Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘50 બાળકોમાં હું એકલો ભારતીય હતો...’: NSA અજીત ડોવલના પુત્રએ જણાવ્યો પાકિસ્તાનની...

    ‘50 બાળકોમાં હું એકલો ભારતીય હતો…’: NSA અજીત ડોવલના પુત્રએ જણાવ્યો પાકિસ્તાનની શાળામાં અભ્યાસ કરવાનો અનુભવ

    તેઓ (પાકિસ્તાનીઓ) એક ખોટી ધારણા ધરાવે છે કે 1947 પહેલા તેઓ ભારતના શાસક હતા અને 47 પછી તેમણે નવો દેશ બનાવ્યો અને હવે તેના પર રાજ કરે છે. પાકિસ્તાનીઓનો ઇતિહાસ સિંધમાં મોહમ્મદ બિન કાસિમના આગમન પછી શરૂ થાય છે અને તેઓ તેને પાકિસ્તાનનો ઇતિહાસ માને છે.

    - Advertisement -

    ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલના પુત્ર શૌર્ય ડોવલે તાજેતરમાં એ સમયને વાગોળ્યો હતો જ્યારે તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો. અજીત ડોવલ 1981 થી 1987 દરમિયાન ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તહેનાત હતા. આ દમરિયાન શૌર્યનું શિક્ષણ પાકિસ્તાનમાં થયું હતું.

    અજીત ડોવલના પુત્ર શૌર્ય ડોવલે લલ્લનટૉપને આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનની સ્કૂલમાં અભ્યાસ કરવાનો અનુભવ જણાવ્યો હતો. શૌર્યએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તેમનું શિક્ષણ દેશભરમાં થયું છે. પહેલા મિઝોરમ, પછી સિક્કિમ અને ત્યારબાદ પાકિસ્તાનની સ્કૂલોમાં પણ તેમણે અભ્યાસ કર્યો છે. શૌર્ય ડોવલે કહ્યું કે તેઓ લગભગ 6-7 વર્ષ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રહ્યા અને એ દરમિયાન અફઘાનિસ્તાન કટોકટી ચાલુ હતી. પાકિસ્તાનનું સમગ્ર ધ્યાન એના પર હતું. પંજાબ સંકટ હજુ શરુ નહોતું થયું એટલે પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારી અને તેમના પરિવારો માટે સુરક્ષાનો એટલો ખતરો ન હતો.

    પાકિસ્તાનમાં અભ્યાસ કરવાનો અનુભવ કેટલો અલગ રહ્યો તે અંગે શૌર્ય ડોવલે જણાવ્યું કે, “જે રીતે તમે દેશના અન્ય પ્રદેશોમાં મોટા થાઓ કે અભ્યાસ કરો તેવો જ અનુભવ મારો પાકિસ્તાનમાં રહ્યો. હા, તફાવત માત્ર એટલો હતો કે 50 બાળકોમાં હું એકલો ભારતીય હતો અને બાકી મારા વિરુદ્ધ હતા. એવામાં તમે જીવનમાં બે બાબતો શીખો છો- પોતાના દેશને પ્રેમ કરવો અને એકલા કઈ રીતે લડવું.” તેમણે કહ્યું કે, “જેમકે, એક ક્રિકેટ મેચ ચાલુ હોય ત્યારે 49 છોકરાઓ એક બાજુ હોય અને તમે એકલા હો તો રાષ્ટ્રવાદ પોતે પેદા થઈ જાય છે. તમારામાં એકલા લડવાની ક્ષમતા પોતે જ આવી જાય છે.”

    - Advertisement -

    પાકિસ્તાનની સ્કૂલોમાં ઇતિહાસના અભ્યાસ અંગે શૌર્ય ડોવલે એવું જણાવ્યું હતું કે, “એ સમયે બાળક હોવાના કારણે આવી બધી બાબતોની સમજણ ન હોય, પરંતુ પાકિસ્તાનના બાળકોને અમુક વસ્તુઓ જુદી રીતે દેખાય છે. તેમનો ઇતિહાસ 1947થી શરુ થાય છે. એ પહેલાની બધી બાબતો તેઓ અવગણે છે. જો એ પહેલાનો ઇતિહાસ ભણાવવામાં આવે તો પણ એ રીતે કે મુસ્લિમોને હિંદુઓ કરતાં સમર્થ બતાવવામાં આવે.”

    તેમણે કહ્યું કે, “તેઓ (પાકિસ્તાનીઓ) એક ખોટી ધારણા ધરાવે છે કે 1947 પહેલા તેઓ ભારતના શાસક હતા અને 47 પછી તેમણે નવો દેશ બનાવ્યો અને હવે તેના પર રાજ કરે છે. પાકિસ્તાનીઓનો ઇતિહાસ સિંધમાં મોહમ્મદ બિન કાસિમના આગમન પછી શરૂ થાય છે અને તેઓ તેને પાકિસ્તાનનો ઇતિહાસ માને છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ તેઓ હડપ્પા અને મોહેંજોદરો વિશે જ વાંચે છે અને પછી સીધા કાસિમ પર આવે છે. ગુપ્ત, મૌર્યકાળનું ક્યાંય નામોનિશાન નથી. ચૌલ વગેરેમાં તો તેમને રસ જ નથી.”

    પાકિસ્તાનની આવી અજ્ઞાનતાને લઈને શૌર્યએ કહ્યું કે, “કહેવાય છે ને કે જો તમે અભણ છો તો તમારે કિંમત ચૂકવવી પડશે.” શૌર્ય ડોવલે એવું પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેમના કેટલાક મિત્રો પણ બન્યા હતા. જોકે, ભારત પાછા આવ્યા બાદ તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો કારણકે, એ વખતે ઇન્ટરનેટ જેવું કોઈ માધ્યમ ન હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં