Friday, September 20, 2024
More
    Home Blog Page 1116

    રામનવમી હિંસાના આરોપીઓનાં ગેરકાયદે દબાણ દૂર કરાતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, કાર્યવાહીને ગણાવી ‘ગેરબંધારણીય’  

    રામનવમીના દિવસે ખંભાતના મુસ્લિમ બહુમતી વિસ્તાર શક્કરપુરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસા બાદ ગઈકાલે ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને હિંસાના આરોપીઓનાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે, સરકારની આ કાર્યવાહી સામે ગુજરાત કોંગ્રેસને વાંધો પડ્યો છે અને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો છે.

    કોંગ્રેસના બંને ધારાસભ્યોએ એક પ્રેસનોટ જારી કરીને સરકારની આ કાર્યવાહીને કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વગર થયેલી અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી તેને રોકવા માટે અપીલ કરી હતી. ઉપરાંત તેમણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફોનકોલ પર ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં થઇ રહેલી આ ડિમોલિશનની કાર્યવાહી રોકવા માટે અપીલ પણ કરી હોવાનું જણાવ્યું હતું.

    કોંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે જો આરોપીઓ પર કોર્ટમાં ગુનો સાબિત થઇ ગયો હોત અને આ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ થઇ હોત તો તેમણે વાંધો ઉઠાવ્યો ન હોત. ઉપરાંત આ પ્રકારની ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલાં કલેક્ટર અને જિલ્લા તંત્ર દ્વારા જે-તે માલિકને નોટીસ પાઠવવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

    જોકે, બીજી તરફ પ્રાંત અધિકારીએ આ કાર્યવાહી બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા શક્કરપુરામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, સમગ્ર ખંભાતમાં દબાણો હટાવવામાં આવશે અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. જ્યારે જિલ્લાના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ પોલીસે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાય રહે તે માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    શું બની હતી ઘટના?

    રામનવમીના દિવસે ગુજરાતના ખંભાત અને હિંમતનગર સહિતના શહેરોમાં શોભાયાત્રા દરમિયાન પ્રિ-પ્લાન્ડ હિંસા થઇ હતી. ખંભાતમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા શહેરમાં હિંદુઓ ફરી આવી શોભાયાત્રા નહીં કાઢે તે માટે ડરનો માહોલ ઉભો કરવા માટે અગાઉથી જ પ્લાન ઘડીને હિંસા આચરવામાં આવી હતી.

    અહેવાલ મુજબ, ખંભાતમાં શોભાયાત્રા મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે દરગાહ નજીક તોફાનીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાનો, બે લારીઓ અને એક મકાનમાં આગચંપી કરી દેવાતા માહોલ વધુ તંગ બન્યો હતો. આ બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી તો એક 62 વર્ષીય વ્યક્તિ કનૈયાલાલ રાણાનું મૃત્યુ થઇ ગયું હતું.

    મૌલવી અયુબ મલેકે અન્ય પાંચ-છ જણાને સાથે રાખી અગાઉથી આયોજન કર્યું હતું

    મુખ્ય આરોપીઓએ ઘટના અગાઉના બે-ત્રણ દિવસોથી ખાનગીમાં મીટીંગ કરી હતી અને તમામ આયોજન કર્યાં હતાં. જેમાં ઘટના બાદ આરોપીઓને ક્યાં સંતાડવા, તેમની રહેવાની વ્યવસ્થા ક્યાં કરવી, તેમને કાયદાકીય મદદ પૂરી પાડવી થી માંડીને તેમના પરિવારોને મદદ કરવા માટે મસ્જિદો અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ચાદર ફેરવીને ફંડ પણ એકઠું કરવા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ મામલે મૌલવી અયુબ મલેક સહિત 11 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    કોંગ્રેસના હાર્દિક પટેલને કોંગ્રેસના જ સંજય ગાંધીનું નસબંધી અભિયાન યાદ આવી ગયું!

    પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે કોઇપણ રાજકીય પક્ષ સાથે ન જોડાવાનું વચન પાટીદારોને આપ્યું હતું. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉજ તે સમયના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની  હાજરીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું સભ્યપદ હાંસલ કર્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલને કોંગ્રેસમાં મૂળ કોંગ્રેસીઓ દ્વારા પોતાનું સ્થાન બતાવી દેવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે.

    લોકસભાની 2019ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો હારી ગયું હતું અને ત્યારબાદ લાંબા સમય બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તે સમયના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે પદ જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ હાર્દિક પટેલનો ભાવ કોંગ્રેસમાં કોઈ પૂછતું ન હોવાનું પણ હાર્દિક પટેલ અનેકવાર કહી ચુક્યા છે.

    હાલમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર મુકાયેલા પ્રતિબંધ પર મળેલા સ્ટે બાદ હાર્દિક પટેલને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં તેમની અવગણના થઇ રહી છે. હાલમાં જ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી. હાર્દિક પટેલે આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કોંગ્રેસમાં તેમની હાલત એક નવા પરણેલા વ્યક્તિ જેવી છે જેની નસબંધી કરી નાખવામાં આવી છે. હાર્દિક પટેલનું આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં તેમને કોઈ પૂછતું પણ નથી.

    હાર્દિક પટેલે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કોઇપણ નિર્ણય લેવામાં આવે તો કાર્યકારી પ્રમુખ હોવાને નાતે તેમની સલાહ કે મંતવ્યો લેવામાં આવતાં નથી. આનું ઉદાહરણ આપતાં હાર્દિક કહે છે, “હાલમાં જ તેમણે (ગુજરાત પ્રદેશ કોંગ્રેસે) 75 નવા જનરલ સેક્રેટરીઓ અને 25 નવા ઉપપ્રમુખોની નિમણુંક કરી છે, પરંતુ તેમણે મારી સલાહ નથી લીધી અને એમ પણ નથી પૂછ્યું કે હાર્દિકભાઈ, આ યાદીમાં કોઈ મજબુત નેતા રહી તો નથી ગયો ને?”

    ખોડલધામના નરેશ પટેલને પાર્ટીમાં સમાવવામાં થઇ રહેલા વિલંબની પણ હાર્દિક પટેલે ટીકા કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે જ્યારે બે મહિનાથી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. જ્યારે સામા પક્ષે ભાજપ એકદમ આક્રમક થઈને આ સ્તરના આગેવાનોને પોતાના પક્ષમાં આવકારવા માટે સદાય તૈયાર હોય છે.

    જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના આ આરોપનું ખંડન કર્યું છે જે ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીઓના થોડાજ મહિનાઓ અગાઉ બધું બરોબર ન હોવા પર બહુ મોટો સંકેત કરી જાય છે. હાર્દિક પટેલે આ જ ઇન્ટરવ્યુમાં આપેલા એક અન્ય નિવેદનથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે શું હાર્દિક પટેલ ખરેખર નરેશ પટેલને કોંગ્રેસમાં ઈચ્છે છે? કે પછી નરેશ પટેલ કક્ષાના પાટીદાર આગેવાન જો કોંગ્રેસમાં જોડાય તો પક્ષમાં હાર્દિકની હાલમાં ચાલી રહેલી અવગણના કઈ હદ સુધી પહોંચી જશે તેની તેમને ચિંતા છે?

    હાર્દિક પટેલે કહ્યું હતું કે “હું ટીવી પર જોઈ રહ્યો છું કે કોંગ્રેસ 2022ની ચૂંટણીઓ માટે નરેશ પટેલને પક્ષમાં સમાવવા માંગે છે. મને આશા છે કે તેઓ 2027ની ચૂંટણીઓ માટે કોઈ નવા પટેલની શોધ ન શરુ કરી દે. પાર્ટી પક્ષમાં જ રહેલાઓનો (પાટીદાર નેતાઓ) ઉપયોગ કેમ નથી કરતી?” આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે અંદરખાને હાર્દિક પટેલની ઈચ્છા નથી કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે.

    હાર્દિક પટેલ એવું પણ કહી રહ્યા છે કે ઘણાં કોંગ્રેસીઓ એમ કહી રહ્યાં છે કે હાર્દિકનો ઉપયોગ કોંગ્રેસમાં થવો જોઈએ એ રીતનો નથી થઇ રહ્યો. જો કે હાર્દિક પટેલે આ નેતાઓના નામ કહ્યા નથી એ અહીં ઘણું સૂચક છે.

    કોંગ્રેસના હાર્દિક પટેલને કોંગ્રેસના જ સંજય ગાંધી દ્વારા કટોકટીના સમય દરમ્યાન જબરદસ્તીથી લાગુ પાડવામાં આવેલી નસબંધી પોતાને પક્ષમાં થઇ રહેલા અન્યાય અને અવગણનાથી યાદ આવી ગઈ છે. 1975માં લાગુ પડેલી કટોકટી દરમ્યાન સંજય ગાંધીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કરાવીને દેશભરમાં ફક્ત એક વર્ષમાં 60 લાખ લોકોની નસબંધી કરાવી દીધી હતી. લોકોને લોભ-લાલચ આપીને, ઘરમાં અચાનક ઘુસી જઈને, બસમાંથી ઉતારીને તેમની નસબંધી કરવામાં આવી હતી. કટોકટીકાળના અનેક અત્યાચારોમાં સંજય ગાંધીના નસબંધીનો અત્યાચાર શિરમોર સાબિત થયો હતો, અને આજે તેને તેનાજ પક્ષના આગેવાન પોતાની લાચારી વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લાવી રહ્યા છે.

    સોમનાથ – પ્રથમ જ્યોતિર્લીંગ અને શિવ સાથે જીવને નજીક લઇ આવતું એક અદભુત યાત્રાધામ

    સોમનાથ મંદિરની યાત્રા કર્યા બાદ એક વિચાર મનમાં આવ્યો કે, ઘણા વ્યક્તિઓ નાસ્તિક હોય છે અને એમાંથી ઘણાને પોતાના નાસ્તિક હોવા પર ઘણો ગર્વ પણ હોય છે. કેટલાક આવા જ ગૌરવાન્વિત નાસ્તિકો આસ્તિકોની આસ્થાનું સન્માન કરવાને બદલે તેમનું અપમાન કરવાની હદે તેમની મશ્કરી કરતા હોય છે. આ લોકોને ભગવાન, પ્રભુ કે પછી ઈશ્વરના અસ્તિત્વ પર જ શંકા હોય છે અને તેમણે પોતાના મનના દરવાજા એવા તો સજ્જડ રીતે બંધ કરી દીધા હોય છે કે ઈશ્વરના અસ્તિવ વિષેની વૈજ્ઞાનિક દલીલોને પણ તેઓ ધરાળ નકારતા હોય છે.

    તો સામે પક્ષે આસ્તિક વ્યક્તિને પોતાની આસ્થાના બળ પર ગમેતે સમયે ઈશ્વર પોતાની આસપાસ હોવાની અનુભુતી આપોઆપ થવા લાગે છે. જ્યારે કોઇપણ આસ્તિકને ઈશ્વર પોતાની નજીક હોવાનો અનુભવ થાય ત્યારે તેને એનીમેળે આનંદની લાગણી થવા લાગે છે, કોઇપણ કારણ વગર. કે પછી તેના આંખમાં આંસુ આવી જતા હોય છે, પગ અને હાથ આપોઆપ ડોલવા લાગતા હોય છે કે પછી શરીરનું એક એક રૂંવાડું નર્તન કરવા લાગતું હોય છે. ભગવાન સોમનાથના મંદિરમાં અને તેમની સમક્ષ ઉભા રહીને આવો જ અનુભવ થતો હોય છે.

    વર્ષોથી મનની ઈચ્છા હતી કે એકવાર સોમનાથદાદાના દર્શન કરવા એટલે કરવા જ. પરંતુ બીઝી શેડ્યુલમાં આ દર્શન દુર્લભ થઇ રહ્યા હતા. છેલ્લે લગભગ અઢાર વર્ષ અગાઉ ભગવાન સોમનાથના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. છેવટે જુનાગઢમાં એક લગ્ન પ્રસંગે જવાની તક મળી અને મા ગિરનારીના આ નગરથી માંડ સો કિલોમીટર દૂર ધૂણી ધખાવીને બેસેલા સોમનાથદાદાના દર્શન કરી જ લેવા એવું લગભગ છ મહિના અગાઉજ નક્કી કરી લીધું હતું.

    છેવટે 12મી માર્ચની સાંજે સોમનાથ નગર પહોંચવાનું થયું અને હોટલમાં ફ્રેશ થઈને દાદાના દર્શને સહપરિવાર નીકળી પડ્યો. ઉત્સાહ તો એટલો બધો હતો કે જેમ જેમ સોમનાથ મંદિરની ધજા નજીક દેખાવા લાગી તેમ તેમ ચહેરા પરનું સ્મિત પહોળુંને પહોળું થવા લાગ્યું હતું. છેવટે મંદિર સાવ નજીક આવી ગયું અને માતુશ્રી સાથે હોવાથી સિક્યોરીટીને સમજાવી મંદિરના દરવાજા જ્યાંથી દર્શનાર્થીઓએ પગપાળા જવાનું હોય છે ત્યાં આવેલા પાર્કિંગ સુધી કાર લેવડાવી.

    સુરજ દેવતા લગભગ અરબી સમુદ્રમાં છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના મુખ્ય ગુંબજ પાછળ એમની આકૃતિ જોઇને તરતજ ફોટોગ્રાફ ખેંચી લીધો અને ઢળી રહેલા તેમ છતાં ઝળહળતા સુરજદાદાની ચમકથી ચમકતા સોમનાથ મંદિરને જોઇને મોઢામાંથી ‘વાહ’ નીકળી ગઈ. મંદિર પહોંચતા પહેલા જ માહિતી હતી કે અહીંની સાંધ્ય આરતી ખરેખર અનુભવવા લાયક હોય છે. આ આરતીમાં ભાગ લેવા માટે અમુક નિયમો હોય છે તેની પણ જાણ હતી એટલે ભલે વહેલા પહોંચી ગયા પણ આ આરતીનો લાભ ચૂકવો નહીં એમ નક્કી કરીને લગભગ પોણો કલાક વહેલા એટલેકે સાંજે સવા છ વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી લીધો.

    પ્રવેશ કરવાની સાથેજ દાદાની પ્રથમ ઝલક જોઈ અને મન ગદગદ થઇ ગયું. કામકાજનો દિવસ હોવાથી ભીડ પ્રમાણમાં ઓછી હતી આથી તમામ ભક્તો આરામથી દાદાના દર્શન કરતા હતા અને અંદર રહેલી સિક્યોરીટી પણ તેમને કોઇપણ પ્રકારની દલીલ કર્યા વગર આરામથી દર્શન કરવા દેતી હતી. મારો વારો આવવાની સાથેજ મેં મારું શીશ નમાવીને મારી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા તમામની સુખાકારીની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી.

    આ બધું તો માત્ર પાંચેક મિનિટમાં પતી ગયું અને સાંધ્ય આરતી શરુ થવાને હજી પણ પાંત્રીસથી ચાળીસ મિનીટ બાકી હતી. પરંતુ તેમ છતાં દર્શન કરવાના માર્ગની બાજુમાં રહેલી જગ્યામાં આરતી શરુ થવાની રાહ જોવાનું નક્કી કર્યું. આ સમયે મંદિરની સાઉન્ડ સિસ્ટમ પર જગજીત સિંહના અવાજમાં ભજન ચાલી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ એક પછી એક મહાદેવના દર્શન કરી રહ્યા હતા. અમે જ્યાં ઉભા હતા ત્યાંથી બહુ નજીકથી જ ભગવાન શિવના દર્શન સતત થઇ રહ્યા હતા, ઉપરાંત ઉપર ત્રણ LED TV પર લાઈવ દર્શન થઇ રહ્યા હતા.

    એવામાં સાંજના 6.50 વાગ્યા અને જગજીત સિંહના ભજનની જગ્યા લીધી હનુમાન ચાલીસાએ. અમારી જેમ ત્યાં ઉભેલા અન્ય ભક્તોએ માઈક પર સંભળાતા હનુમાન ચાલીસાની સાથે સાથે પોતે પણ ગાવાનું ચાલુ કરી દીધું અને તેની સાથેજ આખું વાતાવરણ ભક્તિમય થવા લાગ્યું. આની સાથેસાથે ડાબી અને જમણી તરફના ગેટ બંધ થઇ ગયા અને ફક્ત મુખ્ય દ્વાર ખુલ્લું રાખવામાં આવ્યું પરંતુ શ્રદ્ધાળુઓને બહાર જ રોકી દેવામાં આવ્યા.

    બરોબર સાતના ટકોરે પહેલા અમારી પાછળથી એક શંખનાદ થયો અને પછી વારાફરતી પાંચ વખત શંખનાદ થયા અને સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીએ ધૂપથી આરતી શરુ કરી તેની સાથેજ અમારી પાછળ રહેલા નગારા અને ઘંટના નાદથી ભગવાન સોમનાથની સાંધ્ય આરતી શરુ થઇ! બસ… આ આરતીની અદભુત ધૂન સાથેજ બંને હાથ આપોઆપ તાળી વગાડવા લાગ્યા અને પેલી આરતીની ધૂનની ગતિમાં ફેરફાર થતો રહ્યો એટલેકે એની ઝડપ વધતી ઘટતી રહી અને તેની સાથેજ ભક્તોના તાનમાં પણ વધઘટ થતી રહી.

    પગ આપોઆપ હલવા લાગ્યા, અમુકના માથા ધુણવા લાગ્યા, મારા જેવાની આંખો ભીની થવા લાગી. નજર સતત સોમનાથ મહાદેવ પર ટકેલી રહી. લગભગ પંદર મિનીટ થયા બાદ પૂજારીએ ગર્ભગૃહમાં રહેલા પાર્વતીજી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની આરતી કરી અને પછી બહાર આવ્યા અને બહાર મંડપમાં આવેલી ગણેશજી, હનુમાનજી, નંદી તેમજ ચારેય દિશાઓની આરતી કરી. ત્યારબાદ ડાબી તરફનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેમણે ધૂપથી સમુદ્રની આરતી કરી.

    ધૂપ આરતી બાદ પૂજારીએ દીપ આરતી શરુ કરી આ આરતી પણ પંદર મિનીટ ચાલી અને ધૂપ આરતીની જેમ જ મહાદેવની આરતી કર્યા બાદ અંદરની તેમજ બહારની મૂર્તિઓ અને સમુદ્રની આરતી પણ થઇ. ધૂપ આરતી પૂર્ણ થયા બાદ બહાર મુખ્ય દરવાજે રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓને અંદર આવવા દેવામાં આવ્યા પરંતુ તેમને દર્શન કર્યા બાદ તરતજ બીજા દરવાજેથી બહાર જવાનું કહેવામાં આવ્યું. આવું દીપ આરતી બાદ પણ કરવામાં આવ્યું.

    આમ, અડધા કલાકની આરતી દરમ્યાન મન અને આત્મા તૃપ્ત થયાનો અનુભવ થયો. હતી તો આરતી જ પરંતુ એક પણ શબ્દ વગર માત્ર નગારા અને ઘંટની ધૂન પર થઇ અને અહીં રહેલા વાતાવરણની અસરને કારણે આધ્યાત્મનો અનુભવ થવો એ શક્ય હતું જ. કદાચ એની જ અસર હેઠળ આરતી પૂર્ણ થયાની બીજી જ સેકન્ડે હાજર તમામ શ્રદ્ધાળુઓનો શંકર ભગવાનના નામનો સ્વયંભુ જયઘોષ અને મંદિરની બહાર નીકળતી વખતે પણ ભગવાન શિવના વિવિધ નામોનો ઉપયોગ કરીને તેમનો જયઘોષ ચાલુ રાખવાનું તમામ માટે શક્ય બન્યું હશે.

    સંધ્યા આરતી તો ખરેખર એક બહાનું જ છે, પરંતુ ત્યારબાદ શૃંગાર અને મધ્યાહ્ન આરતીનો પણ મેં લાભ લીધો અને એટલીજ આધ્યાત્મિકતાનો અનુભવ ત્યારે પણ થયો હતો. સોમનાથ એ સર્વપ્રથમ જ્યોતિર્લીંગ ગણાય છે. જ્યારે સોમ એટલેકે ચંદ્ર પ્રજાપતિ દક્ષના શ્રાપથી ક્ષીણ થવા લાગ્યો હતો ત્યારે તેણે તે સમયે પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થાન પર ભગવાન શંકરની આરાધના કરી અને ભગવાન શંકર સોમનાથ તરીકે સ્વયંભુ પ્રગટ થયાં અને અહીં ભવ્ય જ્યોતિર્લીંગ અસ્તિત્વમાં આવ્યું.

    સોમનાથ મહાદેવના દર્શને જાવ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખશો

    • સોમનાથ મહાદેવનું મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું હોય છે.
    • ભગવાન સોમનાથની આરતી સવારે 7 બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થાય છે.
    • મંદિરમાં મોબાઈલ, કેમેરા અને સ્વાભાવિકપણે ચંપલ લઇ જવાની મનાઈ છે. જો તમે પોતાના વાહન સાથે આવ્યા હોવ તો આ તમામ વસ્તુઓ તેમાં જ છોડી દેવા. ચંપલ સાચવવા માટે મંદિર પરિસરમાં વ્યવસ્થા છે.
    • સાંધ્ય આરતી પૂર્ણ થયા બાદ 7.30 વાગ્યે મંદિરની પાછળ તેના ઘુમ્મટ પર એક સાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે જે ત્રીસ મિનીટનો છે જેમાં અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં સોમનાથનો ઈતિહાસ વર્ણવે છે જે વગર ચૂકે જોવા જેવો છે.
    • સોમનાથ મંદિર પરિસરમાં એન્ટ્રીથી મંદિરના મંડપ સુધી લગભગ ચાર વખત સિક્યોરીટી ચેકિંગ થાય છે આથી સિક્યોરીટી અધિકારીઓને સહકાર આપવો.
    • પરિસરના એન્ટ્રી પોઈન્ટ પર વરિષ્ઠ નાગરીકો માટે ગોલ્ફ કાર અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે. વ્હીલચેરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે કારણકે તેનાથી સમગ્ર પરિસરમાં વડીલોને ફેરવી શકાય છે અને ગોલ્ફ કારની રાહ અંદર આવવા કે પછી બહાર નીકળવા માટે જોવી પડતી નથી.
    • મદિર પરિસરમાં ત્રણ જગ્યાએ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આથી મંદિર પરિસરની બહાર મળતા પ્રસાદ ખરીદવા નહીં કારણકે તે મંદિરમાં મોટેભાગે ધરાવવામાં આવતા નથી.
    • સાઈટ એન્ડ સાઉન્ડ શોમાં પણ વ્હીલચેર મૂકી શકાય તેની ખાસ વ્યવસ્થા છે.

    સોમનાથમાં જોવાલાયક અન્ય સ્થળો

    • બાણગંગા – અહીં પણ ભગવાન શંકરનું એક સ્વયંભુ શિવલિંગ આવેલું છે જેના પર ચોવીસ કલાક સમુદ્ર અભિષેક કરતો હોય છે. કહેવાય છે કે અહીંથી જ શિકારીએ એ તીર છોડ્યું હતું જે ભાલકામાં એક વૃક્ષ નીચે બેસેલા ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું હતું.
    • ભાલકા તીર્થ – ભગવાન શ્રીકૃષ્ણએ શિકારીનું તીર પોતાના પગના તળીયે લાગતાં અહીં જ દેહત્યાગ કર્યો હતો તે જગ્યા. અહીં એ વૃક્ષ પણ હજી છે અને તેની આસપાસ એક સુંદર મંદિર પરિસર પણ બનાવવામાં આવ્યું છે.
    • વેણેશ્વર મહાદેવ – સોમનાથના રાજાની કુંવરી પાછળ કેટલાક રાક્ષસો પડ્યા હતા. આ સ્થળે આવીને એ કુંવરીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને તેને બચાવી લઈને પોતાના અસ્તિત્વને સાબિત કરવાનો પડકાર ફેંક્યો. ભગવાન લિંગમાંથી પ્રગટ થયા અને કુંવરીને ખેંચી લીધી. આ તરફ રાક્ષસોએ કુંવરીનો ચોટલો પકડીને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ છેવટે તેમના હાથમાં ફક્ત કુંવરીની વેણી જ આવી, જેથી આ મંદિરને વેણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આજે પણ આ લિંગમાં તિરાડ જોવા મળે છે. એમ કહેવાય છે કે અહીં ફક્ત જલાભિષેક કરવા માત્રથી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
    • શ્રી ગીતા મંદિર– શ્રીમદ્ ભગવત ગીતાના તમામ 18 અધ્યાયો આ મંદિરના 18 સ્તંભો પર કંડારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના તમામ અવતારોનું સચિત્ર વર્ણન પણ અહીં કરવામાં આવ્યું છે.
    • લક્ષ્મી-નારાયણ મંદિર – ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિઓના દર્શન આ મંદિરમાં થઇ શકે છે.  
    • ત્રિવેણી સંગમ – હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ આ સ્થળે થાય છે. આ સ્થળ પ્રભાસપાટણ તરીકે પણ ઓળખાય છે જ્યાં પિતૃઓના મોક્ષ માટેની શ્રાદ્ધવિધિ પણ કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં સિગલ પક્ષીઓ પણ રહેવાસ કરે છે.
    • પ્રાચી – સોમનાથથી લગભગ 40 મિનિટના અંતરે આવેલું પ્રાચી તીર્થ અનેરું મહત્વ ધરાવે છે. મહાભારતના યુદ્ધ દરમ્યાન પોતાનાથી થયેલા પાપથી મુક્તિ માટે પાંડવો અહીં આવ્યા હતા અને પૂજા વિધિ બાદ દાન દક્ષિણા આપી હતી.

    સોમનાથ હવે તો ઘણું વિકાસ પામ્યું છે, તેમ છતાં હજી પણ તેમાં જુના સોમનાથની સુવાસ પણ અનુભવાય છે.  યાત્રાધામ હોવાને કારણે અહીં ઘણી હોટલો, લોજ, ધર્મશાળાઓ તેમજ રહેવા માટેની ખાનગી વ્યવસ્થાઓ ઉભી થઇ છે. પરંતુ જો પરિવાર સાથે સોમનાથની યાત્રા કરતા હોવ તો સોમનાથ ટ્રસ્ટના ત્રણ ગેસ્ટહાઉસમાં રોકાવું વધુ યોગ્ય રહેશે.

    આ ત્રણ ગેસ્ટહાઉસમાં પણ સાગર દર્શન ગેસ્ટહાઉસ શિરમોર છે કારણકે તે સોમનાથ મંદિરની બાજુમાં જ છે, એટલુંજ નહીં પરંતુ સાગરને કિનારે છે. આ ગેસ્ટહાઉસના તમામ રૂમ સી-ફેસિંગ હોવાથી કોઇપણ રૂમની ગેલેરીમાંથી તમે સમુદ્રને સીધો જોઈ શકો છો, માણી શકો છો. સાગર દર્શનનું બુકિંગ માત્ર તેની વેબસાઈટ ઉપર જ થઇ શકે છે જેની ખાસ નોંધ લેશો. કોઇપણ આસ્થાળુ હિન્દુએ જીવનમાં એક વખત તો ભગવાન સોમનાથના દર્શન જરૂર કરવા જોઈએ.

    ગુજરાતના રમખાણો: રામનવમીની ઘટના એ શા માટે ગુજરાતીઓ માટે પીડાનું પુનરાવર્તન છે?

    જયારે જયારે ગુજરાતના રમખાણો ચર્ચામાં આવે છે ત્યારે હંમેશા 2002નાં એ રમખાણોની વાત થાય છે, જ્યાં ગોધરામાં અયોધ્યાથી હિંદુ કારસેવકોને લઈને પરત ફરી રહેલી ટ્રેનના એક ડબ્બામાં આગ લગાવી દેવામાં આવી હતી અને જેમાં 60 લોકો માર્યા ગયા હતા.પરંતુ આપણાં આ રાજ્યમાં છેલ્લી કેટલીય પેઢીઓથી રહેતા અમારા જેવા લોકો માટે સાંપ્રદાયિક હિંસા એટલી સામાન્ય વાત બની ચૂકી છે કે 2002 પછીની શાંતિ હવે તોફાન પહેલાની શાંતિ જેવું લાગે છે.

    તાજેતરમાં જ રામનવમીના દિવસે ગુજરાતમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની બે ઘટનાઓ બની. દેશના કેટલાક લિબરલ પત્રકારોના તર્કમુજબ, શોભાયાત્રા જ્યારે ‘મુસ્લિમ વિસ્તારો’માંથી પસાર થઇ રહી હતી ત્યારે મસ્જિદોમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આપણને યાદ રહેવું જોઈએ કે, આમ તો ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે પરંતુ અહીં કેટલાક વિસ્તારો ‘મુસ્લિમ વિસ્તારો’ છે જ્યાં કદાચ હિંદુનું અસ્તિત્વ માત્ર ઉશ્કેરણીનું કારણ બની જાય છે.

    ગુજરાત બહાર રહેતા લોકો હિંમતનગર અને ખંભાતની આ ઘટનાઓને તે જ દિવસની સાંજે દેશના અન્ય ભાગોમાં બનેલી આ જ પ્રકારની ઘટનાઓ સાથે સરખાવશે. પરંતુ સામાન્ય ગુજરાતીઓ માટે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટાં શહેરોમાં રહેતા લોકો માટે તો આ પીડાના પુનરાવર્તન જેવું હતું.

    દેશના કથિત લિબરલોએ ગુજરાત વિશે એવી છાપ ઘડી કાઢી છે કે 2002 પહેલાં રાજ્ય અત્યંત શાંતિપ્રિય હતું અને જ્યાં ‘સાંપ્રદાયિક સદ્ભાવ’ ખૂબ ઊંડે સુધી જોવા મળતો હતો. પરંતુ ખરેખર એમ નથી. આજે જરા પાછળ જોઈએ અને એક નજર કરીએ વિભાજન સમયથી છેક 2002 સુધીના ગુજરાતના રમખાણોના લોહિયાળ ઈતિહાસ તરફ.

    2002નાં રમખાણો પહેલાં પણ અહીં કોમી હિંસા છાશવારે ફાટી નીકળતી હતી.‘સાંપ્રદાયિક સદભાવ’ સાથે રહેતા બે સમુદાયો વચ્ચે ઉત્તરાયણ પર પતંગ કાપવા જેવી બાબતમાં રમખાણો ફાટી નીકળતાં તો રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાંથી પસાર થતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર હુમલાઓ-પથ્થરમારો થતા. 1998 પછી ગુજરાતીઓએ કોંગ્રેસીઓને ફરી ક્યારેય સત્તા પર ન આવવા દીધા તેનું એક કારણ આ કોમી હિંસાઓ પણ છે.

    વર્ષ 1985માં એક બાળક તરીકે અને પછી 1992માં એક યુવાન તરીકે હું માનું છું કે 2002નાં ગુજરાતના રમખાણો ગુજરાતના કાયદો-વ્યવસ્થાના ઈતિહાસના એ બે કાળા અધ્યાયો સામે કંઈ પણ ન હતા. આગળ કહ્યું તેમ,આમ તો સ્વતંત્રતા બાદથી જ ગુજરાતમાં મોટેભાગે સાંપ્રદાયિક બાબતોને લઈને રમખાણો થતાં રહ્યાં છે પરંતુ ગુજરાતે પતંગ ચગાવવા જેવા સાવ નાનકડા મુદ્દાને લઈને પણ શેરીઓ સળગતી જોઈ છે. અમુકવાર હિંદુ અને મુસ્લિમ બાળકો વચ્ચે પતંગને લઈને શરૂ થયેલી એક નાની લડાઈ પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી અને આખા શહેરમાં રમખાણો ફાટી નીકળતાં. આ અમારો જીવંત ઈતિહાસ છે.

    પરંતુ એક સુવ્યવસ્થિત ઢબે અત્યંત નિપુણતા સાથે કામ કરતી ઇકોસિસ્ટમના (અપ)પ્રચારને કારણે ભારતના મેઈનસ્ટ્રીમ મીડિયાએ એક નકલી તસ્વીર ઘડી કાઢી છે કે ગુજરાત માત્ર 2002નાં રમખાણોનું જ શિકાર બન્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2002નાં રમખાણો બાદ આજ સુધી ગુજરાત 90 ટકા જેટલું શાંત રહ્યું છે. 60 હિંદુઓને જીવતા સળગાવી મૂકાયા બાદ પણ રાજ્યમાં ભીષણ કોમી રમખાણો નહીં થયાં તે જ દર્શાવે છે કે તે સમયે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી હતી અને તે સમયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિ નિયંત્રણની બહાર જવા દીધી ન હતી.

    મૂળ વાત એ છે કે ગુજરાતમાં મોટાભાગનાં રમખાણો કોંગ્રેસ કે બિન-ભાજપી સરકારોના કાર્યકાળ દરમિયાન જ થયાં છે. એક અહેવાલ અનુસાર 1961 અને 1971 વચ્ચેના દાયકામાં, એટલેકે અલગ રાજ્ય બન્યાં બાદ પહેલા જ દાયકામાં ગુજરાતમાં તે સમયનાં 19 માંથી 16 જિલ્લાઓમાં રમખાણો થયાં  હતાં. જ્યારે 1969માં એક જ વર્ષમાં ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણોની 578 જેટલી ઘટનાઓ નોંધાઈ હતી.

    આ દાયકા દરમિયાન ત્રણ કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સત્તા પર હતા- જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા અને હિતેન્દ્ર દેસાઈ. નોંધનીય છે કે હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળ બાદ ગુજરાત વિધાનસભા ભંગ કરી નાંખવામાં આવી હતી અને રાજ્યમાં 309 દિવસો સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું. વિચાર કરો કે ગુજરાતની સ્થાપનાના માત્ર એક જ દાયકામાં કોંગ્રેસે હિંદુ-મુસ્લિમ વચ્ચે આ પ્રકારે કેટલી ગંભીર સમસ્યાઓ સર્જી નાંખી હતી. જોકે, કોંગ્રેસી મુખ્યમંત્રીઓ આ રમખાણો નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા કે પોતાના રાજનૈતિક લાભને ધ્યાનમાં લઈને તેને થવા દીધાં એ આજે પણ એક પ્રશ્નાર્થ છે.

    એક કાલ્પનિક અને આદર્શ દુનિયામાં જે પાર્ટી પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમત હોય તે પાર્ટીએ રાજ્યમાં એક પણ તોફાન નહીં થાય તે પ્રકારની તકેદારી રાખીને સરકાર ચલાવવી જોઈએ. પરંતુ કોંગ્રેસ પાર્ટી તો સાવ અલગ જ માટીની બનેલી છે.1980ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે અગાઉની ચૂંટણી કરતાં 66 બેઠકો વધુ મેળવીને 182માંથી 141 બેઠકો જીતી હતી. આ એ રેકોર્ડ છે જે ગુજરાતના આજ સુધીના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી.

    આટલી મોટી સંખ્યામાં બેઠકો મેળવનાર સત્તાધારી પાર્ટી પોતાના વિકાસના એજન્ડાને કોઇપણ તકલીફ વગર આગળ ધપાવી શકી હોત. પરંતુ તેને સ્થાને માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ KHAM થિયરી લાગુ કરી અને અનામતનું રાજકારણ શરૂ કર્યું જે અંતે ઉંચી જાતિઓ તરફની નફરતમાં તબદીલ થઇ ગયું. તત્કાલીન સત્તાપક્ષ દ્વારા પટેલોને (જેઓ આજના યુગમાં પાટીદારો તરીકે ઓળખાય છે) નિશાન બનાવવામાં આવ્યા અને ત્યારબાદ ઉંચી અને નીચી જાતિઓ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આખરે, પાંચ મહિના સુધી ચાલેલા 1985 ના અનામત આંદોલન બાદ ચાર વર્ષ પહેલાં 141 બેઠકો જીતેલા માધવસિંહ સોલંકીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું.

    વાર્તામાં અણધાર્યો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આ જાતિ આધારિત તોફાનો જનતાના ગુસ્સાને ઠારવા અથવાતો જનતાનું ધ્યાન અન્યત્ર લઇ જવા સાંપ્રદાયિક તોફાનોમાં બદલાઈ ગયાં અથવા બદલાવી દેવામાં આવ્યાં. અબ્દુલ લતીફ જેવા મુસ્લિમ ગુંડાઓને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી અને અમદાવાદ જેવા મોટાં શહેરોમાં- જ્યાં પતંગ બાબતની લડાઈથી પણ તોફાનો ફાટી નીકળતાં હતાં, ત્યાં હિંદુઓની મોટી સંખ્યામાં હત્યા કરવામાં આવી.

    તે સમયે ‘ગુજરાત સમાચાર’ સૌથી મોટું અખબાર હતું. તોફાનો દરમિયાન ગુજરાત સમાચારના પ્રજાબંધુ પ્રેસને પણ સળગાવી નાંખવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે એક તરફ ચાલતા ભીષણ તોફાનો વચ્ચે ગુજરાત પોલીસે એક દિવસની હડતાળ પાડી હતી. કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય રહ્યો છે, કોંગ્રેસના શાસનમાં એ ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની એ અરાજક સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ નથી.

    1990 ની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી લહેરના જોરે જનતા દળના ઉમેદવાર તરીકે ચીમનભાઈ પટેલ સત્તા પર આવ્યા અને તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. જોકે, અયોધ્યામાં વિવાદિત ઢાંચો (જેને ઘણીવાર ‘બાબરી મસ્જિદ’તરીકે પણ ઓળખાવવામાં આવે છે) તોડી પાડવામાં આવ્યો તે પહેલાં ગુજરાતમાં ભાજપે ચીમનભાઈના જનતા દળ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. ત્યારબાદ ચીમનભાઈએ જે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ બે વર્ષ પહેલાં ચૂંટણી લડી હતી તેની સાથે જ પોતાની પાર્ટીનો વિલય કરી દીધો હતો. વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં સાંપ્રદાયિક તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

    તેનાં આગલા વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથનીપ્રસિદ્ધ રથયાત્રામાં પણ હિંસા થઇ હતી. શાહપુર અને દરિયાપુર જેવા ‘સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારો’માં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના ત્રણેય રથ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ તેમને હાઈજેક કરવાના પણ પ્રયત્નો થયા હતા. ચાર દિવસો સુધી અમદાવાદમાં અરાજક સ્થિતિ રહી હતી. ગુંડાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી હતી. આખરે પોલીસ અને સેનાની સુરક્ષા હેઠળ ત્રણેય રથને જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં લઇ જવામાં આવ્યા હતા.

    અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાં સૌથી ભીષણ તોફાનો થયાં હતાં અને ફરીથી અમદાવાદ, વડોદરા અને સુરત આ તોફાનોનાં કેન્દ્ર બની ગયાં હતાં. તે પછી થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરીથી બદલાની ભાવનાથી રમખાણો ફાટી નીકળ્યાં અને આ વખતે આ શહેરોમાં ચાકુ મારવાની (સ્ટેબિંગ) અને પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હતી. અગાઉની જેમ આ વખતે પણ ગુજરાતનાં મોટાં શહેરો સેનાને હવાલે કરી દેવામાં આવ્યાં હતાં. તે સમયે ગુજરાતીઓ માટે એક અઠવાડિયાનો કર્ફ્યુ અને સેનાની નિયમિત ફ્લેગ માર્ચ જાણે ‘ન્યૂ નોર્મલ’ બનીગયાં હતાં.

    શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘રઈસ’નુંએ દ્રશ્ય યાદ છે જેમાં બોલિવુડ અભિનેતા ડોન અબ્દુલ લતીફનું પાત્ર ભજવતા એક શોભાયાત્રા પર પેટ્રોલ બોમ્બ ફેંકે છે? ગુજરાતે આ કાલ્પનિક દ્રશ્ય વાસ્તવિક જીવનમાં પણ જોયું છે. અલબત્ત, ફિલ્મના નિર્માતાઓએ તેમની ફિલ્મમાં એક બુટલેગર, ગુંડા અને આતંકવાદીનું મહિમામંડન કર્યું છે પરંતુ શોભાયાત્રા પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાનું સચોટ ચિત્રણ જરૂર કરવામાં આવ્યું  છે.

    ત્યાર બાદ થયાં 2002 નાં તોફાનો, જે 1985 અને 1992 માં ગુજરાતીઓએ જોયેલા તોફાનો જેવાં જ હતાં પરંતુ પાડોશી રાજ્યો માંથી કોઈ સહાય ન મળવા છતાં તત્કાલીન ગુજરાત સરકારે અમુક જ દિવસોની અંદર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 2002 માં ઘણા લોકો માર્યા ગયા, અગાઉના રમખાણોની જેમ સંપત્તિઓ સળગાવી દેવાઈ, લૂંટની ઘટના બની, પરંતુ આ ઘટનાઓના દોષીઓ આજે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

    1960થી 2002 સુધી થયેલા ગુજરાતના રમખાણો વચ્ચે મુખ્ય અંતર એ હતું કે 2002નાં રમખાણો બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિરુદ્ધ પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને એજન્સીઓ દ્વારા નિશ્ચિત કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ બંનેને ક્લીન ચીટ અપાઈ હતી. પરંતુ તેનાથી વિપરીત,1969નાં રમખાણો બાદ જગનમોહન રેડ્ડી અને નસરવાનજી કમિશનની ભલામણો સરકારો દ્વારા અવગણી કાઢવામાં આવી હતી.

    કોંગ્રેસ સરકાર દ્વારા 1985ના ગુજરાતના રમખાણો પાછળનું મૂળ તપાસવા માટે નીમવામાં આવેલ દવે કમિશનની ભલામણો પછીથી સ્વીકારવામાં જ આવી ન હતી. 1992માં સુરતમાં થયેલાં રમખાણોની તપાસ કરનાર ચૌહાણ કમિશનને શંકરસિંહ વાઘેલા સમર્થિત કોંગ્રેસ સરકાર દ્વારા જરૂરી 15 દિવસનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું ન હતું અને આખરે કમિશને તપાસ પડતી મૂકી હતી.

    તેનાથી વિપરીત, 2002માં સાબરમતી એક્સપ્રેસને સળગાવવા અને ત્યારબાદના તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા નિયુક્ત નાણાવટી-મહેતા કમિશનએ ન માત્ર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો પરંતુ તપાસના રિપોર્ટ પણ બે ભાગમાં- પહેલા 2008 અને પછી 2014માં- રજૂ કર્યા હતા.

    2002 બાદ ગુજરાતમાં મહદઅંશે શાંતિ છે. માત્ર 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ક્યાંક હિંસા થઇ હતી પરંતુ ગુજરાતના ઈતિહાસને જોતા આવી ઘટનાઓ મામૂલી કહી શકાય. ગુજરાતના રમખાણોઅત્યારસુધીમાં જે રીતે થયાં હતાં તે જોતા કોઈ પણ ચોક્કસપણે એ નિષ્કર્ષ પર આવી શકે કે વર્ષો સુધી ગુજરાતમાં પૂર્ણ બહુમતીમાં રહ્યા બાદ પણ કોંગ્રેસ સરકાર આ રમખાણો નિયંત્રિત કરી શકી ન હતી અને ઉપરથી તેને ફેલાવા દીધાં હતાં. એટલું જ નહીં, આ ભીષણ રમખાણોમાં અસરગ્રસ્ત થયેલા લોકોને (હિંદુ હોય કે મુસ્લિમ) ન્યાય અપાવવા માટે સરકારે નિયુક્ત કરેલા જુદા-જુદા ન્યાયિક કમિશનોની ભલામણો પણ સરકારોએ લાગુ કરી ન હતી.

    પરંતુ હવે 20 વર્ષની શાંતિ બાદ ફરી ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનો દોર શરૂ થઇ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. પહેલાં, કિશન ભરવાડ હત્યા કેસ, જ્યાં ઈશનિંદાના આરોપસર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કિશનની હત્યા કરી નાંખવામાં આવી હતી અને હવે રામનવમીના દિવસે થયેલી હિંસા. 20 વર્ષ સુધી શાંતિનો અનુભવ કર્યા બાદ શું હવે આપણે સંતુષ્ટ થઇ ગયા છીએ? કે આપણે આપણો ઈતિહાસ ભૂલી ગયા છીએ અને તે બદલની સજા ભોગવી રહ્યા છીએ?