Sunday, May 12, 2024
More
    હોમપેજદેશઆંધ્રપ્રદેશમાં રેલ અકસ્માત: 2 પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં ડબ્બા પાટા પરથી...

    આંધ્રપ્રદેશમાં રેલ અકસ્માત: 2 પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં ડબ્બા પાટા પરથી ઊતર્યા, અનેકને ઈજા; જાનહાનિની આશંકા

    ડિવિઝનલ રેલવે મેનેજરના જણાવ્યા મુજબ દુર્ઘટનામાં 10 લોકોને ઈજા પહોંચી છે. હાલ બચાવકાર્ય ચાલી રહ્યું છે અને સ્થાનિક તંત્ર તેમજ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી છે. 

    - Advertisement -

    આંધ્રપ્રદેશમાં વિજયનગરમ વિસ્તારમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, એક ટ્રેન જતી હતી તેની પાછળ તે જ લાઇન પર જતી બીજી ટ્રેન અથડાઇ હતી, જેના કારણે અમુક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. બંને પેસેન્જર ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે. 

    ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન વચ્ચે આ અથડામણ થઈ, જેમાં 3 કોચ ખડી પડ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજરના જણાવ્યા મુજબ દુર્ઘટનામાં 10 લોકોને ઈજા પહોંચી છે. હાલ બચાવકાર્ય ચાલી રહ્યું છે અને સ્થાનિક તંત્ર તેમજ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી છે. 

    મીડિયામાં જે તસવીર સામે આવી છે તેમાં અકસ્માત ભયાનક જણાય રહ્યો છે. ટ્રેનના અમુક ડબ્બા પાટા પરથી નીચે ઉતરેલા જોઈ શકાય છે અને તેમાં નુકસાન પણ ઘણું જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં અમુક લોકોનાં મોત થયાં હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક આ આંકડો 1 જણાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક 3 લોકોનાં મોત હોવાના રિપોર્ટ્સ છે. રેલવે દ્વારા આધિકારિક પુષ્ટિ થાય ત્યારબાદ જ સ્પષ્ટ થઈ શકશે. 

    - Advertisement -

    રાહત-બચાવકાર્ય શરૂ

    બીજી તરફ, આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ મામલે તાત્કાલિક બચાવકાર્ય આરંભવા માટેના આદેશ આપવામાં આવ્યા છે તેમજ વિશાખાપટ્ટનમ અને અન્ય શહેરોમાંથી વધુમાં વધુ એમ્બ્યુલન્સ મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ઇજાગ્રસ્તોને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોને પણ જાણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, સીએમએ સ્વાસ્થ્ય, પોલીસ, રેવણ્યું સહિતના તમામ સરકારી વિભાગોને સાથે મળીને તાત્કાલિક બચાવકાર્યમાં જોતરાવા માટે સૂચના આપી છે અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. 

    આ ઘટના ઓડિશાના રેલ અકસ્માતના 4 મહિના બાદ બની, જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. ઓડિશાના બહનગા રેલવે સ્ટેશન નજીક કોરોમંડલ એક્સપ્રેસ એક પહેલેથી લૂપ લાઇન પર ઉભેલી ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બાજુમાંથી પસાર થતી અન્ય એક પેસેન્જર ટ્રેન સાથે પણ ટક્કર થઈ હતી. પરિણામે 288 લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં