Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો ભોગ બનતા અહેમદિયા મુસ્લિમોનું અતઃથી ઈતિઃ જાણો અહેમદિયા પંથની સ્થાપનાથી...

    પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો ભોગ બનતા અહેમદિયા મુસ્લિમોનું અતઃથી ઈતિઃ જાણો અહેમદિયા પંથની સ્થાપનાથી હમણાં સુધીની યાતનાપૂર્ણ યાત્રા

    ઈ.સ. 1974માં પાકિસ્તાનના બંધારણમાં સંશોધન કરીને કલમ ઉમેરવામાં આવી કે અહમદિયાઓને મુસ્લિમ માનવા નહીં અને તેમને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ ઘણી સમસ્યાઓ છે. એક બાજુ ખાધ માટેની ચીજ વસ્તુઓની, પેટ્રોલની અને વીજળીની અછત છે. જ્યારે બીજી તરફ તેણે પોતે ઉછેરેલા સાપો ફેણ ફેલાવીને પોતાના જ નાગરિકોને ડસી રહ્યા છે. આ આંતકવાદના ‘નાગે’ હમણાં જ એક મસ્જિદમાં હુમલો કર્યો જેમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 

    ગઈકાલે એક મસ્જીદ પર વધુ એક હુમલો થયો, તેની આજે વાત કરવી છે. કારણ કે તે હુમલો કોઈ આંતકવાદીઓએ નહીં પરંતુ નાગરિકોએ કર્યો હતો. અહીં એ પણ પ્રશ્ન થાય કે પાકિસ્તાન તો ઇસ્લામિક દેશ છે, અને ત્યાં જ કોઈ મસ્જિદ પર હુમલો કેવી રીતે કરી શકે! આ જ પ્રશ્નની વિસ્તારપૂર્વક ચર્ચા કરવી છે. આજે એક એવા વર્ગની વાત કરવી છે જે પોતાને ઇસ્લામનો અભિન્ન હિસ્સો માને છે પરંતુ બાકીના ઇસ્લામિક લોકો તેને કાફિર કહે છે. 

    આજે ‘અહમદિયા’ મુસ્લિમો વિશે વિગતવાર જાણીશું. કારણ કે ગઈકાલે જે મસ્જિદ પર પાકિસ્તાનના જ કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જોકે, તે હુમલો પહેલો પણ ન હતો અને અંતિમ પણ નથી. અહમદિયા મુસ્લિમોને પહેલેથી પ્રતાડિત કરવામાં આવે છે. સવાલ એ છે કે પાકિસ્તાન જેવા ઇસ્લામિક રાષ્ટ્રમાં એક ઇસ્લામિક વર્ગને હેરાન કરવાનું કારણ શું? 

    - Advertisement -

    જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં અહમદિયાઓને મુસ્લિમ ગણવામાં જ નથી આવતા અને તેઓને  કાફિર કહેવામાં આવે છે. કાફિર એટલે બિનમુસ્લિમ. સૌથી આંચકાજનક વાત તો એ છે કે પાકિસ્તાની દંડ સંહિતાની કલમ 289-સી અંતર્ગત અહમદિયાઓને મુસ્લિમ હોવાનો દરજ્જો નથી આપવામાં આવતો. આ ઉપરાંત તેઓને પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારના તેમના ધર્મનો પ્રચાર પણ કરવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિચાર કરો જયારે કોઈ દેશનું બંધારણ જ કોઈ એક વર્ગના વિરોધમાં હોય તો તે વર્ગની સ્થિતિ તે દેશમાં કેવી હશે? પાકિસ્તાનમાં આશરે 40 લાખથી વધુ અહમદિયાઓ રહે છે. તેઓ વારંવાર હિંસાનો ભોગ બન્યા છે. હમણાં સુધી અસંખ્ય અહમદિયાઓની હત્યાઓ થઇ છે. વધુમાં આ લોકોને ઈશનિંદા કાયદા અંતર્ગત સજા આપવામાં આવે છે. આ કાયદામાં ફાંસી સુધીની જોગવાઈઓ છે. 

    અહમદિયાઓ પર થતા અત્યાચારને પેહેલથી જ રાજકીય સમર્થન પણ મળતું આવ્યું છે. જયારે ઈ.સ. 1974માં પાડોશી દેશ પાકિસ્તાનમાં બંધારણમાં સંશોધન કરીને કલમ ઉમેરવામાં આવી કે અહમદિયાઓને મુસ્લિમ માનવા નહીં, ત્યાર બાદ પાકિસ્તાનના તે સમયના વડાપ્રધાન ઝિયા ઉલ હકે પણ જાહેરમાં અહમદિયાઓ મુસ્લિમ નથી તેવું બયાન આપ્યું હતું અને ઇમરાન ખાન પણ ઘણીવાર જાહેર મંચ પરથી અહમદિયા વિરુદ્ધમાં બયાન આપી ચૂક્યા છે. જ્યાં સત્તા પર બેઠેલા જ લોકો નિવેદનો આપતા હોય ત્યાં સ્થિત શું હોય તે તમે સમજી શકાય તેમ છે. અહમદિયાઓ પર થતા અત્યાચાર બાબતે ઈ.સ. 2021માં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ નિવેદન આપ્યું હતું અને તેમની સુરક્ષાની ચિંતા કરી હતી. 

    ઉપરની બધી વાતો તો તેમના પર થયેલા અત્યાચાર બાબતેની છે, પરંતુ મુસ્લિમ સમાજનો જ એક વર્ગ તેના જ ભાઈઓને આટલી નફરત કેમ કરે છે? તેના વિશે વિગતે સમજીએ. પાકિસ્તાનમાં એક ઇસ્લામિક ધર્મ ગુરુ થઇ ગયા જેમનું નામ ‘મિર્જા ગુલામ અહમદ’ હતું. તેમને ઇસ્લામમાં સુધારાની જરૂર છે તે હેતુથી પાકિસ્તાનના કાદિયાન વિસ્તારમાં 23 માર્ચ 1889માં એક નવા પંથની રચના કરી. જેનું નામ ‘અહમદિયા’ અને ‘કાદિયાની’ પડ્યું. 

    તેમનું કહેવું હતું કે ઇસ્લામ તલવારનાં બળે નહી પરંતુ શાંતિના સંદેશાથી પ્રસરશે અને ધર્મના આધારે થતા યુદ્ધો સંપૂર્ણ બંધ થવા જોઈએ. બીજું કે આ પંથ અને મૂળ ઇસ્લામના લોકોની અસ્થામાં મુખ્ય ફરક એ હતો કે મૂળ મુસ્લિમ લોકો માને છે કે મોહમ્મદ પયગમ્બર સાહેબ જ અલ્લાહના છેલ્લા પયગમ્બર (અલ્લાહના દૂત) છે. જ્યારે અહમદિયાઓનું માનવું છે કે તેઓ અંતિમ નથી તેના બાદ પણ પયગમ્બર (અલ્લાહના દૂત) થયા છે અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. અહમદિયાઓ ‘મિર્જા ગુલામ અહમદ’ને પણ પોતાના પયગમ્બર માને છે. બસ આ છે આખા વિવાદનું મૂળ. આ એક અલગ માન્યતાના કારણે અહમદિયાઓએ અસંખ્ય અત્યાચાર સહન કરવો પડ્યો છે. ત્યાં સુધી કે પહેલાં અહમદિયાઓનું ધાર્મિક કેન્દ્ર પાકિસ્તાનમાં હતું જે હવે ત્યાંથી ખસેડીને બ્રિટન લઇ જવું પડ્યું છે.  

    હાલમાં અહમદિયાઓ 200 દેશોમાં રહે છે જેમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ પાકિસ્તાનમાં 40 લાખ જેટલા, મુસ્લિમમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ ઘાના દેશમાં 16% વસ્તી જયારે કોઈ એક દેશની જન સખ્યાની ટકાવારીના પ્રમાણમાં સૌથી વધુ સિયારા લિયોનના 8% અહમદિયાઓ રહે છે. ભારતમાં અહમદિયાઓની વસ્તી 10 લાખ જેટલી માનવામાં આવે છે. આખા વિશ્વમાં તેમની વસ્તી 1.5 કરોડથી 2 કરોડ જેટલી છે. અહમદિયાઓ દ્વારા આશરે 16,000 મસ્જિદો, 600 જેટલી શાળાઓ અને 30 જેટલી હોસ્પિટલો બનાવવામાં આવી છે. ઇસ્લામના પ્રચાર માટે તેમણે કુરાનનું 80 જેટલી ભાષામાં ભાષાંતર કરાવ્યું છે. તેઓ ખલીફા પદ્ધતિમાં માને છે. આ પંથની સ્થાપના બાદ હાલમાં તેમના પાંચમાં ખલીફા ‘મિર્જા મસસુર અહમદ’ છે. તેઓ હાલમાં બ્રિટનમાં રહે છે. ત્યાંથી જ પોતાના સમુદાય માટે કામ કરે છે. 

    પોતાના જ સમુદાયના અને થોડી ભિન્ન માન્યતા ધરાવતા લોકોને ન સ્વીકારતું પાકિસ્તાન આજે કટ્ટરતાના જ્વાળામુખી પર બેઠું છે. એ જ કટ્ટરતાનો જવાળામુખી સમયે-સમયે ફાટતો રહેશે જેમાં પાકિસ્તાન પોતાની જાતને હોમાતા બચાવી શકે તેમ નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં