Friday, September 20, 2024
More
    હોમપેજદેશસુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર લગાવી 1 ઓક્ટોબર સુધી રોક, સાર્વજનિક દબાણ...

    સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર લગાવી 1 ઓક્ટોબર સુધી રોક, સાર્વજનિક દબાણ દૂર કરી શકશે તંત્ર: સરકારે કહ્યું- કાયદાકીય રીતે જ હટાવાતા હતા અતિક્રમણ, નોટિસ બાદ જ થતી હતી કાર્યવાહી

    સરકાર તરફ દલીલો આપવામાં આવી હતી કે, તેઓ નોટિસ મોકલે છે અને ત્યારબાદ પણ કોઈ જવાબ ન આવવાથી કાર્યવાહી હાથ ધરે છે. બંધારણ અનુસાર પણ ગેરકાયદેસર મિલકતને લઈને તંત્ર નોટિસ ફટકારી શકે છે અને જો નોટિસનો યોગ્ય પ્રત્યુત્તર ન મળે તો આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકે છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) દેશભરમાં બુલડોઝર એક્શન (Bulldozer Action) પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ 1 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. દરમિયાન જો બુલડોઝર એક્શનની જરૂરિયાત જણાય તો પહેલાં કોર્ટ તરફથી મંજૂરી લેવામાં આવવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે સાર્વજનિક દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્રને છૂટ પણ આપી છે. બીજી તરફ સરકાર તરફથી હાજર વકીલે પણ દલીલ કરી હતી કે, કે કોઈપણ કાર્યવાહી થઈ છે તે સામાન્ય રીતે નથી થતી. કાયદાને ધ્યાને રાખીને નોટિસ મોકલવામાં આવ્યા બાદ બુલડોઝર એક્શન લેવામાં આવી છે. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર રોક લગાવવાનો આદેશ જારી કરી દીધો છે.

    મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝર એક્શન પર રોક લગાવી દીધી છે. કોર્ટે રાજ્યોને નિર્દેશ આપતા કહ્યું છે કે, બુલડોઝર જસ્ટિસનું (Bulldozer Justice) મહિમામંડન બંધ થવું જોઈએ. આ ઉપરાંત કાયદાકીય રીતે જ અતિક્રમણ હટાવવા માટેના નિર્દેશો પણ આપ્યા હતા. ઉપરાંત કોર્ટમાં સરકારી વકીલે પણ દલીલો કરી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 1 ઓક્ટોબર સુધી બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. જોકે, સાર્વજનિક સ્થળો પર તંત્ર બુલડોઝર એક્શન હાથ ધરી શકે છે.

    ‘નોટિસ બાદ જ ચાલે છે બુલડોઝર’- સરકાર

    અહીં નોંધવા જેવું છે કે, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝર એક્શન દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતના એક મુસ્લિમ વ્યક્તિએ પણ સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની અરજી દાખલ કરી હતી. જમીયતની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટના આદેશ પર વાંધો ઉઠાવતા સોલિસિટર જનરલે કહ્યું હતું કે, આ આદેશ સરકારી અધિકારીઓના હાથ બાંધવા જેવો છે. ઉપરાંત તેમણે કાયદાકીય રીતે જ કાર્યવાહી થતી હોવાનું કહ્યું હતું.

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, ગેરકાયદેસર નિર્માણ પર નોટિસ બાદ જ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, રસ્તાઓ, ગલીઓ, ફૂટપાથ અથવા તો સાર્વજનિક જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે સરકારને છૂટ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સરકાર કાયદાકીય કાર્યવાહી બાદ જ એક્શન લઈ રહી છે.

    તેમણે કહ્યું કે, “ડિમોલિશનની કાર્યવાહી જ્યાં પણ કરવામાં આવી છે, તે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને કરવામાં આવી છે. એક સમુદાય વિશેષને ટાર્ગેટ કરવાનો આરોપ ખોટો છે. એક તરફથી ખોટો નેરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે.” તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે, “નેરેટિવથી અમે પ્રભાવિત નથી થઈ રહ્યા. અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે, અમે ગેરકાયદેસર નિર્માણના સંરક્ષણના પક્ષમાં નથી. અમે એક્ઝિક્યુટિવ જજ નથી બની શકતા. જરૂર છે કે, ડિમોલિશનની પ્રક્રિયા સ્ટ્રીમલાઈન હોય.”

    નોંધવા જેવું છે કે, સરકાર તરફ દલીલો આપવામાં આવી હતી કે, તેઓ નોટિસ મોકલે છે અને ત્યારબાદ પણ કોઈ જવાબ ન આવવાથી કાર્યવાહી હાથ ધરે છે. બંધારણ અનુસાર પણ ગેરકાયદેસર મિલકતને લઈને તંત્ર નોટિસ ફટકારી શકે છે અને જો નોટિસનો યોગ્ય પ્રત્યુત્તર ન મળે તો આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકે છે. પરંતુ તેમ છતાં કોર્ટે વચગાળાનો આદેશ આપીને બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે આદેશ જારી કરીને વધુ સુનાવણી 1 ઓક્ટોબરના રોજ હાથ ધરવાનું કહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં