Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયા8 પૂર્વ નૌસૈનિકોને મળેલી મોતની સજા વિરુદ્ધ ભારત સરકારે દાખલ કરેલી અપીલ...

    8 પૂર્વ નૌસૈનિકોને મળેલી મોતની સજા વિરુદ્ધ ભારત સરકારે દાખલ કરેલી અપીલ કતારની કોર્ટે સ્વીકારી, હવે થશે સુનાવણી

    સજા મળ્યા બાદ તુરંત ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક્શન લઈને કામગીરી શરૂ કરી દીધી હતી. દરમ્યાન, 9 નવેમ્બરે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે કતારની કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ પણ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    કતારમાં 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને મળેલી મોતની સજા વિરૂદ્ધ ભારત સરકારે કરેલી અપીલ ત્યાંની કોર્ટે સ્વીકારી લીધી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. તેનો અભ્યાસ કર્યા બાદ હવે કોર્ટ આગળ સુનાવણી હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે. 

    આ 8 ભારતીયો પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. જોકે, કતારે ક્યારેય પણ તેમની ઉપર ચોક્કસ શું આરોપો લાગ્યા છે તે જાહેર કર્યું નથી. તમામને ઓગસ્ટ, 2022માં પકડી લેવામાં આવ્યા હતા, ત્યારથી તેઓ એજન્સીઓની નજર હેઠળ બંધ છે. અનેક વખત તેમની જામીન અરજી પણ ફગાવવામાં આવી ચૂકી છે. ગત મહિને કેસની સુનાવણી કરતી કોર્ટે તેમને દોષી ઠેરવીને મોતની સજા સંભળાવી હતી. 

    સજા મળ્યા બાદ તુરંત ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક્શન લઈને કામગીરી શરૂ કરી દીધી હતી. દરમ્યાન, 9 નવેમ્બરે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે કતારની કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ પણ દાખલ કરવામાં આવી છે. હવે જાણકારી સામે આવી છે કે આ અપીલ સ્વીકારી લેવામાં આવી છે. કોર્ટ આ અરજીનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તેની ઉપર આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    કોણ છે આ 8 ભારતીયો? શું આરોપો છે?

    આ 8 પૂર્વ નેવી અધિકારીઓનાં નામ છે, કેપ્ટન નવતેજ સિંઘ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્ર વર્મા, કમાન્ડર સુગુણકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સૈલર રાગેશ. 

    તમામ 8 વ્યક્તિઓ ભારતીય નૌસેનામાં ફરજ બજાવી ચૂક્યા છે અને અમુકે 20-20 વર્ષ સુધી પણ સેવા આપી છે અને મોટાં પદ પર પણ રહી ચૂક્યા છે. તેઓ કતારની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ નામની એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા હતા. કહેવાય છે કે આ પ્રાઇવેટ ફર્મ કતારની સેનાને લશ્કરી તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી.

    ઓગસ્ટ, 2022માં તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની ઉપર ચોક્કસ શું આરોપો લગાવવામાં આવ્યા છે તેની વિગતો ક્યારેય સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ જેટલી માહિતી પબ્લિક ડોમેનમાં છે તેને જોતાં આ કેસ જાસૂસીનો હોવાનું જણાય છે. કથિત રીતે આ તમામ પર ઇઝરાયેલ માટે કતારની સબમરીન સિસ્ટમની જાસૂસી કરવાનો આરોપ છે.

    વિદેશ મંત્રાલય આ કેસમાં સતત નજર રાખીને બેઠું છે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ તમામ 8 વ્યક્તિઓના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને તમામ સંભવ મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. આ સમગ્ર કેસ શું છે તે અહીં ક્લિક કરીને વિગતવાર વાંચી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં