Thursday, June 27, 2024
More
    હોમપેજરાજકારણમુંબઈના અટલ સેતુ પર પડવા માંડી તિરાડો? કોંગ્રેસ અને તેના સમર્થકોએ ફરી...

    મુંબઈના અટલ સેતુ પર પડવા માંડી તિરાડો? કોંગ્રેસ અને તેના સમર્થકોએ ફરી ફેલાવ્યા ફેક ન્યૂઝ, અધિકારીની સ્પષ્ટતાથી ખુલી પોલ

    મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ કે અટલ સેતુ ભારતનો સૌથી લાંબો સી બ્રિજ છે, જે ગત 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મુંબઈના બહુ પ્રખ્યાત ટ્રાન્સ હાર્બર લિંક, જે અટલ સેતુ તરીકે પણ ઓળખાય છે, તેના વિશે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે તેનું ઉદ્દઘાટન થયાના થોડા જ સમયમાં તિરાડો પડવા માંડી છે. કોંગ્રેસનાં ટ્રોલ અકાઉન્ટ્સથી માંડીને પાર્ટીના નેતાઓ અને અમુક મીડિયા ચેનલો આ પ્રકરણ દાવા કરી રહ્યા છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. 

    આ સમગ્ર મામલો શરૂ થયો મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પાટોલેની એક પોસ્ટથી. તેમણે ‘અટલ સેતુ’ની સ્થળ મુલાકાત કરી હોવાનો દાવો કરીને કહ્યું કે, PM મોદીએ ત્રણ મહિના પહેલાં જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાં તિરાડો પડવા માંડી છે. આગળ એવું પણ લખ્યું કે, તેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છે. ટ્વિટમાં આગળ તેમણે કહ્યું કે, બિહારમાં નવનિર્મિત બ્રિજ તૂટી પડવાનો કિસ્સો તાજેતરમાં જ બન્યો છે ત્યારે મુંબઈમાં પણ તિરાડો જોવા મળતાં સરકારનાં કામો પર સવાલો ઉભા થવા વ્યાજબી છે. 

    નાના પાટોલેએ આગળ લખ્યું કે, “મેં મારા સાથીઓ સાથે બ્રિજની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું અને તેમાં સરકારની ભ્રષ્ટ નીતિ ખુલ્લી પડી ગઈ. આ મામલો ગંભીર છે અને અમે હાઇકોર્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ આ મામલે તુરંત સંજ્ઞાન લે અને તાપસનાં આદેશ આપે. “

    - Advertisement -

    નાના પાટોલેની આ મુલાકાત અને દાવા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સમર્થક અકાઉન્ટ્સે દર વખતની જેમ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો અને દાવો એવો કરવામાં આવ્યો કે ત્રણ મહિના પહેલાં PM મોદીએ જે સેતુનું ઉદઘાટન કર્યું હતું, તેમાં હવે તિરાડો જોવા મળી રહી છે. એટલું જ નહીં, ત્યારબાદ અમુક મીડિયા ચેનલો પણ તેમાં જોડાઈ ગઈ. 

    આ બધા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકારિક હેન્ડલ પરથી ખોટા દાવા સાથે એક પોસ્ટ કરીને જુઠ્ઠાણું ચલાવ્યું અને PM મોદીને ટાર્ગેટ કર્યા. કોંગ્રેસે લખ્યું કે, 18 હજાર કરોડમાં બનેલા અટલ સેતુમાં તિરાડો પડી ગઈ, જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારનો કેસ છે. 

    સોશિયલ મીડિયા પર ઘણાએ નાના પાટોલેનો વિડીયો ફેરવ્યો તો ઘણાએ એ મીડિયા રિપોર્ટ્સ ફેરવ્યા, જેમાં પૂરેપૂરું સત્ય જાણ્યા વગર અટલ સેતુ પર તિરાડો પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા અને આખી એક ઇકોસિસ્ટમને નવો મુદ્દો મળી ગયો. પરંતુ અહીં સત્ય કંઈક જુદું છે. 

    ફેક ન્યૂઝ ફરતા થયા બાદ અટલ સેતુના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાત્રાએ આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે સ્થળ પરથી જ એક વિડીયો બાઈટમાં જણાવ્યું કે, “આ સર્વિસ રોડ છે. એ કામચલાઉ કનેક્ટિંગ રેમ્પ જેવો છે. આ બ્રિજનો કનેક્ટિંગ પાર્ટ છે, જે કોસ્ટલ રોડ ન બનવાના કારણે છેલ્લી ઘડીએ બનાવવામાં આવ્યો હતો. અહીં નજીકમાં ખાદી હોવાના કારણે જમીન નીચે બેસી જાય છે. જોકે, આ મામૂલી તિરાડો હતી, જેને ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને કાલે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેના કારણે ન તો ટ્રાફિક રોકાયો છે કે ન કોઇને અગવડતા પડી રહી છે.” 

    અહીં સ્પષ્ટ છે કે તિરાડો બ્રિજમાં ક્યાંય પડી નથી, પરંતુ તેને જોડતા એપ્રોચ રોડ પર જોવા મળી છે. અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારની તિરાડો પડવી સામાન્ય છે અને તેનાથી રોડના બાંધકામમાં કોઈ ખામી હશે એવું માનવાની જરૂર નથી. ગણાત્રાએ કહ્યું કે, “આ તિરાડો રસ્તાની કિનારી ઉપર જોવા મળી છે. તે કોઇ બાંધકામની ખામીના કારણે જોવા મળી નથી. આ તિરાડો ડામરમાં જોવા મળી છે અને રિપેર કરી શકાય એમ છે. આ માટે કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. 

    નોંધનીય છે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ કે અટલ સેતુ ભારતનો સૌથી લાંબો સી બ્રિજ છે, જે ગત 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 21.8 કિલોમીટર લાંબા આ બ્રિજનો 16.5 કિલોમીટર ભાગ સમુદ્રમાં છે. અહીંથી દરરોજ 70,000 વાહનો પસાર થાય છે. જોકે, તેના માટે ટોલ ચૂકવવો પડે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં