Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસ્થાની પ્રતિક એવી રામશિલા વિષે અભદ્ર ટીપ્પણી કરનાર કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સોશિયલ...

    આસ્થાની પ્રતિક એવી રામશિલા વિષે અભદ્ર ટીપ્પણી કરનાર કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સોશિયલ મિડીયાની ઝપટે ચડ્યા!

    કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રામમંદિર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકા થઇ હતી.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી એક કાર્યક્રમ દરમિયાન રામમંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. ભરતસિંહે કહ્યું હતું કે ગામેગામ લોકો પાસેથી રામશિલા લઇ જવામાં આવી હતી પરંતુ પછીથી તેની ઉપર કૂતરા પેશાબ કરતા હતા. ભરતસિંહના આવા હિંદુ વિરોધી નિવેદન બાદ રાજકારણમાંથી અને સામાન્ય જનતામાંથી પણ તેમની ખૂબ ટીકા થઇ હતી.

    ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, “આ લોકોને રામમંદિરના કરોડો રૂપિયા સરકારે આપ્યા પછી પણ લોકોના ઘરે-ઘરે જઈને રામમંદિરના નામે પૈસા ઉઘરાવ્યા છે. એ જમાનામાં રામશિલાની વાત મને ખબર છે. કુમકુમ તિલક અને ચાંદલા કરે, માથે મૂકીને રામશિલા લઈને જાય અને વાજતેગાજતે પાદરે મૂકી આવે. મનમાં એમ કે અમારા રામનું મંદિર બંધાશે અને અમે, અમારા બાળકો અને પરિવાર, બધા સુખી થઇ જઈશું. પણ પછી કૂતરા પેશાબ કરતા થઇ ગયા. વિચાર કરો કે રામને છેતરે એ આપણે છેતર્યા વગર રહે ખરા?”

    ભરતસિંહ સોલંકી દ્વારા રામમંદિર મુદ્દે આપવામાં આવેલ આ નિવેદન મામલે હાર્દિક પટેલે નિશાન સાધતા કહ્યું હતું કે, મને સમજાતું નથી કે કોંગ્રેસને ભગવાન શ્રીરામ સાથે શું વાંધો છે? સદીઓ પછી પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે અને તેમના નેતાઓ આળા-અવળાં નિવેદનો આપી રહ્યા છે. બીજી તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ગઈકાલે આ મામલે ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “હિંદુઓ સહિષ્ણુ છે એટલે કંઈ કહેતા નથી, તેમનામાં તાકાત હોય તો અન્ય ધર્મના સ્થાનકો વિશે આવું નિવેદન આપી બતાવે.”

    - Advertisement -

    બીજી તરફ, ભરતસિંહ સોલંકીના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા ઉપર આ અંગે યુઝરોએ કડક પ્રતિક્રિયા આપી હતી. કોઈએ કહ્યું કે ભરતસિંહે આ નિવેદન બદલ હિંદુઓની માફી મંગાવી જોઈએ તો કોઈએ કહ્યું હતું કે તેમણે ગુજરાત કોંગ્રેસના તાબૂત પર છેલ્લો ખીલો ઠોકવાનું કામ કર્યું છે. 

    ટ્વિટર યુઝર પ્રણવ વસાવડાએ લખ્યું, “સૌથી ઉદાર, પ્રેમ અને કરુણાથી સભર ધર્મ વિશે એક રાજકારણી જયારે માત્ર અને માત્ર રાજરમતને કારણે ન બોલવાનું બોલે ત્યારે એમ થાય છે કે હિંદુના દુશ્મન ઘરમાં જ બેઠા છે.”

    અંકિત પટેલ નામના યુઝરે કહ્યું, “પાણી અને વાણી વિચારીને વાપરવું જોઈએ. આ રાજકારણી બની ગયા એટલે ગમે તે બોલે. સીટ મેળવવા પોતાના ધર્મનું જ અપમાન. દેશને બદનામ કરવા માટે બેઠા છે.” જયારે એક યુઝરે કહ્યું કે, આ નિવેદન બદલ તેમણે માફી માંગવી જોઈએ.

    એક યુઝરે ભરતસિંહ સોલંકીના આ નિવેદન બદલ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી.

    અન્ય યુઝરે ભરતસિંહ સોલંકીને ટેગ કરીને કહ્યું હતું કે, “તમારો નાશ પોતે જ કરો છો, ઈવીએમ તો ખોટું બદનામ છે.”

    વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશિકરે આ અંગે ટિપ્પણી કરતા ટ્વિટ કરીને લખ્યું કે, “(હે) રામ…માટે ભરત (સિંહ સોલંકી)ના આવા કડવા વેણ…? વૈચારિક લડાઇના પતનની આ પરાકાષ્ઠા છે..ગુજરાત જેવા “સંવેદનશીલ” રાજ્યમાં આ પ્રકારના નિવેદનો કોંગ્રેસ માટે ‘ગધેડીયે ગઈ અને ફાળિયું પણ ગ્યું’ જેવી સ્થિતિ ચોક્કસ લાવે તેવા આ ચિન્હો છે.”

    પત્રકાર સિદ્ધાર્થ ધોળકિયાએ ભરતસિંહ સોલંકી દ્વારા આપવામાં આવેલા રામમંદિર મુદ્દેના નિવેદન અંગે ટ્વિટ કરતા તેની નીચે યુઝરોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. એક યુઝરે કહ્યું કે, “આવા બકવાસ કરવાથી કોંગ્રેસને ક્યારેય સત્તા મળશે નહીં” તો એક યુઝરે કહ્યું હતું કે, આવા નિવેદનો આપીને ચૂંટણી પરિણામ બાદ નેતાઓ ઈવીએમનો વાંક કાઢશે.

    એક યુઝરે ભરતસિંહ સોલંકીને મણિશંકર ઐયર સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું, “લો, ગુજરાતમાં પણ નવા મણિશંકર ઐયર મળ્યા.” નોંધવું જોઈએ કે વરિષ્ઠ કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપીને પાર્ટીને તકલીફમાં મૂકી ચૂક્યા છે. 

    આમ રામમંદિર મુદ્દે વ્ગ્ર્વીચારે બોલીને ભરતસિંહ સોલંકીએ કદાચ તેમની અને તેમના પક્ષ કોંગ્રેસની જ તકલીફો વધારી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં