Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાપીના સોનગઢમાં ઘરવાપસી: હનુમાનજીની શોભાયાત્રા ગામમાં આવતા બે પેઢીથી રાહ જોઈને બેસેલા...

    તાપીના સોનગઢમાં ઘરવાપસી: હનુમાનજીની શોભાયાત્રા ગામમાં આવતા બે પેઢીથી રાહ જોઈને બેસેલા ખ્રિસ્તી ધર્મમાં વટલાયેલા 6 આદિવાસી પરિવારો સ્વધર્મમાં પરત ફર્યા

    જ્યારે શનિવારે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા નીકળતી આ શોભાયાત્રા સોનગઢના બુધવાડા ગામે પહોંચી તો એ અંતરિયાળ ગામના આદિવાસી પરિવારો ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે યાત્રાનું સ્વાગત કર્યું હતું અને હનુમાનજીની આરતી પણ કરી હતી.

    - Advertisement -

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં બુધવાડા ગામે શનિવારે (18 જૂન 2022) હનુમાનજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે આદિમ વર્ગમાંથી આવતા કોટવાડિયા સમાજના 6 પરિવારોના 35થી વધુ લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. રાષ્ટ્રીય જનજાતિ મંચ, તાપી જિલ્લા દ્વારા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

    રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા હાલમાં આદિવાસી વિસ્તારના ગામડાઓમાં હનુમાનજીની શોભાયાત્રાના માધ્યમથી જનજાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં તેઓ ગામે ગામ હનુમાનજીની શોભાયાત્રા લઈ જાય છે જ્યાં સ્થાનિક લોકો પોતપોતાના ઘર સામે આ યાત્રાનું સ્વાગત કરીને હનુમાનજીની આરતી કરતાં હોય છે.

    જ્યારે શનિવારે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા નીકળતી આ શોભાયાત્રા સોનગઢના બુધવાડા ગામે પહોચી તો એ અંતરિયાળ ગામના આદિવાસી પરિવારો ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે યાત્રાનું સ્વાગત કર્યું હતું અને હનુમાનજીની આરતી પણ કરી હતી.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથેની પોતાની ખાસ વાતચીતમાં રાષ્ટ્રીય જનજાતિ મંચના તાપી જિલ્લાના અધ્યક્ષ પ્રદીપ વસાવાએ જણાવ્યુ હતું કે, “તાપી જિલ્લાના ઘણા ગામો પહાડો તથા નદીઓ પાસે ખૂબ અંતરિયાળ વિસ્તારોમાં વસેલા છે. આજે પણ ત્યાં મોબાઈલ સિગ્નલ નથી પહોચી શક્યા. પરંતુ આવા ગામોમાં ઈસાઈ મિશનરીઓ પહોચી જાય છે અને ત્યાના ભોળા આદિવાસીઓનું લોભ લાલચ અથવા ભય દ્વારા ધર્મ પરીવર્તન કરીને તેમણે ઈસાઈ બનાવી ડેટા હોય છે.”

    “અમે આવા ગામે ગામ હનુમાનજીની શોભાયાત્રા લઈ જઈને તેમનામાં જાગૃતતા લાવતા હોઈએ છીએ. આ જ ક્રમમાં શનિવારે અમારે સોનગઢ તાલુકાનાં બુધવાડા ગામે જવાનું થયું હતું. ગામના આદિવાસી પરિવારો શોભાયાત્રા જોઈને ખુશ થઈ ગયા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સૌએ સાથે મળીને યાત્રાને આખા ગામમાં ઘરે ઘરે ફેરવી હતી અને સૌએ ઉત્સાહથી હનુમાનજીની પુજા કરી હતી.” વસાવાએ આગળ જણાવ્યુ.

    પ્રદીપ વસાવાએ કહ્યું, “બાદમાં ગામના મુખ્ય વડીલો અમારી પાસે આવ્યા અને અમને એમની આપવીતી કહી. તેઓએ કહ્યું કે આ ગામમાં દાયકાઓથી કોઈ ધાર્મિક ઉત્સવ ઉજવાયો ન હતો અને ગામમાં કોઈ મંદિર પણ ના હતું. આથી ધર્મ વિશેની અજ્ઞાનતાને કારણે 2 પેઢી પહેલા તેમના પરિવારોને મિસનરીઓ ઈસાઈ બનાવી ગઈ હતી. પણ હવે તેમણે સ્વધર્મમાં પાછા ફરવું છે.”

    આથી એ જ દિવસે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા સ્થાનિક પરિવારોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ગામમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને પૂરા વિધિવિધાન મુજબ ગામના 6 પરિવારોના 35થી વધુ સદસ્યોની હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરવી હતી. જે બાદ સ્થાનિક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે ગામમાં ભગવા ધ્વજ લઈને આદિવાસી નૃત્ય કરવા લાગ્યા હતા.

    ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં સ્વધર્મમાં ઘરવાપસી કરનાર પરિવારોમાંથી એક વડીલે જણાવ્યું કે, “હનુમાનજીની આ શોભાયાત્રા અમારા ગામમાં આવી એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. ઘણા વર્ષો બાદ અમારા ગ્રામ દેવતા અમારા ગ્રામ રક્ષક બનીને પાછા આવ્યા છે.”

    ઈસાઈ મિશનરીઓ ચલાવે છે ધર્માંતરણનો ધંધો

    આ વિસ્તાર સહિત ગુજરાતનાં તમામ આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓના ધર્માંતરણનો ગોરખધંધો ચાલતો હોય છે. બળજબરીપૂર્વક અથવા લોભ લાલચ દ્વારા આદિવાસીઓના ધર્મ પરીવર્તન કરાવવાના કિસ્સા અનેક વાર સામે આવતા જોવા મળે છે.

    ગત મહિને જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં સાંકડીબારી ગામે અને આસપાસના ગામોમાં ‘ખ્રિસ્તમાં નવું જીવન’ નામે ક્રિશ્ચિયન મિશનરી સંચાલિત એક કથિત આધ્યાત્મિક મેળાની પત્રિકા ફરતી થઈ હતી. જેમાં હિન્દુ આદિવાસીઓનું ધર્માંતરણ થવાની વાત સ્થાનિક VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓને ધ્યાને આવતા તેમણે નસવાડીના મામલતદરને આ કાર્યક્રમ રોકવા માટે અરજી કરી હતી. VHP એ ચીમકી આપી હતી કે જો કાર્યક્રમ રદ્દ નહીં થાય તો એ જ સ્થાને 2000થી વધુ કાર્યકર્તાઓ સાથે જઈને એમણે હનુમાન ચાલીસા અને રામધૂન કરશે, જે બાદ પોલીસ પરવાનગી વગર યોજાનારા આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો.

    આ પહેલા પણ દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવી ઘટનાઓ અનેકવાર સામે આવી છે. એક મહિના પહેલા આ જ તાપી જીલ્લામાં આવા જ એક ધર્માંતરણના કિસ્સામાં એક જ ઈસાઈ પરિવારના 5 સભ્યોની ધરપકડ કરાઇ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં