Monday, April 29, 2024
More
    હોમપેજદેશરાજસ્થાન: ઝાલાવાડમાં 'ઘરૌંદા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ' હેઠળ બાંધવામાં આવેલાં 372 મકાનો જ...

    રાજસ્થાન: ઝાલાવાડમાં ‘ઘરૌંદા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ’ હેઠળ બાંધવામાં આવેલાં 372 મકાનો જ ચોરાઇ ગયાં, માલિકોને માત્ર કાટમાળ જ મળ્યો

    ન તો મકાનમાલિકો કે ન તો રાજસ્થાન હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 'ગુમ' કે 'ચોરાયેલા' મકાનો વિશે કોઈ માહિતી હતી. એટલું જ નહીં, સ્થાનિક પોલીસને પણ ખબર ન પડી કે આખી વસાહત ક્યારે ત્યાંથી ગાયબ થઈ ગઈ.

    - Advertisement -

    રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા વિસ્તારમાં ઘરૌંદા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના લગભગ 372 ઘર ‘ગુમ’ થઈ ગયા. જ્યારે એક ઘરનો માલિક તેનું ઘર જોવા ત્યાં ગયો ત્યારે આ આખો વિષય સામે આવ્યો હતો. અહેવાલ મુજબ, છેલ્લા આઠ મહિનાના સમયગાળા દરમિયાન, 372 ઘરો અને 2 ઉદ્યાન ‘ગુમ’ થઈ ગયા છે અને સ્થળ પર માત્ર તેમનો કાટમાળ મળ્યો છે.

    વર્ષ 2021માં, તારિક નામના વ્યક્તિએ ઘરૌંડા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ ઘર ખરીદ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં, જ્યારે તે અકલેરાની ઉક્ત હાઉસિંગ કોલોનીમાં તેનું ઘર જોવા ગયો ત્યારે માત્ર તેનું ઘર જ નહીં પરંતુ આખી વસાહત સારી રીતે બનાવવામાં આવી હતી. જો કે, મહિનાઓ પછી, જ્યારે ઘરના માલિકે વસાહતની ફરી મુલાકાત લીધી, ત્યારે તેને એ જાણીને આશ્ચર્ય થયું કે ન તો તેણે ખરીદેલું મકાન કે ન તો વસાહત સ્થળ પર જોવા મળી હતી, પરંતુ ત્યાં માત્ર તેનો કાટમાળ જ જોઈ શકાતો હતો.

    એટલે કે આખી કોલોની માત્ર 8 મહિનામાં ગાયબ થઈ ગઈ. દેખીતી રીતે, ચોરોએ કોલોનીમાં આખા ઘરોમાં તોડફોડ કરી અને ચોરી કરી હતી. માત્ર બારી-બારણાં જ નહીં, ચોર ઈંટો અને સ્ટીલના સળિયા અને ઘરની બીજી બધી વસ્તુઓ પણ લઈ ગયા. પાછળ માત્ર કોંક્રીટ અને મોર્ટારનો કાટમાળ છોડી ગયા. કેટલાક મકાનોના પાયા પણ ગાયબ છે, અને સમગ્ર જગ્યા કાટમાળથી ઢંકાયેલી હોવાથી હવે માલિકો તેમના પ્લોટને ઓળખવામાં પણ અસમર્થ છે.

    - Advertisement -

    ન તો મકાનમાલિકો કે ન તો રાજસ્થાન હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ‘ગુમ’ કે ‘ચોરાયેલા’ મકાનો વિશે કોઈ માહિતી હતી. એટલું જ નહીં, સ્થાનિક પોલીસને પણ ખબર ન પડી કે આખી વસાહત ક્યારે ત્યાંથી ગાયબ થઈ ગઈ. આ દરમિયાન, અકલેરા સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) લક્ષ્મી ચંદ્ર બૈરવાએ જણાવ્યું હતું કે પોલીસ પાસે આ ક્ષણે કેસ વિશે કોઈ વિગતો નથી. વધુમાં ઉમેર્યું હતું કે પોલીસને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ઘરાઉંડા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બાંધવામાં આવેલા મકાનો ખરીદનારા ઘણા મકાનમાલિકોએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને તેમની ફરિયાદો કરી છે. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, તેઓએ સંપૂર્ણ બંધાઈને તૈયાર થયેલા મકાનો ખરીદ્યા હતા, પરંતુ હવે તેમના મકાનોના પાયા પણ મળી રહ્યા નથી. અસરગ્રસ્ત મકાનમાલિકોએ માંગણી કરી છે કે હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ કમસેકમ પ્લોટને ફરીથી માર્ક કરાવવું જોઈએ જેથી મકાનમાલિકો માટે તેમના પ્લોટની ઓળખ કરવામાં સરળતા રહે.

    અહેવાલ મુજબ, વિવાદાસ્પદ વસાહત 2012-13માં બાંધવામાં આવી હતી, જો કે, તે શહેરથી દૂર આવેલી હોવાથી, લગભગ 80 ટકા મકાનો વેચાયા વગરના રહ્યા હતા. વર્ષ 2019માં હાઉસિંગ બોર્ડે ન વેચાયેલા મકાનો પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. ત્યારબાદ કોલોનીમાં ન વેચાયેલા તમામ મકાનો વેચી દેવામાં આવ્યા હતા. ઘણા લોકોએ ડિસ્કાઉન્ટ બાદ એકથી વધુ મકાનો પણ ખરીદ્યા હતા. જો કે, કોઈ પણ રહેવા માટે તે ઘરોમાં ગયું ન હતું, અને માલિકો સમય સમય પર તેમની મુલાકાત લેતા હતા.

    આ વર્ષે જાન્યુઆરી સુધી બધું સામાન્ય હતું, પરંતુ છેલ્લા આઠ મહિનામાં આખી વસાહત એવી રીતે ગાયબ કરી દેવામાં આવી કે જાણે તે ક્યારેય અસ્તિત્વમાં જ ન હોય, આ દરમિયાન ત્યાં શું થયું તેની કોઈ માહિતી પોલીસ પાસે નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં