Monday, April 29, 2024
More
    હોમપેજદેશઆસામમાં બાળલગ્ન વિરુદ્ધ હિમંતા સરકારની એક્શન ફરી શરૂ: 1039ની કરી ધરપકડ, પ્રથમ...

    આસામમાં બાળલગ્ન વિરુદ્ધ હિમંતા સરકારની એક્શન ફરી શરૂ: 1039ની કરી ધરપકડ, પ્રથમ તબક્કામાં પકડાયેલાઓમાં 63% હતા મુસ્લિમ

    CM સરમાએ કોઈપણ સામાજિક અનિષ્ટો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કર્યા પછી જ આસામ સરકારે બાળલગ્ન સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં આસામ સરકારે ફેબ્રુઆરીમાં બાળલગ્ન વિરુદ્ધ આ અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો.

    - Advertisement -

    આસામ રાજ્યની હિમંતા સરકાર દ્વારા બાળલગ્ન સામે ચલાવવામાં આવેલા એક મોટા અભિયાનમાં 1039 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાળલગ્ન સામેના આ અભિયાનનો બીજો તબક્કો મંગળવાર (3 ઓકટોબર, 2023)ની સવારે સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો. આગળ પણ આ અભિયાન શરૂ રહેશે એવા સમાચાર મળી રહ્યા છે.

    આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધરરપકડના આંકડાઓ વધવાની આશંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ આસામ રાજ્યની હિમંતા સરકારે રાજ્યમાં બાળલગ્ન સામે કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં એક મહિનામાં 3141 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    પંચાયત સચિવ સહિત અનેક સોર્સ પાસેથી લીધી માહિતી

    અગાઉની કાર્યવાહીમાં ધરપકડ કરાયેલા લોકોના રેકોર્ડનું ઇન્ડિયન એક્સપ્રેસનું વિશ્લેષણ દર્શાવે છે કે ધરપકડ કરાયેલા લોકોમાંથી 62.24 ટકા મુસ્લિમ હતા, જ્યારે બાકીના હિંદુ અથવા અન્ય સમુદાયના લોકો હતા.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજા તબક્કામાં રાજ્યભરમાં 916 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ અભિયાન હેઠળ 706 FIR નોંધવામાં આવી છે અને 1,041 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

    ધરપકડ કરાયેલા લોકોમાં 551 પુરુષો પર સગીર વયની કિશોરીઓ સાથે લગ્ન કરવાનો આરોપ છે અને 351 પતિ કે પત્નીના સંબંધીઓ છે. આ સાથે 14 જેટલા મૌલવીઓ વેગેરે છે જેમણે આ લગ્ન કરાવ્યા હતા.

    અત્યાર સુધીમાં 35માંથી 31 પોલીસ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે. કામરુપ (મેટ્રો) હેઠળ આવતા ગુવાહાટી શહેરમાં સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. આ પછી ધુબરીમાં 192 અને બારપેટા જિલ્લામાં 142 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    આ જિલ્લાઓ બાદ હૈલાકાંડીમાં 59, કામરુપમાં 50 અને કરીમગંજમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બારપેટાના પોલીસ અધિક્ષક અમિતાવ સિન્હાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ધરપકડ કરાયેલા તમામ 142 લોકોને રાત્રિ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા.

    તેમણે વધુમાં કહ્યું, “અમે ઘણા સોર્સ પાસેથી જાણકારી એકઠી કરી હતી. તેમાં છેલ્લા અભિયાન દરમિયાન બાળલગ્ન નિષેધ અધિકારી તરીકે નિયુકત પંચાયત સચિવ પણ સામેલ છે. તે પછી જ ધરપકડ શરૂ કરવામાં આવી.”

    CM સરમાની ઝીરો ટોલરન્સ પોલિસી

    નોંધનીય છે કે CM સરમાએ કોઈપણ સામાજિક અનિષ્ટો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કર્યા પછી જ આસામ સરકારે બાળલગ્ન સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં આસામ સરકારે ફેબ્રુઆરીમાં બાળલગ્ન વિરુદ્ધ આ અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. ત્યારે તેમણે પ્રજનન અને બાળ આરોગ્ય (RCH) પોર્ટલને ટાંકીને કહ્યું હતું કે ગયા વર્ષે આસામમાં 6.2 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓમાંથી લગભગ 17 ટકા કિશોરીઓ હતી.

    રાજ્ય સરકારે બાલ લગ્નના “પીડિતો”ના પુનર્વસન પર એક કેબિનેટ પેટા સમિતિની રચના કરી છે. જેમાં CM સરમાના કેબિનેટ સહયોગીઓ રાનોજ પેગુ, કેશબ મહંત, અને અજંતા નિયોગને પેનલના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાએ આ અભિયાનની ટીકા કરીને કહ્યું કે આપણે પોલીસ દળ દ્વારા બાળલગ્ન રોકી શકીએ નહીં.

    11 સપ્ટેમ્બરના રોજ બાળલગ્નમાં સામેલ લોકો સામે કરવામાં આવેલી કાર્યવાહી પર, રાજ્યના CM હિમંતા બિસ્વા સરમાએ આસામ વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષમાં બાળલગ્ન સંબંધિત કેસોમાં કુલ 3907 ધરપકડ કરવામાં આવી છે.

    તેમાંથી 3319 સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ 2012 હેઠળ આરોપ લગાવવમાં આવ્યા હતા. જોકે, કોર્ટે અત્યાર સુધીમાં માત્ર 62 લોકોને જ બાળલગ્ન નિષેધ અધિનિયમ-2006 હેઠળ દોષિત ઠેરવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં