Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંબેડકર જયંતી પર જદયુએ દેખાડ્યું ‘ખંડિત ભારત’, વિરોધ બાદ ટ્વીટ ડિલીટ: ભાજપે...

    આંબેડકર જયંતી પર જદયુએ દેખાડ્યું ‘ખંડિત ભારત’, વિરોધ બાદ ટ્વીટ ડિલીટ: ભાજપે કહ્યું-PFIના આકાઓને ખુશ કરવા માગે છે નીતીશ કુમાર

    ટ્વિટમાં પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું જેમાં ભારતનો નકશો, સંસદ, આંબેડકર અને નીતીશ કુમારનો ફોટો હતો. પરંતુ આમાં ભારતનો નકશો જ ખોટો હતો. જમ્મુ-કાશ્મીરનો અડધો ભાગ નકશામાંથી ગાયબ હતો.

    - Advertisement -

    બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) તેની એક ટ્વીટને કારણે વિવાદમાં આવી ગઈ છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતી પર શુક્રવારે (14 એપ્રિલ 2023) જદયુએ એક ટ્વીટ કરી જેમાં ભારતનો અધૂરો નકશો બતાવવામાં આવ્યો છે. વિરોધ થયા બાદ પાર્ટીએ આ ટ્વીટ ડિલીટ કરી નાખી છે. બીજેપીનો આરોપ છે કે જદયુની ખંડિત ભારતવાળી ટ્વીટ પ્રતિબંધિત ઇસ્લામી સંગઠન પીએફઆઈના આકાઓને ખુશ કરવા માટે કરવામાં આવી હતી.

    જદયુની ખંડિત ભારતવાળી ટ્વીટ એવા સમયે આવી છે, જ્યારે નીતીશ કુમારનું ‘દિલ્હીનું સપનું’ ફરી હિલોળા મારવા લાગ્યું છે. બિહારમાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલા દરમિયાન તેઓ એક એવી ઇફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા, જેની પાછળ લાલ કિલ્લો દેખાડવામાં આવ્યો હતો. આના માધ્યમથી તેમણે રાજકીય સંદેશો આપ્યો હતો અને ત્યારબાદ તેઓ દિલ્હી આવીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.

    આ મુલાકાતો બાદ તેમણે 2024 લોકસભા ચૂંટણી પહેલા બીજેપી વિરુદ્ધ વિપક્ષને એકજૂટ કરવાની વાત કરી. જોકે, ભવિષ્યના ગઠબંધનનો ચહેરો કોણ હશે, એ વિશે તેમણે સ્પષ્ટતા નથી કરી. નિષ્ણાતોના મતે, વડાપ્રધાન પદની ઉમેદવારી માટે જ નીતીશે ગયા વર્ષે બિહારમાં બીજેપી સાથેનું ગઠબંધન તોડ્યું હતું.

    - Advertisement -

    હવે આંબેડકર જયંતી પર ટ્વીટમાં ભારતનો ખોટો નકશો બતાવીને પાર્ટી વિવાદમાં છે. જનતા દળ યુનાઈટેડના ઓફિશિયલ અકાઉન્ટ પર કરવામાં આવેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, “સમાજના દરેક પીડિત અને વંચિત વર્ગ માટે ન્યાય અને સમાનતાની લાંબી લડાઈ લડનારા ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતી પર તેમને કોટિ કોટિ વંદન.” આ સાથે એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું જેમાં ભારતનો નકશો, સંસદ, આંબેડકર અને નીતીશ કુમારનો ફોટો હતો. પરંતુ આમાં ભારતનો નકશો જ ખોટો હતો. જમ્મુ-કાશ્મીરનો અડધો ભાગ નકશામાંથી ગાયબ હતો.

    હવે આ ટ્વીટને લઈને બીજેપીએ બિહારની સત્તારૂઢ પાર્ટી જદયુને ઘેરી છે. બિહાર બીજેપીએ ટ્વીટ કરી હતી કે, “બાબા સાહેબની જયંતીના દિવસે જ જનતા દળ યુનાઈટેડના જમૂરોએ ખંડિત ભારત દેખાડીને બંધારણનો છેદ જ ઉડાડી દીધો છે. પોતાના પીએફઆઈના આકાઓ અને નવાસવા મિત્રોને ખુશ કરવા માટે આખરે આટલું તો કરવું જ પડે. પરંતુ, કાન ખોલીને સાંભળી લો, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે.”

    બિહાર ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી મનન કૃષ્ણાએ પણ સીએમ નીતીશ કુમાર અને જેડીયુ અધ્યક્ષ લલન સિંહ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરી હતી કે, “ભારતના ખંડિત નકશાનો ઉપયોગ એ દર્શાવે છે કે PFI અને ટુકડે ટુકડે ગેંગના સમર્થકો આ પાર્ટી પર કેટલા હાવી થઈ ચૂક્યા છે. બાબા સાહેબની જયંતીના દિવસે કરવામાં આવેલ આ અભદ્ર વર્તન માત્ર તેમના સમર્થકોનું જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકનું અપમાન છે. બિહાર પોલીસ આના પર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં