Monday, October 7, 2024
More
    હોમપેજક્રાઈમઉત્તર પ્રદેશમાં ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ FIR: આરોપ- મુસ્લિમોને ભડકાવી ડાસના...

    ઉત્તર પ્રદેશમાં ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ FIR: આરોપ- મુસ્લિમોને ભડકાવી ડાસના મંદિર પર કરાવ્યો હુમલો, યતિ નરસિંહાનંદની હત્યાનું રચ્યું કાવતરું

    ડૉ. ઉદિતાએ પોલીસ કમિશનરને બીજી ફરિયાદ આપી, જેમાં મોહમ્મદ ઝુબૈરની અનેક કથિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ઝુબૈરે 10 હિંદુત્વવાદી લોકોની યાદી બનાવી છે, જે કટ્ટરપંથીઓના નિશાના પર છે. તેમનું નામ પણ આ યાદીમાં સામેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદ (Ghaziabad) ખાતે ડાસના દેવી મંદિર (Dasana Devi Mandir) પર 4 ઑક્ટોબરે મોટી સંખ્યામાં મુસ્લિમોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ દરમિયાન ટોળાએ ભડકાઉ નારા લગાવીને મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથા મંદિરમાં રહેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનો ખૂબ નારાજ થયા હતા અને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી હતી. હવે આ મામલે રોષ ફેલાવનાર અને મુસ્લિમોને ભેગા થવા માટે ભડકાવનાર ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર (Mahommed Zubair) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

    મધ્ય પ્રદેશના બડાના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સ્વામીનો એક વિડીયો વાયરલ કરીને મહોમ્મદ ઝુબેરે મુસ્લિમોને ભડકાવ્યા હતા. તથા વિરોધ કરવા ઉશ્કેર્યા હતા. આ બાદ મહંત વિરુદ્ધ મુસ્લિમોએ ઇશનિંદાનો આરોપ લગાવી ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા. બુલંદશહર, બડાના, અમરાવતી (મહારાષ્ટ્ર) જેવા અનેક સ્થળોએ મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની અને હિંસા આચરી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ગાઝિયાબાદમાં પણ આવી જ ઘટના બનતા હિંદુઓ પણ રોષે ભરાયા હતા. જે બાદ મહોમ્મદ ઝુબૈર પર FIR નોંધાઈ છે.

    આ મામલે ભાજપના નેતા ડૉ. ઉદિતા ત્યાગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાને સમગ્ર ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી અને પીડિતા ગણાવી રહ્યા છે. તેમણે મીડિયા વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, જો આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ગુનો નહીં લાગુ કરવામાં આવે તો 13 ઑક્ટોબરે મહાપંચાયત આયોજિત કરવાની ઘોષણા કરવામાં આવશે.

    - Advertisement -

    ડૉ. ઉદિતાએ આપેલી ફરિયાદમાં ગાઝિયાબાદ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે, ડાસના મંદિર પર હુમલો એક સુનિયોજિત કાવતરું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલા માટે મોહમ્મદ ઝુબૈર, અસદુદ્દીન ઓવૈસી અને અરશદ મદની દ્વારા મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવ્યો હતો. આ હુમલામાં બહારથી આવેલા મુસ્લિમોની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.

    ડૉ. ઉદિતાનો દાવો છે કે, આ હિંસા પાછળ યતિ નરસિંહાનંદની હત્યાનું કાવતરું હતું. તેમણે પોલીસ પર 5 ઑક્ટોબરે યતિ નરસિંહાનંદની ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો આરોપ પણ મૂક્યો હતો. ડો.ઉદિતાએ માંગ કરી છે કે, હુમલાખોરોની ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અહેવાલ અનુસાર, તેમની ફરિયાદ પર હુમલા દરમિયાન મંદિરની અંદર હાજર હિંદુ સમુદાયના ડઝનબંધ લોકોની સહી પણ છે.

    આ ફરિયાદ બાદ ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 228, 299, 356(3) અને 351(2) હેઠળ નોંધવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ પણ છે.

    નોંધવા જેવું છે કે, ડૉ. ઉદિતાએ તેમના વિડીયો નિવેદનમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, મંદિર પર હુમલો કરનારાઓ સામે NSA (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) હેઠળ કાર્યવાહી થવી જોઈએ. જો યતિ નરસિંહાનંદ સરસ્વતીને મુક્ત કરવા અને મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવા સહિતના હુમલાખોરો પર NSA લાદવામાં નહીં આવે તો 13 ઑક્ટોબરે મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે.

    આ સિવાય ડૉ. ઉદિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ફરિયાદ અંગે જાણકારી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “આજે તમામ હિંદુ સંગઠનોએ મળીને પોતાની ત્રણ માંગણીઓ પ્રશાસન સમક્ષ મૂકી હતી. યતિ નરસિંહાનંદ મહારાજની મુક્તિ અને સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. ‘સર તન સે જુદા’ના નારા લગાવનારાઓ પર રાસુકા લાદવામાં આવે. ઝુબૈર વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ અને તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.”

    ડૉ. ઉદિતાએ પોલીસ કમિશનરને બીજી ફરિયાદ આપી, જેમાં મોહમ્મદ ઝુબૈરની અનેક કથિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ઝુબૈરે 10 હિંદુત્વવાદી લોકોની યાદી બનાવી છે, જે કટ્ટરપંથીઓના નિશાના પર છે. તેમનું નામ પણ આ યાદીમાં સામેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. નૂપુર શર્મા કેસને ટાંકીને તેમણે કહ્યું કે, તે કેસમાં 6 નિર્દોષ લોકોના મોત માટે ઝુબૈર જવાબદાર હતો.

    ડૉ. ઉદિતાનું માનવું છે કે, જો મોહમ્મદ ઝુબૈરને જેલમાં નહીં મોકલવામાં આવે તો તે ઘણા હિંદુઓના જીવ માટે ખતરો બની રહેશે. ડૉ. ઉદિતા ઉપરાંત હિંદુ રક્ષા દળે પણ યતિ નરસિંહાનંદની મુક્તિની માંગ કરતું આવેદન સોંપ્યું હતું. તેમણે મંદિર પર હુમલો કરનાર ટોળા સામે પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન હિંદુ સંગઠનો સાથે જોડાયેલા ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. ઑપઇન્ડિયા પાસે આવેદનની નકલ પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં