Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'નાના બાળકોને પ્રાઇવેટ પાર્ટ વિશે પૂછવું એ વામપંથી વિચારધારા': પૂણેમાં મોહન ભાગવતે...

    ‘નાના બાળકોને પ્રાઇવેટ પાર્ટ વિશે પૂછવું એ વામપંથી વિચારધારા’: પૂણેમાં મોહન ભાગવતે ડાબેરીઓ પર સાધ્યું નિશાન

    તેમણે કહ્યું હતું કે, "સનાતન ધર્મને તેના યોગ્ય સ્થાન પર ફરી સ્થાપિત કરવા માટે રાક્ષસો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં આપણે સૌએ સાથે મળીને દેવ સંસ્કૃતિ વતી ઉભા રહેવાનું છે અને વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું છે."

    - Advertisement -

    RSSના વડા મોહન ભાગવતે પૂણેમાં એક કાર્યક્રમમાં વામપંથી વિચારધારા ધરાવતા લોકો પર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાના બાળકોને શિક્ષણના નામે પ્રાઇવેટ પાર્ટ વિશે પૂછવું એ ડાબેરી વિચારધારાની અસર છે. ડાબેરી વિચારધારાના નેતાઓ માર્ક્સવાદના નામે દુનિયાનો વિનાશ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે દુનિયાને આ વિનાશથી બચાવવાની જવાબદારી ભારત પર આવશે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 17 સપ્ટેમ્બરના રોજ પૂણેમાં એક મરાઠી પુસ્તક ”जागला पोखरनारी डेवी वालवी’ (લેફ્ટિસ્ટ ટર્માઇટ્સ વીકેનિંગ ધ વર્લ્ડ)ના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વક્તવ્ય પણ આપ્યું હતું. જેમાં તેમણે ડાબેરી વિચારધારા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે શિક્ષણના નામે નાના બાળકોને પ્રાઇવેટ પાર્ટનું પૂછવું અને આ પ્રકારની વાતો કરવાને ડાબેરી ઇકોસિસ્ટમનો હુમલો ગણાવ્યો હતો.

    આપણી સંસ્કૃતિની સારી બાબતો પર થઈ રહ્યો છે હુમલો

    પૂણેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, “મેં ગુજરાતની એક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાંના એક શિક્ષકે મને કિન્ડરગાર્ડન (કેજી) સ્કૂલમાં એક સૂચના બતાવી, તેમાં શિક્ષકોને એ જાણવા માટે કહેવામાં આવ્યું હતું કે કેજી-2ના વિદ્યાર્થીઓ તેમના પ્રાઇવેટ પાર્ટના નામ જાણે છે કે કેમ. ડાબેરી ઇકોસિસ્ટમનો હુમલો અહી સુધી પહોંચી ગયો છે અને તે તેની વિચારધારાના લોકોની મદદ વિના શક્ય નથી. વામપંથી વિચારધારાએ વિશ્વભરમાં વિનાશ સર્જ્યો છે. આપણી સંસ્કૃતિની તમામ સારી બાબતો પર આવા હુમલા થઈ રહ્યા છે.”

    - Advertisement -

    દુનિયાને બચાવવાની જવાબદારી ભારતની છે

    RSS પ્રમુખ મોહન ભાગવતે ઉમેર્યું કે વામપંથી લોકોએ દુનિયામાં સાંસ્કૃતિક માર્ક્સવાદ શરૂ કર્યો છે. તે આપણી સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. માર્ક્સવાદના નામે તે ખોટા આદર્શો અને સિદ્ધાંતોનો પ્રચાર કરી રહ્યા છે, જે સમાજને નુકશાન પહોંચાડે છે. તે માત્ર સમાજને નહિ પણ આપણાં ઘર અને પરિવારને પણ પ્રભાવિત કરે છે. એ ઉપરાંત તેમણે કહ્યું કે સામાજિક સદસ્ય હોવાના નાતે આપણે આ સંકટની સામે સચેત થવું પડશે. દુનિયાને આ સંકટમાંથી મુક્ત કરવાની જવાબદારી ભારત પર આવવાની છે.

    મોહન ભાગવતે વધુમાં કહ્યું કે “અમેરિકામાં નવી સરકારનો (ડોનાલ્ડ ટ્રમ્પ પછીની) પ્રથમ આદેશ શાળાઓ સંબંધિત હતો. ત્યાંનાં શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે જાતિયતા વિશે વાત ન કરવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતે પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ હોવા જોઈએ.”

    આ સિવાય તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મના વિવાદિત નિવેદનને લઈને મોહન ભાગવતે પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સનાતન ધર્મને તેના યોગ્ય સ્થાન પર ફરી સ્થાપિત કરવા માટે રાક્ષસો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં આપણે સૌએ સાથે મળીને દેવ સંસ્કૃતિ વતી ઉભા રહેવાનું છે અને વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું છે.” એ સિવાય RSS પ્રમુખે G20ની સફળ અધ્યક્ષતા માટે કેન્દ્ર સરકારની સરાહના કરી હતી.

    પૂણેમાં યોજાઈ હતી RSSની સમન્વય બેઠક

    ઉલ્લેખનીય છે કે તારીખ 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના પૂણેમાં RSSની આ ત્રિદિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું.

    BJP, VHP, ABVP, સહિત RSS સાથે જોડાયેલ અન્ય 36 જેટલાં સંગઠોના 256 જેટલા પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થઈને પોતપોતાના સંગઠોનાના કામકાજનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સાથે જ આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં