Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ લોકોની પ્રતિક્રિયા : કોઈકે કોંગ્રેસ માટે હાનિકારક...

    હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ લોકોની પ્રતિક્રિયા : કોઈકે કોંગ્રેસ માટે હાનિકારક ગણાવ્યા, કોઈએ કહ્યું- ભાજપમાં જોડાઈ જશે 

    હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાનું રાજીનામું ધરી દીધા બાદ સોશિયલ મિડીયામાં તેમના આ નિર્ણય અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ આખરે આજે વિધિવત રીતે પાર્ટીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે ટ્વિટર ઉપર એક પત્ર શૅર કરીને પોતે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપે છે તેમ જણાવ્યું હતું. આ સાથે હાર્દિક પટેલે પોતાના પત્રમાં આ પાછળનું કારણ પણ જણાવ્યું હું. 

    હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ અને ગુજરાતની જનતા મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે આ પગલા બાદ ભવિષ્યમાં હું ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક કાર્ય કરી શકીશ.”

    હાર્દિક પટેલે પત્રમાં કોંગ્રેસની ટીકા કરી હતી તો આડકતરી રીતે રામમંદિર, CAA-NRC અને જમ્મુ-કાશ્મીર અને 370 મુદ્દે ભાજપ સરકારની પ્રશંસા પણ કરી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જશે તે હજુ નક્કી નથી. એક તરફ તેઓ ભાજપના વખાણ કરી ચૂક્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં આ મુદ્દે સ્પષ્ટતા થશે.

    - Advertisement -

    હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તેવું છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. ઉપરાંત, તેઓ ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાતો કરતા રહ્યા હતા. જેના કારણે વહેલું-મોડું હાર્દિક કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તે નક્કી હતું, જેથી આજે જયારે તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી ત્યારે લોકોને ખાસ આશ્ચર્ય થયું ન હતું. જોકે, તેમ છતાં ટ્વિટર પર આ અંગે લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. 

    હાર્દિક પટેલના રાજીનામા બાદ કેટલાક લોકોએ તેમના નિર્ણયનું સ્વાગત કર્યું છે તો કેટલાકે અનુમાન લગાવ્યું છે કે હાર્દિક પટેલ જલ્દીથી જ ભાજપમાં જોડાઈ જશે. ઉપરાંત કેટલાકે હાર્દિકના અગાઉના ટ્વિટના સ્ક્રીનશોટ શૅર કરીને હાર્દિકને પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે સવાલો કર્યા હતા. 

    અંકિત દૂબે નામના યુઝરે કહ્યું, “તમારા જેવા અચાનક ઉભરી આવેલા નેતાઓને પાર્ટી માત્ર પોસ્ટર બોય બનાવે છે, બીજું કંઈ નહીં. તમે એવા લોકોમાંથી નથી જેમનો રાજકારણ પર કબજો છે. હવે તમે ભાજપમાં જશો તો એ ભાષણોનું શું જે તમે તેમની વિરુદ્ધ આપ્યાં હતાં?”

    અન્ય એક યુઝર નીલ મુખર્જીએ કહ્યું, “કોંગ્રેસ કેમ છોડી એ સમજી શકાય છે. પરંતુ મેવાણી જેવા નકારાત્મક માનસિકતાવાળા મિત્રોનો સાથ નહીં છોડ્યો તો ભવિષ્યમાં પણ તમારી પાસેથી ગુજરાત કે ભારત માટે કોઈ સકારાત્મક કાર્યની આશા નહીંવત છે.”

    અન્ય એક યુઝર ડૉ દિનેશ કુમારે હાર્દિક પટેલના જૂના ટ્વિટનો એક સ્ક્રીનશોટ શૅર કરીને લખ્યું હતું કે, શું તમારી કોઈ વિચારધારા છે? આ ટ્વિટમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘હાર-જીતના કારણે પક્ષ તો વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયીઓ નહીં. લડીશ, જીતીશ અને અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ.’ ઉપરાંત, અન્ય એક યુઝરે કહ્યું કે તમે પોતાની વિશ્વસનીયતા ઓછી કરી દીધી છે.

    એક યુઝરે કહ્યું, “તમારા જેવા નેતાઓનો આ જ વાંધો છે. કોંગ્રેસમાં જોડાયા નહીં કે સીએમનું સપનું જોવાનું શરૂ કરી દો છો. તમારા જેવા નેતા કોંગ્રેસ માટે ફાયદાકારક કરતા હાનિકારક વધુ છે.”

    એક યુઝરે કોંગ્રેસ પાર્ટીની વર્તમાન સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “સતત ત્રણ દાયકાથી સત્તાથી બહાર, સોનીયા-રાહુલની અપરિપક્વ નેતાગીરીથી અંધકારમય ભવિષ્ય અને આ કારણોસર અદના/સમર્પિત કાયૅકરોનો દુકાળ….પદ/પાવર/પૈસાની પીડા..સરવાળે ભાજપ શરણં ગચ્છામિ…”

    જય નામના યુઝરે હાર્દિક પટેલનો પત્ર શેર કરીને કહ્યું હતું કે, “રામમંદિર, 370, GST અને CAA જેવા મુદ્દાઓ પર વખાણ કરવા એ ઈશારો છે કે આગલું કદમ શું હશે?”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં