Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિમાચલના મુખ્યમંત્રી સુખ્ખુ ભારત જોડો યાત્રા બાદ કોરોના પોઝીટીવ થયાં; માંડવીયાની ચેતવણી...

    હિમાચલના મુખ્યમંત્રી સુખ્ખુ ભારત જોડો યાત્રા બાદ કોરોના પોઝીટીવ થયાં; માંડવીયાની ચેતવણી સાચી ઠરી

    મુખ્યમંત્રી સુખ્ખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, હિમાચલ રાજ્ય કોંગ્રેસના વડા પ્રતિભા સિંહ અને રાજ્યના અન્ય 38 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ 16 ડિસેમ્બરે રાજસ્થાનમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુ કોરોના પોઝીટીવ થઇ ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હિમાચલની કોંગ્રેસ સરકારના પ્રવક્તાએ સોમવારે આ વિષે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા, પરંતુ હવે આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા પહેલા અનિવાર્ય નિયમિત પરીક્ષણ દરમિયાન સુખુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

    અહેવાલો અનુસાર મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુ કોરોના પોઝીટીવ થયા બાદ હાલ કોઈ તીવ્ર લક્ષણો નથી જોવા મળી રહ્યા, પણ સાવચેતીના ભાગરૂપે તેઓ આઈસોલેટ થઇ ગયા છે. આ ઉપરાંત તેમના તમામ કાર્યક્રમો પણ હાલ સ્થગિત કરી દેવામાં આવ્યાં છે, અગામી ત્રણ કે ચાર દિવસ બાદ ફરી તેમનું કોરોના પરીક્ષણ કરવામાં આવશે. તેમના કોરોના ગ્રસ્ત થવાના કારણે ધર્મશાળા ખાતે યોજાનાર વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

    ભારત જોડો યાત્રામાં જોડાયા હતા સુખ્ખુ

    - Advertisement -

    નોંધનીય છે કે મુખ્યમંત્રી સુખ્ખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, હિમાચલ રાજ્ય કોંગ્રેસના વડા પ્રતિભા સિંહ અને રાજ્યના અન્ય 38 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ 16 ડિસેમ્બરે રાજસ્થાનમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં નવી દિલ્હીમાં કોંગ્રેસના ઘણા નેતાઓને મળ્યા હતા, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાનો સમાવેશ થાય છે.

    સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં જતાવેલી આશંકાઓ સાચી?

    ઉલ્લેખનીય છે કે ભારતના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પત્ર લખીને રાહુલ ગાંધી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ભારત જોડો યાત્રા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે (20 ડિસેમ્બર) લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરો. માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ અમલમાં મૂકવો જોઈએ. ફક્ત રસીવાળા લોકોએ જ ભાગ લેવો જોઈએ.” જો આ પ્રોટોકોલ શક્ય ન હોય તો પદયાત્રા મોકૂફ રાખવા વિનંતી પણ માંડવીયાએ કરી છે.

    સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના આ પત્ર બાદ કોંગ્રેસ પાર્ટી તેમના વિરોધમાં કુદી પડી હતી, અને આક્ષેપો કર્યા હતા કે ભાજપ રાહુલ ગાંધીની લોકપ્રિયતાથી ડરી ગઈ છે, જેના કારણે તેઓ આ પ્રકારના કીમિયા અપનાવી રહ્યા છે, જયારે બીજી તરફ હિમાચલના મુખ્ય મંત્રી કોરોના પોઝીટીવ થયા બાદ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા રોકે છે કે કેમ તેવો સવાલ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.

    તો બીજી તરફ પોતાના પત્રના વિરોધ બાદ માંડવિયાએ કહ્યું કે કોવિડ-19 દેશમાં ન ફેલાય તે સુનિશ્ચિત કરવાની મારી ફરજ છે. જો કોઈ એવું વિચારે કે કોઈ મંત્રી તેમને કેવી રીતે સવાલ કરી શકે, તો અમે તેમની માનસિકતાનું શું કરી શકીએ? આ અંગે મને પ્રશ્ન કરવો એ મારી ફરજમાં અવરોધ સમાન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં