કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (18 ઑગસ્ટ) વધુ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમાર કથિત રીતે વોટ ચોરી કરતા અમુક લોકોને બચાવી રહ્યા છે. આ માટે કર્ણાટકનાં અમુક ઉદાહરણો આપ્યાં.
જોકે કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર એવો કર્યો હતો કે રાહુલ ગાંધી પ્રેસ કૉન્ફરન્સમાં ‘હાઇડ્રોજન બૉમ્બ’ ફોડશે. પાર્ટી અને રાહુલ ગાંધી પોતે પણ ઘણા દિવસોથી કોઈ મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યાં હોવાના દાવા સાથે આ શબ્દનો ઉપયોગ કરતાં રહે છે. પરંતુ પ્રેસ કૉન્ફરન્સની શરૂઆતમાં જ રાહુલે કહી દીધું કે આ કથિત હાઇડ્રોજન બૉમ્બ નથી. થોડા દિવસ પછી આવશે એવું તેમનું કહેવું છે.
રાહુલ ગાંધીને પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો કે સુનિયોજિત રીતે દરેક ચૂંટણીમાં મતો ડિલીટ કરવામાં આવી રહ્યા છે અને જેમના નામે આ પ્રક્રિયા થઈ રહી છે તેમને તેનો ખ્યાલ જ નથી. ઉલ્લેખનીય છે કે વોટ ડિલીટ કરવા માટે ફોર્મ 7 ભરવાનું આવે છે. રાહુલે આવાં અમુક ફોર્મ બતાવીને દાવો કર્યો કે જેમણે અન્ય મતદારોના મત હટાવવા માટે ફોર્મ ભર્યું હોવાનું બતાવવામાં આવે છે તેમને વાસ્તવમાં તેનો ખ્યાલ જ નથી.
રાહુલ ગાંધી સમગ્ર પ્રેસ કૉન્ફરન્સમાં કહેતા રહ્યા કે તેમની પાસે તમામ બાબતોના પુરાવા ઉપલબ્ધ છે અને પોતે જે કંઈ કહી રહ્યા છે એ સો ટકા સત્ય છે. જેનાથી એક પ્રશ્ન એ પણ ચર્ચાય રહ્યો છે કે આખરે તેમણે વારંવાર એવું કેમ કહેવું પડી રહ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે શું કોંગ્રેસને પણ વિશ્વાસ નથી કે લોકો રાહુલ ગાંધીને કે તેમની વાતોને ગંભીરતાથી લેશે.
કોંગ્રેસ નેતાએ એવો પણ દાવો કર્યો કે આ કોંગ્રેસ પાર્ટીના મતોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યું હતું અને જે બૂથ પર પાર્ટી વધુ મજબૂત હતી ત્યાં જ વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા. જે વોટ કોણે ડિલીટ કર્યા એ કોઈને જાણ નથી. તેમનો દાવો એવો પણ છે કે આ પ્રક્રિયા અન્ય રાજ્યોમાંથી કરવામાં આવી હતી, કારણ કે જે મોબાઇલ નંબરો છે એ કર્ણાટકના નથી. તેમણે અમુક લોકોને પણ સ્ટેજ પર રજૂ કર્યા અને કહ્યું કે તેમના વોટ ડિલીટ થયા હતા પરંતુ કોણે કર્યા એ ખબર નથી.
રાહુલે એવો પણ દાવો કર્યો કે કોઈએ ઓટોમેટેડ પ્રોગ્રામની મદદથી આ વોટ ડિલીટેશનની પ્રક્રિયાને અંજામ આપ્યો હતો.
આ સમગ્ર મામલે હવે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા અને ખોટા છે. આગળ જણાવવામાં આવ્યું કે, કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન જઈને કોઈના વોટ ડિલીટ કરી શકતી નથી. ઉપરાંત, જે-તે વ્યક્તિને સાંભળવાની પૂરતી તક આપ્યા વગર એક પણ વોટ ડિલીટ કરવામાં આવતો નથી.
❌Allegations made by Shri Rahul Gandhi are incorrect and baseless.#ECIFactCheck
— Election Commission of India (@ECISVEEP) September 18, 2025
✅Read in detail in the image attached ? https://t.co/mhuUtciMTF pic.twitter.com/n30Jn6AeCr
ચૂંટણી પંચે જણાવ્યું કે, વર્ષ 2023માં આલંદ વિધાનસભા (કર્ણાટક) ક્ષેત્રમાં અમુક મતદારોના મત ડિલીટ કરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ મામલે FIR દાખલ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચ પોતે જ આમાં ફરિયાદી હતું અને મામલાની તપાસ કરી રહ્યું છે.
સાથે એ હકીકત પ્રત્યે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, આ મતક્ષેત્રમાં વર્ષ 2018માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા પરંતુ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવારની જીત થઈ હતી.


