તાજેતરમાં જ કચ્છની પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં ઈદની ઉજવણીના ભાગરૂપે હિંદુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હતું શાંત નથી પડ્યો ત્યાં જ કચ્છના જ અંજાર તાલુકાના વર્ષામેડીની અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઈદની ઉજવણીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.
અહેવાલો અનુસાર અંજાર તાલુકાના વર્ષામેડીની અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઈદની ઉજવણી માટે વાલીઓને મેસેજ કર્યો હતો કે તેમના બાળકોને મુસ્લિમ વેશમાં શાળાએ મોકલે. સાથે શાળામાં આવેલ વિદ્યાર્થીઓને ઇસ્લામિક ચિન્હો બનાવવા અને ઈદની ઉજવણી કરવાની ફરજ પડાઈ હતી.
વાલીઓએ કહ્યું હતું કે શાળા તરફથી તેઓને મેસેજ કરવામાં આવ્યો હતો કે શાળામાં ઈદની ઉજવણી કરવાની હોવાથી તેમના બાળકોને મુસ્લિમ વેશમાં એટલે કે પઠાણી અને સલવાર કમીઝ પહેરાવીને શાળાએ મોકલે. જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો હતો. હિંદુ સંગઠનો સુધી આ વાત પહોંચતા તેઓએ વાલીઓ સાથે મળીને શાળા ખાતે વિરોધ દર્શાવ્યો હતો.
સાથે જ સોમવારે એક મહત્વનો હિંદુ તહેવાર ગુરુ પૂર્ણિમા હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન અને વંદન કરવામાં આવતું હોય છે. વાલીઓનું કહેવું છે કે આ શાળાએ બકરીદની ઉજવણી માટે તેમને મેસેજ કર્યો હતો પરંતુ ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે એવો કોઈ મેસેજ કરવામાં નહોતો આવ્યો. જેને લઈને પણ વાલીઓમાં રોષ છે.
બાળકો પાસે ઈસ્લામિક ચિન્હો બનાવડાવ્યા હતા
નોંધનીય છે કે આ સિવાય વર્ષામેડીની અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઈદની ઉજવણીના ભાગરૂપે કુમળાં બાળકો પાસે લીલા કલરમાં ચાંદ અને તારાના ઈસ્લામિક ચિન્હો દોરાવડાવ્યા હતા. સાથે જ ક્રાફટ તરીકે આવા જ ઇસ્લામિક ચિન્હોવાળા લીલા કલરના લૅન્ટર્ન પણ બનાવડાવ્યા હતા.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/WhatsApp-Image-2023-07-04-at-11.22.55-AM.jpeg?resize=696%2C523&ssl=1)
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/Image-04-07-23-at-11.07-AM.jpeg?resize=696%2C524&ssl=1)
જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આપ્યા આદેશ, શાળાએ માંગી માફી
આ ઘટના બહાર આવતા જ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસની બાંહેધરી આપી છે. “ખાનગી શાળામાં બકરીદની ઉજવણી બાબતે થઈ રહેલા વિરોધ અંગે જાણ થતાં જ હાલમાં આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા એક તપાસ ટીમ મોકલવામાં આવી છે. જો શાળાની બેદરકારી સામે આવશે તો શાળા સામે જરૂરી પગલાં લેવામાં આવશે.” સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન.
વર્ષામેડીની અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બનેલ આ ઘટના બાબતે શાળાના MD પિન્કી આહિરે જણાવ્યું હતું કે, “અમે વાલીઓને એવું નથી કહ્યું કે ગ્રીન રંગના કપડા પહેરીને બાળકો આવે પરંતુ બાળકો જાતે તેવા કપડાં પહેરીને આવ્યા છે. મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓની સૂચના અનુસાર શાળામાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ક્રાફ્ટમાં લેન્ટર્નમાં ચાંદ તારાનું સિમ્બોલ બનાવ્યું છે. આ પ્રવૃત્તિમાં હિંદુ સમાજ તેમજ બાળકોના વાલીઓની લાગણી દુભાઈ છે તે માટે માફી માંગવામાં આવે છે. હવેથી આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં નહીં આવે.”
મુન્દ્રાની શાળામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવડાવી
બીજી બાજુ બકરીદના દિવસે હિંદુ બાળકોને નમાજ પઢાવવા મામલે શરૂ થયેલો મુન્દ્રાની પર્લ સ્કુલનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. સોશિયલ મીડિયામાં શાળાનો વિડીયો વાયરલ થયા બાદ શરૂ થયેલા વિરોધે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
વકરેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આપેલા તપાસના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે તો નવા ઘટસ્ફોટ પણ થઇ રહ્યા છે. શાળાના ટ્રસ્ટીએ વાલીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે શાળામાં અગાઉ ક્યારેય હિંદુ તહેવારની ઉજવણી કરી ન હતી. બીજી તરફ, આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય થઇ ગયાં છે અને શાળાની માન્યતા રદ કરવાની માંગ કરવાની માંગ કરવામાં આવી રહી છે.