Monday, April 29, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરએક વર્ષથી કતારની જેલમાં બંધ છે 8 ભારતીય પૂર્વ નૌસૈનિકો, હવે સંભળાવાઇ...

    એક વર્ષથી કતારની જેલમાં બંધ છે 8 ભારતીય પૂર્વ નૌસૈનિકો, હવે સંભળાવાઇ મોતની સજા: જાણો શું છે આ સમગ્ર કેસ, જેમાં પાકિસ્તાની એજન્સીઓનો પણ હાથ હોવાની આશંકા

    આ તમામ કતારની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ નામની એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા હતા. કહેવાય છે કે આ પ્રાઇવેટ ફર્મ કતારની સેનાને લશ્કરી તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી.

    - Advertisement -

    ગુરૂવારે (26 ઓક્ટોબર) કતારથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. છેલ્લા 1 વર્ષથી કતારમાં સ્થિત જેલમાં બંધ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ એક ખાનગી કંપની માટે કામ કરતા હતા અને ઓગસ્ટ, 2022માં કતારની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમની સામે કેસ ચલાવવાનો શરૂ કરવામાં આવ્યો હતો અને હવે સજા પણ સંભળાવી દેવામાં આવી છે. 

    ભારતીય વિદેશ મંત્રાલયે આ સજાને લઈને પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કહ્યું કે, “અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારમાં આવેલી કોર્ટે આજે અલ-દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડની સજા આઘાતજનક છે અને અમે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમના પરિવાર અને લીગલ ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.” આગળ મંત્રાલયે લખ્યું કે, “આ કેસને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને અમે નજીકથી તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમામ સલાહકારી અને કાયદાકીય મદદ આપવાનું ચાલુ રાખીશું તેમજ આ મુદ્દો કતારની સરકાર સામે પણ ઉઠાવવામાં આવશે.” આગળ મંત્રાલયે કહ્યું કે, કેસની કાર્યવાહી અંગેની ગોપનીય બાબતોને કારણે આ તબક્કે આ મુદ્દે વધુ કંઈ પણ કહેવું યોગ્ય રહેશે નહીં.

    કોણ છે આ અધિકારીઓ?

    જે અધિકારીઓને સજા સંભળાવવામાં આવી છે, તેમનાં નામ છે- કેપ્ટન નવતેજ સિંઘ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્ર વર્મા, કમાન્ડર સુગુણકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સૈલર રાગેશ. 

    - Advertisement -

    કતારની એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરતા હતા 

    આ તમામ કતારની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ નામની એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા હતા. કહેવાય છે કે આ પ્રાઇવેટ ફર્મ કતારની સેનાને લશ્કરી તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી.

    કંપનીનો માલિક ઓમાનનો નાગરિક ખમીસ-અલ-અજમી નામનો એક વ્યક્તિ હતો, જે ઓમાનની વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર રહી ચૂક્યો છે. આ આઠ ભારતીયો સાથે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી નવેમ્બર, 2022માં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. કંપનીની વેબસાઈટ પર લખ્યું હતું કે તે કતારી એમીરી નેવી ફોર્સને ટ્રેનિંગ, લોજિસ્ટિક્સ અને મેન્ટેનન્સ સર્વિસ પૂરી પાડતી હતી. જોકે, પછીથી આ વેબસાઈટ હટાવી દેવામાં આવી હતી. 

    ઓગસ્ટ, 2022માં કરવામાં આવી હતી ધરપકડ 

    આ તમામની ધરપકડ ઓગસ્ટના અંતમાં કરવામાં આવી હતી. જે પાછળ કતારની ઇન્ટેલિજન્સ એજન્સી સ્ટેટ સિક્યુરિટી બ્યુરો જવાબદાર છે. સપ્ટેમ્બરના મધ્યમાં ભારતીય દૂતાવાસને કાર્યવાહિની જાણ થઈ હતી. ત્યારબાદ 30 સપ્ટેમ્બરના રોજ આ તમામને ભારતમાં પરિવાર સાથે વાત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પછીથી 3 ઓક્ટોબરના રોજ પહેલી વખત ભારતીય દૂતાવાસના અધિકારીને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી, જેને ડિપ્લોમેટિક ભાષામાં કોન્સ્યુલર એક્સેસ કહેવામાં આવે છે. 

    આરોપોની સ્પષ્ટતા કયાંય નહીં, જાસૂસીના આરોપોની આશંકા 

    આમ તો આ 8 ભારતીયો સામે શું આરોપ છે તે અધિકારિક રીતે ક્યાંય પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. 29 માર્ચ, 2023ના રોજ તેમની સામે કેસ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ તેમના પરિવારોએ જણાવ્યું હતું કે તેમને આરોપો વિશે ન તો કતારની સરકાર દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું છે કે ન ભારત સરકારે કોઇ વિગતો આપી છે. આ અંગે સંસદમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ મામલો છે. 

    આ તમામ 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને કતારમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે, જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ સુરક્ષાના કોઈ મુદ્દાને લઈને આરોપોનો સામનો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે તેમને જાસૂસીના આરોપસર પકડવામાં આવ્યા છે. તેમની ઉપર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની એજન્સીઓએ તેમની ઉપર કતારની એડવાન્સ સબમરીનોની જાસૂસી કરવાના આક્ષેપો કર્યા છે.

    પાકિસ્તાની એજન્સીઓનો હાથ?

    એક રિપોર્ટ અનુસાર, કતારની એજન્સીઓએ દાવો કર્યો હતો કે તેમની પાસે એવા ઇલેક્ટ્રોનિક પુરાવા છે જેનાથી એ સાબિત થાય છે કે ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ કતારના સબમરીન પ્રોગ્રામ વિશે માહિતી એકઠી કરી રહ્યા હતા. જોકે, આ કથિત પુરાવા ભારત સરકારને ક્યારેય આપવામાં આવ્યા નથી. જોકે, આ બધી જ બાબતો બિન-અધિકારીક રીતે કહેવાતી વાતો છે, જેની ક્યાંય પુષ્ટિ થઈ શકે તેમ નથી. કારણ કે બંને સરકારોએ આરોપોને લઈને ક્યાંય કોઇ ઉલ્લેખ કર્યા નથી.

    ઓગસ્ટ, 2023માં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસ પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI પણ જવાબદાર હોય શકે છે. જેમણે આ અધિકારીઓને ફસાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હોય શકે. ભારતના અરબ દેશો સાથે સારા થતા સંબંધો અને વધતા વેપારના કારણે પાકિસ્તાને અવળચંડાઈ કરી હોય તેમ નકારી શકાય નહીં. રિપોર્ટનું માનીએ તો પાકિસ્તાની એજન્સીએ કુલભૂષણ જાદવનો દાખલો આપીને કતારની એજન્સીઓને માનવા માટે મજબૂર કરી કે આમાં ભારતીય અધિકારીઓનો હાથ હોય શકે છે. ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાદવને પાકિસ્તાની એજન્સીઓએ ઇરાનથી પકડ્યા હતા, જેમની ઉપર પણ જાસૂસીનો આરોપ છે. હાલ તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

    વિદેશ મંત્રાલય સતત રાખી રહ્યું છે નજર 

    ભારત સરકારનું વિદેશ મંત્રાલય આ મામલે નજીકથી તમામ ઘટનાક્રમો પર નજર રાખી રહ્યું છે. અગાઉ કતાર સ્થિત દૂતાવાસના અધિકારીઓને આ 8 વ્યક્તિઓને મળવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. તેમજ મંત્રાલય તેમના પરિવારો સાથે પણ સતત સંપર્કમાં છે તથા કોર્ટની કાર્યવાહી પર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી. 

    ગત 19 ઓક્ટોબરના રોજ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેસ પર તેઓ નજર રાખી રહ્યા છે અને ચુકાદો આ જ મહિને આવી શકે છે. તેમાં જણાવ્યા અનુસાર 1 ઓક્ટોબરે જ કતારમાં ભારતના રાજદૂત આ 8 લોકોને મળ્યા હતા. 

    હવે આગળ શું?

    વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ આ મામલે કાયદાકીય વિકલ્પો વિશે વિચાર કરી રહ્યા છે અને 8 ભારતીયોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. જેથી અનુમાન છે કે હવે આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર આપવામાં આવશે. બીજી તરફ, સરકાર કતારની સરકાર સામે પણ  આ મુદ્દો ઉઠાવી શકે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં