Monday, May 5, 2025
More
    હોમપેજદેશના એક પણ દિવસની વકીલાત, ના કાયદાનું ભણતર... કરી કોંગ્રેસ સરકારની તરફેણ...

    ના એક પણ દિવસની વકીલાત, ના કાયદાનું ભણતર… કરી કોંગ્રેસ સરકારની તરફેણ અને થોડા જ દિવસોમાં બની ગયા દેશના CJI: જાણો કોણ હતા દેશના 10મા જસ્ટિસ કૈલાશનાથ વાંચૂ

    જસ્ટિસ વાંચૂએ 1967માં સરકારની તરફેણ કરનારો મત આપ્યો. આ પગલાંના થોડા દિવસો બાદ જ તેમને CJI બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ભાજપના સાંસદ નિશિકાંત દુબેની (Nishikant Dubey) સુપ્રીમ કોર્ટ (Supreme Court) વિશેની ટિપ્પણીઓ બાદ દેશમાં ન્યાયિક પ્રક્રિયા અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નિશિકાંત દુબે આ દરમિયાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમણે સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશનો (CJI) ઉલ્લેખ કર્યો છે, જેમની પાસે કાયદાની કોઈ ડિગ્રી નહોતી. તેમણે એક્સ પર જસ્ટિસ કૈલાશનાથ વાંચૂ (Justice Kailashnath Wanchoo) વિશે લખ્યું છે.

    જસ્ટિસ વાંચૂ દેશની 2 હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુક પામ્યા હતા અને દેશના 10મા CJI હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ સરકારની તરફેણમાં એક મોટો નિર્ણય પણ આપ્યો હતો.

    કોણ હતા જસ્ટિસ કૈલાશનાથ વાંચૂ?

    સુપ્રીમ કોર્ટના કામકાજ અને ન્યાયાધીશો વિશે માહિતી આપતી વેબસાઈટ સુપ્રીમ કોર્ટ ઓબ્ઝર્વર અનુસાર, કૈલાશનાથ વાંચૂનો જન્મ 1903માં મધ્યપ્રદેશમાં થયો હતો. તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા અને 1924માં તેમણે તત્કાલીન નોકરશાહી માટે લેવાતી ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) પરીક્ષા પાસ કરી હતી.

    - Advertisement -

    જસ્ટિસ વાંચૂ ત્યારબાદ તાલીમ માટે ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે 1926 સુધી ઈંગ્લેન્ડમાં તાલીમ લીધી હતી. તેમની શરૂઆતની નિમણૂક કલેક્ટર તરીકે થઈ હતી. તેમને સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં (તે સમયે યુનાઈટેડ પ્રોવિન્સ) નિમણૂક આપવામાં આવી હતી. 11 વર્ષ સુધી તેઓ આ જ પદ પર કામ કરતા રહ્યા હતા. 1937માં તેમને જિલ્લા સ્તરના ન્યાયાધીશ તરીકે પ્રથમ નિમણૂક મળી હતી.

    અલ્હાબાદ હાઇકોર્ટમાં પણ બન્યા ન્યાયાધીશ

    જસ્ટિસ વાંચૂ જિલ્લા ન્યાયાધીશ બન્યા બાદ લગભગ 10 વર્ષ પછી અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર, જસ્ટિસ વાંચૂને ફેબ્રુઆરી 1947માં અલ્હાબાદ હાઇકોર્ટમાં નિમણૂક મળી હતી. તેઓ 1951 સુધી અલ્હાબાદ હાઇકોર્ટમાં કામ કરતા રહ્યા હતા.

    જસ્ટિસ વાંચૂને રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1951માં તેમને રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકલવામાં આવ્યા હતા. અહીં તેમણે 1958 સુધી સેવાઓ આપી હતી. આ દરમિયાન તેમને અન્ય અનેક સ્થળોએ પણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

    જસ્ટિસ વાંચૂ કેવી રીતે બન્યા CJI?

    રાજસ્થાન હાઇકોર્ટમાં 7 વર્ષ કામ કર્યા બાદ જસ્ટિસ કૈલાશનાથ વાંચૂને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. તેમને 12 એપ્રિલ, 1967ના રોજ CJI બનાવવામાં આવ્યા હતા. આની પાછળ એક વિશેષ કારણ હતું. એવું કહેવાય છે કે 1967માં તત્કાલીન CJI જસ્ટિસ K. સુબ્બારાવે અચાનક રાજીનામું આપી દીધું હતું.

    સુબ્બારાવે રાજીનામું આપવાનું કારણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો તેમનો નિર્ણય હતો. જોકે, જસ્ટિસ સુબ્બારાવ આ ચૂંટણીમાં ઝાકિર હુસેન સામે હારી ગયા હતા. જસ્ટિસ સુબ્બારાવના રાજીનામાને કારણે જ જસ્ટિસ કૈલાશનાથ વાંચૂને CJI બનાવવામાં આવ્યા હતા.

    આ સાથે તેઓ પ્રથમ અને એકમાત્ર એવા CJI બન્યા હતા, જેમની પાસે ન તો વકીલાતની ડિગ્રી હતી, ન તો તેઓ વકીલ હતા. તેમની નિમણૂકનો આધાર તેમનો અગાઉનો અનુભવ હતો. તેઓ નીચલી અદાલતમાં પણ ન્યાયાધીશ તેમના ફોજદારી કાયદા અંગેના સારા જ્ઞાનના આધારે બન્યા હતા. આ જ્ઞાન તેમણે ICSની તાલીમ દરમિયાન મેળવ્યું હતું.

    જસ્ટિસ વાંચૂ 10 મહિના સુધી CJIના પદ પર રહ્યા હતા. તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 1968માં સમાપ્ત થયો હતો.

    સરકારની તરફેણમાં પણ ઊભા રહ્યા

    જસ્ટિસ વાંચૂએ અનેક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી હતી, જેમાં ઘણા બંધારણીય મામલા પણ સામેલ હતા. આમાંનો એક મામલો હતો ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. આને ભારતીય બંધારણ અને કાનૂની ઇતિહાસમાં મહત્વપૂર્ણ કેસ માનવામાં આવે છે.

    1967માં આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સંસદ બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે નહીં. આ સુનાવણી જસ્ટિસ સુબ્બારાવની બેન્ચે કરી હતી, જેમાં જસ્ટિસ વાંચૂ પણ સામેલ હતા. તેમણે આ ચુકાદા સાથે પોતાનો મતભેદ વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ વાંચૂનો અભિપ્રાય બાકીની બેન્ચથી અલગ હતો.

    તેમનું માનવું હતું કે સંસદ બંધારણમાં દેશના નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે છે. આ પગલું સરકારની તરફેણ કરનારું માનવામાં આવ્યું હતું. આ પગલાંના થોડા દિવસો બાદ જ તેમને CJI બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં