Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપિંકી આત્મહત્યા કેસ: શાકિબ માટે ઇસ્લામ અપનાવવા તૈયાર હતી યુવતી, મળી આવી...

    પિંકી આત્મહત્યા કેસ: શાકિબ માટે ઇસ્લામ અપનાવવા તૈયાર હતી યુવતી, મળી આવી સ્યુસાઇડ નોટ; આરોપીએ નામ બદલીને મિત્રતા કરી હોવાનો પરિજનોનો આરોપ

    પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી શાકિબે જણાવ્યું કે તે અને પિંકી 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પિંકી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તે પહેલાથી જ પરણિત હતો.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પિંકી ગુપ્તા નામની યુવતીએ 31 ઓગસ્ટ, 2023ની રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પરિવારજનોએ શાકિબ નામના યુવક પર યુવતીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મામલે જાણવા મળ્યું છે કે શાકિબ પરણિત હતો તેમજ પિંકી સાથેની મુલાકાત દરમિયાન તેણે પોતાનું નામ બન્ની જણાવ્યું હતું. યુવતીની સ્યુસાઇડ નોટમાં એ પણ ખુલાસો થયો હતો કે તે શાકિબ માટે ધર્મપરિવર્તન કરવા પણ તૈયાર હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક પિંકીના ભાઈનું કહેવું છે કે શાકિબ લવ જેહાદી છે. તેણે પોતાનું નામ બન્ની હોવાનું કહીને પિંકી સાથે મિત્રતા કરી હતી. પિંકી છેલ્લાં ચાર વર્ષથી શાકિબ સાથે રિલેશનશિપમાં હતી. શાકિબ પરણિત હતો પરંતુ તેણે આ વાત પિંકીથી છુપાવી હતી. પિંકીએ શાકિબ માટે પોતાનું ઘર પણ છોડી દીધું હતું. તેની સાથે જ રહેવા લાગી હતી. પણ જ્યારે તેને ખબર પડી કે શાકિબ પરણિત છે ત્યારે તે ભાંગી પડી હતી.

    પિંકીના ભાઈનો એ પણ આરોપ છે કે શાકિબ અને તેના અબ્બા મુસ્તફા ખાન સાથે મળીને પિન્કીને ટૉર્ચર કરતા હતા અને તેને ઉશ્કેરતા હતા. પિંકીએ અનેકવાર ઘરે ફોન કરીને તેના માતા અને પિતાને આ અંગે જણાવ્યું હતું. શાકિબ અને તેના પિતાની હરકતોથી કંટાળીને પિંકીએ આત્મહત્યા કરી લીધી. પિંકીના ભાઈનું એવું પણ કહેવું છે કે, “શાકિબના અબ્બા મુસ્તફા પિંકીને કહેતા કે તું આત્મહત્યા કરી લે અને મારા પુત્રને છોડી દે .”

    - Advertisement -

    ‘અમર ઉજાલા’ના અહેવાલ અનુસાર, પિંકીના ભાભીનો આરોપ છે કે શાકિબ જ્યારે પહેલીવાર પિંકીને મળ્યો હતો ત્યારે તેણે પોતાનું નામ બન્ની હોવાનું જણાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેની આઈડી પણ એ જ નામથી છે. તે પોતાને કુંવારો ગણાવતો હતો. જ્યારે પિંકીએ ભાભીને જણાવ્યું કે બન્નીનું સાચું નામ શાકિબ છે, ત્યારે તેણે પિંકીને સમજાવી પણ હતી. પણ શાકિબે તેનું બ્રેનવોશ કર્યું હતું. તેથી તે કોઇની વાત સાંભળતી પણ નહોતી.

    પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી શાકિબે જણાવ્યું કે તે અને પિંકી 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પિંકી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તે પહેલાથી જ પરણિત હતો. તેથી તે પિંકીને એક દોસ્ત બનાવીને જ રાખતો હતો. શાકિબનો દાવો છે કે તેણે પિંકીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સમજવા તૈયાર નહોતી. શાકિબે એ પણ કહ્યું કે પિંકીએ તેના પરિવારને જણાવી દીધું હતું કે તે તેની (શાકિબ) સાથે લગ્ન કરવા માંગે છે. આટલું જ નહીં તે તેના પરિવાર સાથે સંબંધ તોડીને શાકિબ સાથે ભાડાના મકાનમાં પણ રહેવા લાગી હતી.

    પોલીસને પિંકીના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પિંકીએ લખ્યું હતું કે “મને મારી જાત પર શરમ આવે છે. તારા માટે હું તારી સાથે અને મારી સાથે લડી રહી હતી. લોકોએ મને ઘણું સમજાવ્યું, પણ મને તારી આગળ કંઈ દેખાયું નહીં. મેં મારો ધર્મ બદલવાનું વિચાર્યું, તારી બધી જ બાબતો સ્વીકારવાનુ વિચાર્યું. એ વિચારતી રહી કે કોઈપણ રીતે આ વ્યક્તિ મારો થઈ જાય, પણ તું તો ના સમજ્યો. મારાથી હવે આ બધુ સહન નથી થતું.. Good Bye શાકિબ.”

    શું છે મામલો?

    ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી ગુરુવારે (31 ઓગસ્ટ, 2023) પિંકી ગુપ્તા નામની એક યુવતીની લટકતી લાશ મળી આવી હતી. મૃતક પિંકીના પરિવારજનોનું કહેવું છે કે, તે શાકિબ નામના છોકરા સાથે લગભગ 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. મૃતક અને આરોપી શાકિબની મુલાકાત એક જિમમાં થઈ હતી. પિંકીના પરિવારજનોએ આરોપી પર તેમની પુત્રીની હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે FIR દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

    આ મામલો ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના વૈશાલી વિસ્તારમાં રહેતા રાજુ ગુપ્તાએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બહેન પિંકી આશરે 4 વર્ષથી ગાઝીપુરના રહેવાસી શાકિબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, શાકિબ તેની બહેનને દરરોજ ત્રાસ આપતો હતો અને આપઘાત કરવા માટે ઉશ્કેરતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં