Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાત‘રમઝાનમાં ઈદ ક્યારે આવે છે? નમાજ પઢવાની જગ્યાને શું કહેવાય’: ભરૂચની સ્કૂલની...

    ‘રમઝાનમાં ઈદ ક્યારે આવે છે? નમાજ પઢવાની જગ્યાને શું કહેવાય’: ભરૂચની સ્કૂલની યુનિટ ટેસ્ટમાં પૂછાયા સવાલ, શાળાએ કહ્યું- પાઠ્યપુસ્તકના જ પ્રશ્ન; ‘રાઈનો પહાડ બનાવાય રહ્યો છે’: DEO

    વિદ્યાર્થીઓએ ઘરે જઈને પેપર બતાવતાં વાલીઓએ પછીથી સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના ફોટા વાયરલ કર્યા હતા અને શાળા પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ પ્રશ્નપત્ર પછીથી ખૂબ વાયરલ થયું અને આ પ્રકારના પ્રશ્ન પૂછવા બદલ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર ભરૂચની શાળાના નામ સાથે એક પ્રશ્નપત્ર વાયરલ થઈ રહ્યું છે, જેમાં પાંચમાંથી ચાર પ્રશ્નો ઇસ્લામને લગતા પૂછવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર હવે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં આ પેપરને નિયમનુસાર જ છપાયું હોવાનું ગણાવીને ઘટનામાં ‘રાઈનો પહાડ’ બનાવવામાં આવી રહ્યો હોવાની વાત કહી છે. શાળાએ પણ આ વિષયમાં પોતાનો બચાવ કર્યો છે. 

    આ પેપર ભરૂચની GNFC નર્મદા વિદ્યાલયનું હોવાનું જાણવા મળ્યું છે. ગત 7 ઑગસ્ટના રોજ અહીં આઠમા ધોરણના હિન્દી વિષયની 20 ગુણની ‘પ્રથમ યુનિટ ટેસ્ટ’ યોજવામાં આવી હતી. પેપરનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં MCQના પ્રથમ પાંચ પ્રશ્નો જોવા મળે છે. જેમાંથી 4 ઈસ્લામને લગતા છે. 

    પહેલો પ્રશ્ન છે- આપણે દુનિયામાં કોની મરજીથી આવ્યા? વિકલ્પોમાં માતા, પિતા, પરિવાર અને અંતિમ વિકલ્પમાં ‘ખુદા’ લખવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે- ‘ખુદા ઇચ્છે તો દરેક (ખાલી જગ્યા)ને ટાળી શકે છે. જેમાં કિસ્મત, મન્નત, દાવત અને આફત જેવા શબ્દો લખવામાં આવ્યા છે. 

    - Advertisement -

    ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રમઝાનને લઈને છે. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘રમઝાન પૂરા ત્રીસ (ખાલી જગ્યા) બાદ આવે છે. જવાબ માટેના વિકલ્પોમાં વિધાન, દાણા, ફેરા અને રોજા વગેરે ઑપ્શન હતા. ચોથા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું- ઈદની નમાજ પઢવાની જગ્યાને શું કહેવાય છે? ઑપ્શન છે- ઈદબાગ, ઈદમેદાન, ઈદઘર અને ઈદગાહ. પાંચમો પ્રશ્ન માત્ર જુદો છે, જેમાં કરનાલ શહેર ક્યાં આવ્યું હોવાનું પૂછવામાં આવ્યું છે. 

    વિદ્યાર્થીઓએ ઘરે જઈને પેપર બતાવતાં વાલીઓએ પછીથી સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના ફોટા વાયરલ કર્યા હતા અને શાળા પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ પ્રશ્નપત્ર પછીથી ખૂબ વાયરલ થયું અને આ પ્રકારના પ્રશ્ન પૂછવા બદલ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે વધુ વિગત મેળવવા માટે ઑપઇન્ડિયાએ શાળાનો સંપર્ક કર્યો. 

    ‘આશય ખોટો ન હતો, પાઠમાંથી જ પ્રશ્નો પૂછ્યા હતા’: સ્કૂલ મેનેજમેન્ટ 

    શાળા મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું કે, “પ્રશ્નો સરકારના પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવ્યા છે અને વિષય બહારનું પૂછવામાં આવ્યું નથી. પ્રશ્નો સળંગ હોવાના કારણે આ વિવાદ સર્જાયો હતો, પરંતુ શાળા કે શિક્ષકોનો બીજો કોઇ આશય ન હતો. પાઠમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.” આગળ કહેવામાં આવ્યું કે, તેમણે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરીને પણ જવાબ રજૂ કર્યા છે. 

    ‘રાઈનો પહાડ બનાવવામાં આવી રહ્યો છે’: DEO 

    બીજી તરફ, આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે પ્રશ્ન નિયમ અનુસાર જ પૂછવામાં આવ્યા હતા. ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, આ વિષયમાં ‘રાઈનો પહાડ’ બનાવવામાં આવી રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “સરકારના નિયમ અને પાઠ્યપુસ્તક અનુસાર જ સવાલો પૂછવામાં આવ્યા છે અને તે કોઇ અભ્યાસક્રમમાં આવતાં પ્રકરણોમાંથી જ છે. કોઈએ આ આખી ઘટનામાં રાઈનો પહાડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. “ 

    ઑપઇન્ડિયાએ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે જણાવ્યું હતું કે મામલો જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ તેમને મળેલ માહિતી અનુસાર, આ મામલે રાજ્ય સરકારને પણ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવ્યા હોવાનું તેમણે પણ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે વિવાદ પૂર્ણ થઈ ગયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં