એ પકડ્યો અને બીજા એ તેનું માથું કાપી નાખ્યું હતું. આ આખો હત્યાકાંડ સ્થાનિક રશિદ નામના વ્યક્તિના ખેતરમાં થયો હતો. જ્યારે તેઓ એ માથું કાપીને થોડે દૂર આવેલ ઈરફાનના ખેતરમાં નાખી દીધું હતું.

    બંને હત્યારાઓ 24 કલાકમાં જ પકડી પડ્યા છે પરંતુ પરિવારની સ્થિતિ અત્યંત કપરી થઈ છે તેઓ પોતાના દિકરાને ખોવાના કારણે હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને આરોપીને ફાંસીની સજા થાય તેની માંગણી કરી છે. પોલીસ પ્રશાસને પણ કુટુંબને આશ્વાસન આપ્યું છે.

    દિલ્હી પોલીસની અવળી ગંગા: જમિયતની મુલાકાત બાદ એક સગીર સહીત હનુમાન જયંતિ શોભાયાત્રાનું આયોજન કરનાર 5 હિંદુઓની ધરપકડ

    શનિવારે (16 એપ્રિલ, 2022), દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા કાઢી રહેલા હિંદુઓ પર મુસ્લિમ ટોળા દ્વારા માત્ર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ વિસ્તારમાં આગચંપી અને હિંસા પણ થઈ હતી. હવે એ વાત સામે આવી છે કે આ મામલામાં દિલ્હી પોલીસે 5 હિન્દુઓની ધરપકડ કરી છે, જેમની આ શોભા યાત્રાના આયોજનમાં મુખ્ય ભૂમિકા હતી. આ તમામ એક જ પરિવારના છે. આ કાર્યવાહી જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ થઈ છે.

    પીડિત પરિવારની મહિલાએ જણાવ્યું કે દિલ્હી પોલીસે તેમના ઘરે તેના ત્રણ પુત્રોને પકડી લીધા છે. આ ઉપરાંત ઉક્ત મહિલાના પતિને પણ પોલીસે પકડી લીધો છે, તેવી માહિતી તેમણે આપી હતી. ધરપકડ કરાયેલ મહિલાના ત્રણ પુત્રો પૈકી એક પુત્ર પણ સગીર છે. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના દિયરને (પતિનો નાનો ભાઈ) પણ દિલ્હી પોલીસે પકડ્યો છે. શોભા યાત્રામાં ઉપયોગમાં લેવાતો રથ આ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

    રથ તરફ ઈશારો કરીને મહિલાએ કહ્યું કે તે ખૂબ જ તૂટેલી હાલતમાં પાછો આવ્યો હતો. સ્થાનિક યુવાનોએ એમ પણ જણાવ્યું કે રમખાણો બાદ તેઓએ રથ માટે જે સજાવટ કરી હતી તે વેરવિખેર થઈ ગઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને પુત્રો ઘરે પાછા આવ્યા અને કહ્યું કે મુસ્લિમ પથ્થરબાજોના કારણે અરાજકતા અને હિંસા થઈ હતી. જ્યાં મહિલાનો પતિ પ્લાન્ટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમજ દિયર ભંગારનું કામ કરે છે.

    પીડિત મહિલાનું નામ દુર્ગા સરકાર છે, જ્યારે તેણે પોતાના પતિનું નામ સુકેન સરકાર જણાવ્યું છે. મોટો પુત્ર સૂરજ 20 વર્ષનો છે, જ્યારે બીજો પુત્ર 17-18 વર્ષનો છે. મહિલાનો ત્રીજો પુત્ર સગીર છે, તેમ છતાં પોલીસે તેને ઝડપી લીધો છે. મહિલાએ તેના સાળાનું નામ સુકેશ સરકાર જણાવ્યુ છે. ધરપકડની માહિતી સામે આવ્યા બાદ લોકો ગુસ્સામાં છે અને પૂછી રહ્યા છે કે જ્યારે પીડિત હિંદુ છે તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?

    બીજી એક ખાસ વાત એ છે કે આ કાર્યવાહીના થોડા સમય પહેલા જ જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પૂછ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ કેવી રીતે સાબિત કરી શકે કે પહેલો પથ્થર મુસ્લિમોની બાજુથી આવ્યો હતો? મસ્જિદમાંથી પથ્થરમારાના મુદ્દે જમિયતનું કહેવું છે કે મીડિયા અને લોકો શું કહે છે, તે પોલીસ તપાસ બાદ જ કહેશે. સંગઠને કહ્યું કે પથ્થરો અને ભગવા ઝંડા બહારથી લાવવામાં આવ્યા હતા.

    જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ સંગઠને કહ્યું કે દિલ્હી પોલીસે તેમને ન્યાયીક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા ઉલેમાઓએ કહ્યું કે સંગઠન આવા આરોપીઓને કાયદાકીય સહાય પૂરી પાડે છે અને એફઆઈઆર જોયા પછી આ કેસમાં પણ એવું જ કરવામાં આવશે. પોતાને ગરીબોનો મદદગાર ગણાવતા જમિયત ઉલેમાએ અસલમની ધરપકડ પર કહ્યું કે દિલ્હી પોલીસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કહ્યું નથી. એટલે કે સંગઠન જહાંગીરપુરીના તોફાનીઓને કાયદાકીય મદદ કરશે.

    તાજી માહિતી એ પણ છે કે પથ્થરમારો અને ફાયરિંગનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો સરઘસ કાઢી રહેલા લોકો પર પથ્થરમારો કરી રહ્યા છે. પથ્થરબાજોમાં 10-12 બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સામેલ હતા. આ દરમિયાન એક 40-42 વ્યક્તિ આવે છે અને ખાંચાની સામે પિસ્તોલ તાકીને તરત જ ભાગી જાય છે.

    ‘રામ દરબારની મૂર્તિઓ પર દારૂ અને હાડકાં ફેંકવામાં આવ્યાં, નગ્ન તલવારો સામે પોલીસ લાચાર’: જહાંગીરપુરી રમખાણોમાં ઘાયલ હિન્દુએ કહ્યું

    દિલ્હીના જહાંગીરપુરીમાં, હનુમાન જયંતિ નિમિત્તે, હિંદુઓ દ્વારા કાઢવામાં આવેલ શોભાયાત્રામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ અતિશય હિંસામાં આચરી હતી. OpIndiaની પીડિત સાથે વાત : હિંસાના પીડિત રાકેશ બેનીવાલે કહ્યું કે ઓછામાં ઓછા 500 તોફાનીઓના ટોળાએ હાથમાં ખુલ્લી તલવારો સાથે સરઘસ પર હુમલો કર્યો. તેઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા.

    OpIndiaની પીડિત સાથે વાત માં પીડિત રાકેશ બેનીવાલે જણાવ્યુ, “અમે પોલીસને કહ્યું હતું કે આ એક સંવેદનશીલ વિસ્તાર છે અને પોલીસે પણ અહીં ઘણો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ, તોફાનીઓ એટલા બધા હતા કે પોલીસ પણ તેમની સામે લાચાર બની ગઈ હતી. તોફાનીઓ ત્યાં શેરીઓમાં અને મસ્જિદની છત પર ભરાઈ ગયા હતા. તેમની પાસે ખાલી બોટલો, ભરેલી બોટલો અને પથ્થરો હતા. સાંજના લગભગ 6 વાગ્યા હતા. શોભાયાત્રા મસ્જિદની સામેથી નીકળી રહી હતી. શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ અને પછી પથ્થરમારો શરૂ થયો. તોફાનીઓ ઇદગાહની બાજુથી આવ્યા હતા, જેઓ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા હતા. રેલીમાં સામેલ સંતો અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનો પછી વહીવટીતંત્ર હવે સજ્જ છે અને અમે માત્ર પોલીસના કારણે જ બચ્યા છીએ.”

    તેમણે એ પણ જણાવ્યું કે તોફાનીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ગોળીઓ અને છરીઓ લાગી. બેનીવાલના મતે આ પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે પહેલા પણ અમે સરઘસ કાઢતા હતા અને તે લોકો કહેતા હતા કે અવાજ ઓછો કરો અને અમે ધીમા પડીને નીકળી જતા હતા. મસ્જિદ અને તેની બાજુના ઘરોની છત પર ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. તમામ પુરુષો તેમજ મહિલાઓ અને બાળકોના હાથમાં પથ્થરો હતા. ઓછામાં ઓછા 400-500 લોકોના હાથમાં તલવારો હતી. એવું લાગતું હતું કે તલવારોને ધાર કાઢીને સાથે લાવવામાં આવી હતી.

    રાકેશ બેનીવાલે કહ્યું કે લોકો કહેતા હતા કે આમાં અંસારનો હાથ છે. તેમણે કહ્યું, “મારા પર પાછળથી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. રામના દરબારમાં દારૂની બોટલો અને તેમાંથી ભરેલા હાડકાં ફેંકાયા હતા. તેઓ લગભગ 40 ફૂટની ઊંચાઈથી પથ્થરમારો કરી રહ્યા હતા.”