Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વારકામાં સતત ત્રીજા દિવસે ચાલ્યાં બુલડોઝર: લાખો ચોરસ ફૂટ જમીન પરનાં દબાણો...

    દ્વારકામાં સતત ત્રીજા દિવસે ચાલ્યાં બુલડોઝર: લાખો ચોરસ ફૂટ જમીન પરનાં દબાણો હટાવાયાં, કરોડોની જમીન ખાલી કરાવાઈ

    અહીં સરકારી જમીનમાં અતિક્રમણ કરીને બેઠેલા લોકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ પગલાં ન ભરાતાં આખરે પોલીસ તંત્રને સાથે રાખીને પ્રશાસને બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું. 

    - Advertisement -

    દ્વારકામાં (Dwarka) હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશન (Mega Demolition) કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ જ રહી હતી. અતિક્રમણ દૂર કરવાની આ કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાની જમીન ખાલી કરી નાંખવામાં આવી છે અને હવે આ અભિયાન પૂર્ણતાને આરે હોવાનું પણ કહેવાય રહ્યું છે. 

    આ કાર્યવાહી દ્વારકાના હર્ષદ ગાંધવી ગામમાં હાથ ધરવામાં આવી હતી. અહીં સરકારી જમીનમાં અતિક્રમણ કરીને બેઠેલા લોકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ પગલાં ન ભરાતાં આખરે પોલીસ તંત્રને સાથે રાખીને પ્રશાસને બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું. 

    રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી અહીં કુલ 239 જેટલાં દબાણો હટાવી દેવામાં આવ્યાં છે અને જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ખાલી કરવામાં આવેલી સરકારી જમીનની અંદાજિત કિંમત 4 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. જોકે, અમુક અહેવાલોમાં આ કિંમત 2 કરોડ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સમાં પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાને ટાંકીને જણાવવામાં આવ્યું કે, શનિવારના ઓપરેશમાં ધાર્મિક-મઝહબી બાંધકામો, કમર્શિયલ સ્થળો, રહેણાંક મકાનો મળીને કુલ 102 સ્થળોએ દબાણો હટાવવામાં આવ્યાં હતાં અને 3.70 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી કરાવવામાં આવી હતી. જેની કિંમત 1.97 કરોડ જેટલી થાય છે. 

    ત્યારબાદ રવિવારે પણ બુલડોઝર ચાલ્યાં હતાં અને કમર્શિયલ-રેસિડેન્શિયલ બાંધકામો મળીને કુલ 137 દબાણો દૂર કરીને 5.09 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી કરવામાં આવી હતી, જેની બજારમાં કિંમત 1.98 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ દબાણોમાં મકાનો, દુકાનો, મજારો, ગોડાઉન વગેરેનો સમાવેશ થતો હતો, જે ગેરકાયદેસર રીતે બાંધી કાઢવામાં આવ્યાં હતાં. 

    આ કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર ખડેપગે હાજર રહ્યું હતું અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. 

    ત્રણ દિવસમાં મોટાભાગની જમીન ખાલી કરી નાંખવામાં આવ્યા બાદ હવે તંત્ર દ્વારા કાટમાળ ઊંચકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ બંદર વિસ્તારમાં ખુલ્લું વિશાળ મેદાન જોવા મળશે જ્યાં પહેલાં અતિક્રમણે જગ્યા રોકી લીધી હતી. 

    આ પહેલી વખત નથી જ્યારે દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હોય. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બેટ દ્વારકામાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં