Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં નવી સરકાર બનવાની સાથે જ આંતરિક વિખવાદ શરૂ: મંત્રીપદ ન મળવાથી...

    બિહારમાં નવી સરકાર બનવાની સાથે જ આંતરિક વિખવાદ શરૂ: મંત્રીપદ ન મળવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ, શપથ ગ્રહણનો કર્યો બહિષ્કાર

    નોંધનીય છે કે હવે આગામી 24 ઓગસ્ટના રોજ નીતીશ કુમારે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. એવામાં પોતાના જ પક્ષના ધારાસભ્યોની આ નારાજગી નીતીશ કુમાર માટે સમસ્યા ઉભી કરી શકે છે.

    - Advertisement -

    10 ઓગસ્ટના રોજ બિહારમાં નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ બાદ બિહારમાં નીતીશ કુમાર કેબિનેટનું મંગળવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે (16 ઓગસ્ટ) રાજ્યમાં કુલ 31 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. અહેવાલો અનુસાર મંત્રીપદ ન મળવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ છે.

    નોંધનીય છે કે નીતિશ કેબિનેટમાં આરજેડી ક્વોટામાંથી 16 મંત્રીઓએ શપથ લીધા છે. બીજી બાજુ, નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાંથી કુલ 11 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી 2, હિન્દુસ્તાની આવામ મોરચામાંથી 1 અને અપક્ષ ક્વોટામાંથી 1 મંત્રી બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે 10 ઓગસ્ટના રોજ અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બાકીના 31 મંત્રીઓએ મંગળવારે ​​શપથ લીધા હતા.

    મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી પણ કરી દેવામાં આવી હતી. નાણા અને ગૃહ વિભાગ નીતિશ કુમારની જેડીયુ પાસે આવી ગયા છે. જ્યારે ડેપ્યુટી સીએમ તેજસ્વીને આરોગ્ય અને તેજ પ્રતાપને વન અને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે.

    - Advertisement -

    JDUના 5 ધારાસભ્યો નારાજ, પાંચેય ભૂમિહાર

    પરબત્તાના ધારાસભ્ય ડૉ. સંજીવ કુમાર, રૂન્નિસૈદપુરના ધારાસભ્ય પંકજ કુમાર મિશ્રા, બરબીઘાના ધારાસભ્ય સુદર્શન કુમાર, મટિહાનીના ધારાસભ્ય રાજકુમાર સિંહ અને કેસરિયાના ધારાસભ્ય શાલિની મિશ્રા રાજભવનમાં આયોજિત સમારોહમાં હાજર રહ્યા ન હતા. યોગાનુયોગ આ તમામ ધારાસભ્યો ભૂમિહાર જાતિના છે. આ પાંચેયને કેબિનેટમાં મંત્રીપદ ન મળવાથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

    જ્યારે શાલિની મિશ્રાને શપથ ગ્રહણ સમારોહમાં હાજર ન રહેવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હાલમાં તેની સાસુની સારવાર માટે દિલ્હીમાં છે. બીજી તરફ જેડીયુના ધારાસભ્ય ડો.સંજીવ કુમારે ફેસબુક પર પોસ્ટ લખીને હાવભાવ અને હરકતોથી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે બાકી ત્રણ ધારાસભ્યો સાથે ફોટો શેર કરતા લખ્યુ છે કે, “જે વ્યક્તિ તમારી પહેલા અહીં હતી, તેને પણ પોતાના ભગવાન હોવામાં એટલી જ શ્રદ્ધા હતી!!’

    મંત્રી મંડળમાં જગ્યા ન મળતા આ ધારાસભ્યોની સાથે સાથે ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે તે નારાજ થઈને મહારાષ્ટ્ર જતા રહ્યા છે.

    નોંધનીય છે કે હવે આગામી 24 ઓગસ્ટના રોજ નીતીશ કુમારે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. એવામાં પોતાના જ પક્ષના ધારાસભ્યોની આ નારાજગી નીતીશ કુમાર માટે સમસ્યા ઉભી કરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં