Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણક્યારેક કરી ભીલીસ્તાનની માંગ, ક્યારેક હિંદુઓની યાત્રાને ગણાવી 'મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું કાવતરું':...

    ક્યારેક કરી ભીલીસ્તાનની માંગ, ક્યારેક હિંદુઓની યાત્રાને ગણાવી ‘મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું કાવતરું’: વિવાદિત નિવેદનોને લીધે કાયમ ચર્ચામાં રહ્યા છે AAP નેતા ચૈતર વસાવા, FIR થયા બાદ છે ફરાર

    પોલીસ હજુ પણ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને શોધી રહી છે. જોકે, આ પહેલી વખત નથી કે તેઓ વિવાદમાં આવ્યા હોય. જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી તેઓ કાયમ વિવાદિત નિવેદનો કે પછી ભૂતકાળના કેસોને લઈને ચર્ચામાં રહ્યા છે.

    - Advertisement -

    કાયમ વિવાદોમાં સપડાયેલા રહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વસાવા વિરુદ્ધ વન વિભાગે ફરિયાદ દાખલ કરી છે. તેમની ઉપર વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવી ધમકી આપી મારપીટ કરવાનો આરોપ છે. જેને લઈને નર્મદા પોલીસે તેમના વિરુદ્ધ FIR પણ નોંધી છે. જે બાદ પોલીસે તેમની પત્ની, PA અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે ચૈતર વસાવા હજુ પણ ફરાર છે.

    સમગ્ર ઘટના એવી છે કે ડેડિયાપાડાના એક ગામમાં અમુક ખેડૂતોએ વન વિભાગની જમીન પર દબાણ કરીને ખેતી કરી હતી, જે બાદ વિભાગના કર્મચારીઓએ પાક હટાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતોએ આ અંગે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરતાં તેમણે વન વિભાગના કર્મચારીઓને તેમના ઘરે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. આરોપ છે કે તે દરમિયાન વસાવાએ વિભાગના કર્મચારીઓને ધાકધમકી આપી મારપીટ કરી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો.

    પોલીસ હજુ પણ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને શોધી રહી છે. જોકે, આ પહેલી વખત નથી કે તેઓ વિવાદમાં આવ્યા હોય. જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી તેઓ કાયમ વિવાદિત નિવેદનો કે પછી ભૂતકાળના કેસોને લઈને ચર્ચામાં રહ્યા છે.

    - Advertisement -

    અલગ ભીલીસ્તાનની કરી હતી માંગ

    આ પહેલાં ફરાર AAP નેતા ચૈતર વસાવાએ એક વિડીયો જાહેર કરીને અલગ ભીલીસ્તાનની માંગ કરી હતી. જેમાં તેમણે ગુજરાત અને પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભીલ અને આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી. એક વિડીયો જાહેર કરીને તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનોને જોડીને અલગ ભીલપ્રદેશની માંગનો અવાજ બુલંદ કરશે. ભીલીસ્તાન એ ખાલિસ્તાનની જેમ જ અલગતાવાદીઓએ પોતાની રીતે મનમાં માની લીધેલો એક અવાસ્તવિક વિસ્તાર છે. જેમાં આદિવાસીઓના કથિત નેતાઓ પોતાના એક અલગ પ્રદેશની માંગ કરી ભાગલા પાડવા ઈચ્છે છે.

    મારામારીના અપરાધમાં કોર્ટે ફટકારી હતી જેલની સજા

    મે, 2023માં AAP નેતા ચૈતર વસાવા પર મારપીટ કર્યાના ગુના બદલ નર્મદા સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી. ઘટના એવી હતી કે ડિસેમ્બર-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ચૈતર વસાવા અને અન્યોએ હરીફ સરપંચ પદના ટેકેદારો પર હુમલો કર્યો હતો. ટેકેદારો બોગજ કોલીવાડા ગામે તાપણું કરી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા સહિત 10 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને ત્યારબાદ મારામારી થઇ હતી. આ કેસના ફરિયાદી સતિષ વસાવાએ ચૈતર વસાવા સામે પોતાની ઉપર સળગતા લાકડા વડે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ આપ નેતા સહિત 10 લોકો સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

    આ કેસની સુનાવણી નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. જે બાદ 24 મેના રોજ કોર્ટે આ કેસના આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને છ મહિનાની જેલની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં AAP નેતા પણ સામેલ હતા. જોકે, પછીથી તેઓ જામીન પર છૂટી ગયા હતા.

    હિંદુઓને કહ્યા હતા મુસ્લિમોને ટાર્ગેટ કરનારા

    29 સપ્ટેમ્બર, 2023ના રોજ નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. જે બાદ ત્યાંનાં સ્થાનિક AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાનો તેમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતી વખતે સમગ્ર દોષનો ટોપલો હિંદુઓ પર ઢોળતા નજરે પડ્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે આખરે યાત્રાને પરવાનગી જ શા માટે આપી હતી.

    AAP નેતાએ અધિકારી સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે, “આ લોકોએ જેવું મીડિયામાં નાખ્યું હતું તેવું સાંજે આઠ વાગ્યે મેં તમને ફોન કરીને ધ્યાન દોર્યું હતું કે આ લોકો ધમાલ કરશે, આ પૂર્વનિયોજિત કાવતરું છે. આ કોઇ ધર્મરક્ષાની રેલી નથી, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.” આગળ કહ્યું, “મેં એમ પણ કહ્યું હતું કે આ લોકોની મીટિંગ બોલાવીને કહો કે જો કોઈ કાંકરીચાળો થશે તેની જવાબદારી તેમની રહેશે.”

    ખ્રિસ્તી સમાજ પર લાગતા ધર્માંતરણના આક્ષેપોને ગણાવ્યા હતા ખોટા

    એ પછી AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલા નવાપુરમાં આયોજિત એક ખ્રિસ્તી સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે ટૂંકું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ગુજરાત અને દેશમાં સૌથી વધારે ખ્રિસ્તી સમાજ પર આક્ષેપો થતા હોય તો તે ધર્માંતરણના છે. આ તમામ પાયાવિહોણા અને ખોટા છે. કારણ કે બંધારણમાં જોગવાઈ છે કે બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ધર્મ પાળી શકે છે. વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે પુખ્ત વયનો ગણાય અને તે નક્કી કરી શકે છે કે તેણે કયો ધર્મ પાળવાનો છે. જેથી આ ધર્માંતરણના આક્ષેપો તદ્દન ખોટા છે. અમે તેને વખોડી કાઢીએ છીએ.” આ ઉપરાંત તેમણે હિંદુ સંગઠનો પર આક્ષેપો પણ કર્યા હતા. તેમણે હિંદુ સંગઠનો પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સેલંબામાં પરવાનગી વગર યાત્રા કાઢીને ‘રમખાણો’ કર્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં