Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ27 વર્ષની નોકરીમાં એક પણ અકસ્માત નહીં, એક દિવસની પણ રજા ન...

    27 વર્ષની નોકરીમાં એક પણ અકસ્માત નહીં, એક દિવસની પણ રજા ન લીધી: ખેરાલુ એસટી ડેપોના ડ્રાઈવર પીરૂભાઈનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

    પીરુભાઈએ આટલા વર્ષો દરમિયાન એક પણ રજા નથી લીધી અને ફરજ પર હંમેશા હાજર રહ્યા છે. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી.

    - Advertisement -

    આજે એવા કિસ્સાઓ અવિરતપણે આપણી સામે આવતા રહે છે કે જેમાં વ્યક્તિની અપ્રમાણિકતા અને કામચોરી પર પ્રશ્ન ઊભા થાય. બીજી તરફ એવી વ્યક્તિ પણ હોય છે જે પ્રમાણિકતાથી પોતાનું કામ કરે છે અને નૈતિકતાનું પાલન કરે છે. આવી જ એક કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ છે પીરુભાઈ મીર. મહેસાણાના વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવશે. કારણ છે- પ્રમાણિકતાથી પોતાનું કામ કરવું! વાસ્તવમાં, પીરુભાઈની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે.

    પીરુભાઈ મીરને તેમની અદ્ભુત કામગીરી બદલ રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ આગામી 18 એપ્રિલે દિલ્હીમાં યોજાનારા ખાસ સમારોહમાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અર્પણ કરશે. એસટી ડ્રાઈવર તરીકે તેઓ છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને આ દરમિયાન એક પણ અકસ્માત નોંધાયો નથી. ઉપરાંત, તેમણે ઓછા ડીઝલ વપરાશ સાથે ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી હતી.

    પીરુભાઈએ એક પણ રજા નથી લીધી!

    પીરુભાઈ મીરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ શા માટે મળવાનો છે એના કારણો પણ જાણીએ. પીરુભાઈએ આટલા વર્ષો દરમિયાન એક પણ રજા નથી લીધી અને ફરજ પર હંમેશા હાજર રહ્યા છે. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. તો પીરુભાઈની પ્રમાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, અકસ્માતની શૂન્ય સંખ્યા વગેરે વિશેષતા પણ સૌનું ધ્યાન ખેંચે છે. આ બાબતોને કારણે જ તેમની આ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

    - Advertisement -

    પીરુભાઈ છોટુભાઈ મીર મૂળ વડનગરના છે અને હાલ સતલાસણાના વાવ ખાતે રહે છે. તેઓ અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

    ગુજરાત એસ.ટી. કોર્પોરેશને રોડ સેફ્ટી એવોર્ડની હેટ્રિક નોંધાવી હતી

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સુરક્ષા મામલે પહેલેથી જ અગ્રસ્થાને રહ્યું છે. ગુજરાતના ST કોર્પોરેશનને 3 વખત ભારત સરકારનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ મળી ચૂક્યો છે. 2018-19, 2019-20 2020-21 એમ સતત ત્રણ વર્ષ સુધી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ગુજરાત એસ.ટી. નિગમે મેળવ્યો હતો.

    એસ.ટી. નિગમને કોવિડ-19 મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી બદલ પ્રતિષ્ઠિત ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ પણ મળી ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં