Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત સરકાર બનાવશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી: ₹28 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10...

    ભારત સરકાર બનાવશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી: ₹28 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખ પ્રત્યક્ષ અને 30 લાખ પરોક્ષ રોજગારીનું કરશે સર્જન

    અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના માધ્યમથી દેશમાં છ ઔદ્યોગિક કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોરમાં અમૃતસર-કોલકાતા, દિલ્હી-મુંબઈ, વિઝાગ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-નાગપુર અને ચેન્નાઈ-બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશના વિકાસને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા 10 રાજ્યોમાં 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝ (Industrial Smart Cities) બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 28 ઓગસ્ટે કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ અંગે જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટના માધ્યમથી દેશમાં 40 લાખ રોજગારી (Employment) ઊભી થવાની ગણતરી મૂકવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹28,602 કરોડ છે.

    28 ઓગસ્ટ બુધવારે કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝ બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જાહેરાત અનુસાર આ ઔદ્યોગિક વિસ્તારોમાં ઉત્તરાખંડના ખુરપિયા, મહારાષ્ટ્રના દિઘી, કેરળના પલક્કડ, યુપીના આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના ઝહીરાબાદ, આંધ્ર પ્રદેશના ઓરવાકલ અને કોપરથી, પંજાબના રાજપુરા-પટિયાલા અને રાજસ્થાનના જોધપુર-પાલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઇન્ડસ્ટ્રીયલ સિટીઝનો વિકાસ, વિકસિત ભારતની થીમ પર કરવામાં આવશે. જેની અંદાજિત કિંમત ₹28,602 કરોડ છે.

    ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની પણ જાહેરાત

    આ સિવાય જાહેરાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના માધ્યમથી દેશમાં છ ઔદ્યોગિક કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોરમાં અમૃતસર-કોલકાતા, દિલ્હી-મુંબઈ, વિઝાગ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-નાગપુર અને ચેન્નાઈ-બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રોજેક્ટ ₹1.52 લાખ કરોડના મૂડીરોકાણને આકર્ષશે અને લગભગ 10 લાખ પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કરશે. ઉપરાંત 30 લાખ સુધીની પરોક્ષ રોજગારીનું સર્જન થવાની સંભાવના પણ રહેલી છે.

    - Advertisement -

    રેલ્વે અને કૃષિ પણ આવરી લેવાયા

    આ સિવાય રેલ્વે વિકાસ માટે સરકારે ₹6,456 કરોડ ફાળવ્યા છે. જે અંતર્ગત કુલ 296 કિલોમીટર લંબાઈના ત્રણ મોટા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ દ્વારા રેલ જોડાણમાં નોંધપાત્ર વધારો થવાની સંભવના છે. ઉપરાંત પ્રોજેક્ટ ઓડિશાના નુઆપાડા અને ઝારખંડના પૂર્વ સિંઘભુમ જેવા જિલ્લાઓમાં પ્રાદેશિક વિકાસને ઉત્તેજન આપશે તેવી અપેક્ષા છે.

    આ ઉપરાંત સરકારે ઉત્તર પૂર્વી રાજ્યોમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. જે અંતર્ગત સરકારે ₹4,136 કરોડના સહકારની જાહેરાત કરી છે. આ પ્રોજેકટ 62 ગીગાવોટ હાઇડ્રો-ઇલેક્ટ્રીસિટી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની પણ જાહેરાત કરી હતી. આ ફંડ લણણી પછીના કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે પેક હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ વાહનો જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં