Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતોડકાંડ કેસ: યુવરાજના સાથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના 6 દિવસના રિમાન્ડ...

    તોડકાંડ કેસ: યુવરાજના સાથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 1 કરોડમાંથી 10 લાખ મેળવ્યા હોવાની કરી ચૂક્યા છે કબૂલાત

    બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા બંને પણ તોડકાંડ મામલે થયેલી FIRમાં આરોપી છે. તેમના સિવાય યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા અને રાજુ નામનો એક વ્યક્તિ આરોપીઓમાં સામેલ છે.

    - Advertisement -

    1 કરોડના તોડકાંડમાં ભાવનગર પોલીસની તપાસ તેજ ગતિએ આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે અન્ય બે આરોપીઓ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

    જેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા બંને પણ તોડકાંડ મામલે થયેલી FIRમાં આરોપી છે. તેમના સિવાય યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા અને રાજુ નામનો એક વ્યક્તિ આરોપીઓમાં સામેલ છે. ભાવનગર પોલીસે તમામ વિરુદ્ધ IPCની કલમ 386, 388 અને 120B હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

    બિપિન-ઘનશ્યામે પોતાનો હિસ્સો લીધો હોવાની કબૂલાત કરી: પોલીસ 

    ભાવનગર પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાનાં નિવેદનો લીધાં હતાં અને જેમાં બંનેએ ખંડણીના એક કરોડ રૂપિયામાંથી પોતાના 10 ટકા લેખે 10 લાખ રૂપિયા લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી. હવે પોલીસે આ પૈસા રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, યુવરાજસિંહની પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે 26 માર્ચની રાત્રે પ્રકાશ દવેનો મામલો પતાવવા માટે તેમની બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા સાથે નારી ચોકડી સાથે મુલાકાત થઇ હતી. પોલીસે જે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમાં પણ આ તમામ લોકોની હાજરી સાબિત થતી હતી. 

    યુવરાજ સાત દિવસના રિમાન્ડ પર 

    21મીએ FIR દાખલ થયા બાદ યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે સુનાવણીના અંતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેઓ 29 એપ્રિલ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે અને આ દરમિયાન આ 1 કરોડના તોડકાંડને લઈને પૂછપરછ કરવામાં આવશે અને વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. 

    શું છે કેસ? 

    આ કેસ ડમી કૌભાંડમાં અમુક લોકોને ફસાવી દેવાની ધાકધમકી આપીને તેમની પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાનો છે. આરોપ AAP નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના માણસો પર લાગ્યો છે. તેમણે પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા- આ બે વ્યક્તિઓને કૌભાંડમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા કઢાવી લીધા હતા. જે મામલે FIR દાખલ થઇ છે. 

    AAP નેતા યુવરાજસિંહ જાડેજા આગળ પણ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને કૌભાંડો ખુલ્લાં પાડવાના દાવા કરતા રહ્યા છે. આ કેસમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરીને નામો જાહેર કરવાના નામે જ પૈસા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં