Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નૂપુર શર્મા વિવાદ બાદ વિધર્મીઓની ધમકીઓ વધી’: સાધુ-સંતોની ભાજપ પ્રદેશ પ્રમુખને રજૂઆત,...

    ‘નૂપુર શર્મા વિવાદ બાદ વિધર્મીઓની ધમકીઓ વધી’: સાધુ-સંતોની ભાજપ પ્રદેશ પ્રમુખને રજૂઆત, કડક કાર્યવાહી કરવા માંગ

    રાજકોટના મહામંડલેશ્વર ઘનશ્યામદાસજીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરતાં કહ્યું હતું કે, નૂપુર શર્માના નિવેદન મામલે વિવાદ થયા બાદ હિંદુઓને વિધર્મીઓ દ્વારા ધમકી આપવાના કિસ્સાઓમાં વધારો થયો છે.

    - Advertisement -

    ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમના વન ડે-વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ શુક્રવારે રાજકોટમાં હતા. અહીં તેમણે પાર્ટીના કાર્યકરો-હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેઓ સાધુ-સંતોને પણ મળ્યા હતા. આ બેઠકમાં સાધુ-સંતોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. 

    બેઠકમાં રાજકોટના સાધુ-સંતોએ સીઆર પાટીલને રજૂઆત કરતાં કહ્યું હતું કે, નૂપુર શર્માના નિવેદન મામલે વિવાદ થયા બાદ રાજકોટ અને જસદણ વિસ્તારોમાં હિંદુઓને વિધર્મીઓ દ્વારા ધમકી આપવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમણે સરકાર સમક્ષ આવી બાબતોને ગંભીરતાથી લઇ આવા તત્વો પર રોક લગાવવાની પણ માંગ કરી હતી. 

    મહામંડલેશ્વર ઘનશ્યામદાસજીએ કહ્યું કે, જસદણ વિસ્તારમાં સરકારી જમીનો પર વિધર્મીઓનું દબાણ વધ્યું છે અને મસ્જિદો અને મદ્રેસાઓ બની ગયાં છે. આ મદ્રેસાઓમાં અન્ય રાજ્યોના લોકોની અવરજવર પણ વધી છે. તેમણે આ બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી આવા તત્વો પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. 

    - Advertisement -

    આ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના કાર્યકરો-હોદ્દેદારો ઉપરાંત સાધુ-સંતો, મહંતો, કલાકારો અને દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પ્રમુખ સાથે સંવાદ કર્યો હતો. 

    સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ અને સાધુ-સંતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, તેમની જગ્યાઓ કમર્શિયલ ગણીને વીજળીનાં બિલ વસૂલવામાં આવશે પરંતુ તેના બદલે રહેણાંક જ ગણવામાં આવશે અને કમર્શિયલ ટેક્સ લાગુ પડશે નહીં. તેમણે કહ્યું કે, આ અંગે રાજ્ય સરકારે બજેટમાં જોગવાઈ કરી જ છે અને ટૂંક સમયમાં જ અમલમાં મૂકવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામના પયગંબર મોહમ્મદ વિશે કરેલા કથિત વિવાદિત નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો અને આ વિવાદમાં આરબ દેશોએ પણ ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ભાજપે નૂપુરને સસ્પેન્ડ કર્યાં હતાં. જોકે, નૂપુર શર્માએ માફી માંગી લીધા બાદ પણ તેમને ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ ધમકીઓ મળવાની શરૂ થઇ હતી. 

    માત્ર નૂપુર શર્માને જ નહીં પરંતુ તેમનું સમર્થન કરનારાઓને પણ ઇસ્લામીઓ તરફથી ધમકીઓ મળવાના અનેક કિસ્સાઓ દેશભરમાં નોંધાયા છે. માત્ર ધમકી આપવાના જ નહીં પરંતુ નૂપુરનું સમર્થન કરવાના કારણે ઇસ્લામી કટ્ટરપંથીઓએ હત્યા કરી નાંખી હોય તેવા પણ બે કિસ્સાઓ રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીમાંથી સામે આવ્યા હતા. 

    ગુજરાતમાં પણ નૂપુરનું સમર્થન કરનારાઓને ધમકી મળવાના મામલા સામે આવી ચૂક્યા છે. જેમાં પાદરાના ભાજપ ઉપ-પ્રમુખને અબ્દુલ નામના ફેસબુક આઈડી પરથી કન્હૈયાલાલ જેવી હાલત કરવાની ધમકી મળી હતી, તો અમદાવાદના એક વકીલને પણ નૂપુર શર્માનો ફોટો સ્ટેટ્સમાં મૂકવા બદલ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં જ સુરતમાં પણ એક યુવકને નૂપુરના સમર્થન બદલ ધમકી મળ્યાનો કિસ્સો સામે આવ્યો હતો, જે મામલે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં