Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાંગરોળમાં જનજાતિ સુરક્ષા મંચના સંમેલનમાં હિન્દુમાંથી ધર્મ પરીવર્તન કરનાર આદિવાસીઓને ST કેટેગરીમાંથી...

    માંગરોળમાં જનજાતિ સુરક્ષા મંચના સંમેલનમાં હિન્દુમાંથી ધર્મ પરીવર્તન કરનાર આદિવાસીઓને ST કેટેગરીમાંથી દૂર કરવાની માંગણી

    જે આદિવાસીઓએ ઇસ્લામ અથવાતો ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોય તેમને SC STમાંથી ડી-લીસ્ટ કરવાનું એક અભિયાન શરુ થયું છે જેનું એક સંમેલન ગુજરાતમાં પણ આયોજીત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના હનુમાનજી મંદિરે જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ધર્મ પરિવર્તન કરી અનામત સહિત બેવડા લાભ લેનારા લોકોને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવાની એટ્લે કે ડી લિસ્ટિંગ કરવાની પ્રબળ માંગ સાથે સંતો અને આગેવાનોએ ધર્મ પરિવર્તન કરાવનારા સંગઠનો વિરુદ્ધ પ્રહારો કર્યા હતા.


    હાલના સમયે કેટલાક લોકો પોતાની સંસ્કૃતિ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે તેવા 80 ટકા લોકો આદિવાસી જનજાતિના અનામત સહિતના લાભો ખોટી રીતે લઈ રહ્યા છે એવા સમયે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મુદ્દે દેશ વ્યાપી આંદોલન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ઝંખવાવ ખાતે અરવિંદભાઈ વસાવા, ચંપકભાઈ ચૌધરી સહિત જન જાતિ સુરક્ષા મંચના સભ્યો દ્વારા શોભાયાત્રા અને સંમેલનનું આયોજન ઝંખવાવ હનુમાનજી મંદિરે કરાયું હતું. આ જ કાર્યક્રમમાં ભારતમાતા અને ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા પણ નિકાળવામાં આવી હતી. સાથે સાથે ડી લિસ્ટિંગ કરવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

    સંમેલનમાં ગુજરાત પ્રાંતના સહ સંયોજક ભગુભાઈ ચૌધરીએ ધર્મ પરિવર્તન કરી અનામત સહિતના અનેક ખોટા લાભો લેનારા લોકો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ધરમપુરના જશોદા દીદી મોતીરામ મહારાજ સહિત વક્તાઓએ ખોટા લાભ લેનારા વિરુદ્ધ પ્રહારો કર્યા હતાં. અધ્યક્ષસ્થાનેથી સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું કે દેશમાં રાષ્ટ્રીય સ્તરે ધર્મ પરિવર્તન કરનારા લોકો દ્વારા અનુસૂચિત જનજાતિ સમાજના હક્ક અને અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે જેને લઇ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. દેશમાં જે જ્ઞાતિને લઘુમતીનો દરજ્જો અપાયો છે છતાં ધર્મ પરિવર્તન કરી બેવડો લાભ લઈ ખરા આદિવાસીના હક અને અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. પ્રભુભાઈએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરવું એ રાષ્ટ્રહિત માટે નુકસાનકારક છે.

    - Advertisement -


    જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ અતુલભાઇ પટેલ જન જાતિ કલ્યાણ આશ્રમના યોગેશભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભેગા થઈને હિન્દુ આદિવાસીઓનો ધર્મ પરીવર્તન કરાવનારાઓ પર પગલાં લેવાનો મત આપ્યો હતો.

    ભાજપા અનુસુચિત જનજાતિ મોરચા કારોબારી (ફોટો : સ્થાનિક ન્યૂજ)

    આ જ મહિનાની 11 તારીખે સ્ટેચ્યું ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે ભારતીય જનતા પરતીની અનુસુચિત જનજાતિ મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી. જે દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ટૂડુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આદિવાસીઓ ધર્માંતરણ કરશે તો તેમને આદિવાસીઓને મળતા કોઈપણ લાભ નહીં મળે એમનું ડી લિસ્ટિંગ કરાશે.

    અત્રે નોંધનીય છે કે ડી લિસ્ટિંગ મુદ્દે હમણાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આદિવાસી સમાજ તરફથી અને જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી લિસ્ટિંગ એટ્લે કે ધર્માંતરણ કરેલ આદિવાસીઓને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કાઢી મૂકવાની માંગને લઈને દરેક જિલ્લાઓમાં સંમેલન અને રેલીઓ કરવામાં આવે છે.

    આ પહેલા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડાંગ જીલ્લામાં, નવસારી જીલ્લામાં તથા દાહોદ જીલ્લામાં ડી લિસ્ટિંગ મુદ્દે વિશાળ રેલીઓ અને સભાઓ કરવામાં આવી હતી.

    મે મહિનાની શરૂઆતમાં જ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઈસાઈ મિશનરી દ્વારા યોજાનાર ધર્માંતરણ મેળાને VHP અને બજરંગ દળના ઉઘ્ર વિરોધ બાદ એ કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી હતી.

    ડી લિસ્ટિંગ છે શું

    અહિયાં નોંધ કરવા લાયક બાબત એ છે કે આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભોળા હિન્દુ આદિવાસીઓનું ધર્મ પરીવર્તન કરવાનો ધંધો ચાલી રહ્યો છે. આદિવાસીઓનું ઈસાઈ અથવા મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવ્યા બાદ લઘુમતી તરીકેના લાભ મળવા છતાય પણ આ લોકો અનુસુચિત જનજાતિના લાભ લેવાનું બંધ નથી કરતાં એટ્લે કે બેવડો લાભ લે છે. અને જેના કારણે મૂળ જરૂરિયાતમંદ હિન્દુ આદિવાસીઓને પૂરતો લાભ મળી નથી શકતો.

    આ જ કારણે હિન્દુ આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારને ડી લિસ્ટિંગનો કાયદો બનાવીને આવા ધર્માંતરણ થયેલ લોકોને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કઢાવવા દબાણ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં