ગુજરાત સરકાર અતિક્રમણ વિરુદ્ધ સતત બુલડોઝર અભિયાન ચલાવી રહી છે. દ્વારકા, સોમનાથમાં દબાણો દૂર કરાયા બાદ, જૂનાગઢમાં સ્થિત મજેવડી ગેટ પાસેની દરગાહને પણ સપાટ કરી દેવામાં આવી છે. જે બાદ હવે કચ્છમાં પણ બુલડોઝર એક્શન યથાવત છે. કાળા ડુંગર પરના દબાણો દૂર કરાયા બાદ, અબડાસામાં પણ ગેરકાયદેસર દરગાહો પર બુલડોઝર ફરી વળ્યું હતું. જે બાદ હવે અંજારમાં પણ અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. અંજારમાં મોડી રાત્રે ત્રણ ગેરકાયદેસર દરગાહો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ સાથે અનેક દબાણો દૂર કરાયા છે.
કાળી રાત્રે ક્યાં ચાલ્યું બુલડોઝર ?#gstvshorts pic.twitter.com/bKDu3BJNW9
— GSTV (@GSTV_NEWS) March 13, 2024
મંગળવારે (12 માર્ચ, 2024) મોડી રાત્રે કચ્છના અંજારમાં આવેલા મઝહબી દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવેલી ત્રણ દરગાહોને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અંજારમાંથી દૂર કરાયેલા મઝહબી દબાણો પર પર નજર કરીએ તો તેમાં હાજીપીરની દરગાહ, નાગેશાપીરની દરગાહ અને વલ્લીપીરની દરગાહનો સમાવેશ થાય છે. આ સાથે અન્ય એક ધાર્મિક બાંધકામ પણ તોડી પડાયું છે.
સઘન સુરક્ષા વચ્ચે થઈ કાર્યવાહી
સ્થાનિક તંત્ર દ્વારા મોડી રાત્રે અતિક્રમણ પર આક્રમણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. સાથે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. આ તમામ દબાણોને સવાર સુધીમાં સપાટ કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બુલડોઝર કાર્યવાહી પહેલાં તમામ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દરગાહો ન હટાવી હોવાથી આખરે સ્થાનિક તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું હતું અને તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં સતત હટાવાઈ રહ્યા છે ગેરકાયદેસર મઝહબી દબાણો
નોંધનીય છે કે, ગુજરાત સરકાર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અતિક્રમણ સામે આક્રમણ કરી રહી છે અને અનેક ઠેકાણે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત દરગાહને તોડી પાડવામાં આવી હતી. તે પહેલાં કચ્છના જ ખાવડા વિસ્તારમાં ત્રણ ગેરકાયદેસર મદરેસાઓ તોડવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી આ મદરેસાઓને સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી. જ્યારે શુક્રવારે (8 માર્ચ) જામનગરમાં કુખ્યાત ગુનેગાર રઝાક સાઈચા અને તેના ભાઈના 2 ગેરકાયદેસર બંગલા પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. તે બાદ સોમવારે (11 માર્ચ, 2024) કચ્છના અબડાસામાં બે ગેરકાયદેસર દરગાહો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જ્યારે હવે ફરી એકવાર કચ્છના અંજારમાં ત્રણ ગેરકાયદેસર દરગાહો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.