Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ નહીં થાય તૃણમૂલ, આપ અને CPI: વિપક્ષ...

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ નહીં થાય તૃણમૂલ, આપ અને CPI: વિપક્ષ દ્વારા સંયુક્ત નિવેદન જારી થવાની શક્યતા, 28 મેએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

    વિપક્ષ તરફથી સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના સંયુક્ત બહિષ્કારની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની તારીખ સામે પણ વિપક્ષને વાંધો છે કારણકે આ દિવસે વીર સાવરકરની જન્મજયંતી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. જોકે, વિપક્ષે આ સમારોહનો બહિષ્કાર કર્યો છે. મંગળવારે (23 મે, 2023) TMC, CPI અને AAPએ જાહેરાત કરી છે કે તેઓ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ નહીં લે. પાર્ટીનું કહેવું છે કે, આ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હાથે થવું જોઈએ. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પણ આપ, ટીએમસી સાથે બહિષ્કારમાં જોડાય તેવી શક્યતા છે.

    નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આગામી 28 મેના થવાનું છે ત્યારે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંઘ દ્વારા સાંસદોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલાં તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) જાહેર કર્યું હતું કે તેઓ સમારોહમાં હાજરી નહીં આપે. એ પછી કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. તો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું હતું કે, તેમની પાર્ટીના નેતાઓ સમારોહમાં હાજરી આપશે નહીં. હજુ સુધી કોંગ્રેસ તરફથી આમંત્રણ અંગે સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો નીતીશ કુમારની પાર્ટી જેડીયુ પણ આ મામલે કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.

    અહેવાલ અનુસાર, વિપક્ષ તરફથી સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના સંયુક્ત બહિષ્કારની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. વિપક્ષનું કહેવું છે કે નવા ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરવું જોઈએ. તો નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની તારીખ સામે પણ વિપક્ષને વાંધો છે કારણકે આ દિવસે વીર સાવરકરની જન્મજયંતી છે.

    - Advertisement -

    TMC નેતા અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વિટર પર લખ્યું હતું કે, “સંસદ માત્ર એક નવી ઇમારત નથી, આ જૂની પરંપરાઓ, મૂલ્યો, દ્રષ્ટાંતો અને નિયમો સાથેનું એક પ્રતિષ્ઠાન છે. આ ભારતીય લોકશાહીનો પાયો છે. પીએમ મોદી આ વાત સમજી શકતા નથી.”

    28 મહિનાને અંતે નવું સંસદ ભવન બનીને તૈયાર

    નવા સંસદ ભવનના નિર્માણ માટે 10 ડિસેમ્બર, 2020ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી, 2021માં તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આખરે 28 મહિનાને અંતે આ સંસદ ભવન બનીને તૈયાર થઇ ગયું છે.

    નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 300 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. જ્યારે, બંનેનું સંયુક્ત સત્ર લોકસભામાં જ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલ લોકસભામાં 543 જ્યારે રાજ્યસભામાં 250 સાંસદો હોય છે. પરંતુ ભવિષ્યમાં નવા સીમાંકન બાદ આ સંખ્યા વધે તોપણ કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

    નવા સંસદ ભવનમાં સાંસદો માટે એક લાઉન્જ, અત્યાધુનિક લાઈબ્રેરી, ભોજન માટેનો વિસ્તારથી માંડીને પૂરતા પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા હશે. જૂનું સંસદ ભવન ગોળાકાર હતું, જ્યારે આ નવું ભવન ત્રિકોણાકારે બનાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં