Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાબુ બજરંગી અને હરેશ ભટ્ટનાં જે તહેલકા સ્ટિંગ સુપ્રીમ કોર્ટે પણ કાયદેસર...

    બાબુ બજરંગી અને હરેશ ભટ્ટનાં જે તહેલકા સ્ટિંગ સુપ્રીમ કોર્ટે પણ કાયદેસર અમાન્ય ઠેરવ્યાં હતાં, તેનો આધાર ગુજરાત રમખાણો પરની BBC ડોક્યુમેન્ટ્રીમાં લેવાયો: વિગતો

    પછીથી હરેશ ભટ્ટ અને બાબુ બજરંગી બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓ એક સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને ખેતાને જ તેમને આવા વિસ્ફોટક ખુલાસા કરવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    આ અઠવાડિયે રિલીઝ થયેલી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન- BBCની એક વિવાદિત ડોક્યુમેન્ટ્રી ચર્ચામાં છે. જેનો વિષય ગોધરામાં ઇસ્લામીઓના ટોળાએ કારસેવકોને લઈને આવતી ટ્રેનનો ડબ્બો સળગાવી મૂકવાના કારણે મહિલાઓ અને બાળકો સહિત 59 કારસેવકો માર્યા ગયા બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણો પરનો હતો.

    આ ડોક્યુમેન્ટ્રી પાછળનો હેતુ સત્ય સામે લાવવાનો નહીં પરંતુ જૂના વિવાદને ફરી જગાવવાનો અને પીએમ મોદી સામેના આરોપોને વેગ આપવાનો હતો. ડોક્યુમેન્ટ્રીમાં સાબરમતી એક્સપ્રેસને આગ લગાવનારા ઇસ્લામીઓને છાવરવાના પ્રયાસો થયા તો પીએમ મોદી સામેના દુષ્પ્રચારને વેગ આપવા માટે કુખ્યાત અધિકારીઓ અને તથાકથિત એક્ટિવિસ્ટોના ખોટા આરોપો અને જુબાનીઓનો પણ સહારો લેવામાં આવ્યો હતો.

    BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રી સિરીઝમાં બાબુ બજરંગી અને હરેશ ભટ્ટના વિવાદિત તહેલકા સ્ટિંગ વિડીયો પણ સામેલ કરવામાં આવ્યા હતા, જે ઇન્ટરવ્યૂને પુરાવા તરીકે સ્વીકારવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો. બે ભાગની ડોક્યુમેન્ટ્રીના પહેલા ભાગમાં 45 મિનિટ બાદ બાબુ બજરંગી અને હરેશ ભટ્ટના ઇન્ટરવ્યૂ સામેલ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    ડોક્યુમેન્ટ્રીમાં પુરાવા તરીકે રજૂ કરાયેલા સ્ટિંગ વિડીયોમાં બજરંગ દળ નેતા બાબુ બજરંગી કહેતા સંભળાય છે કે ગોધરા હત્યાકાંડનો બદલો લેવામાં તેમને તત્કાલીન ગુજરાત સીએમ નરેન્દ્ર મોદીએ પણ મદદ કરી હતી.

    બાબુ બજરંગી કહેતા સંભળાય છે કે, “ત્યાં પોલીસ પણ હતી. આંખ બંધ કરીને ઉભી હતી. પોલીસ કર્મચારીઓએ ઈચ્છે તો અમને રોકી શક્યા હોત. તેમણે એ લોકો (મુસ્લિમો) સામે ગોળીબાર કર્યો હતો પરંતુ અમારી સામે નહીં.” તેમણે એવો દાવો પણ કર્યો હતો કે પોલીસકર્મીઓએ તેમને સામેની બાજુને નષ્ટ કરી દેવા માટે પણ કહ્યું હતું. તેઓ આગળ કહે છે કે, “અમે તેમના જ ગેસ સિલિન્ડરની મદદથી તેમનાં જ ઘરોમાં બ્લાસ્ટ કર્યા હતા. પોલીસને મુસ્લિમો પાસેથી મદદ માટે ફોન આવતા હતા પરંતુ તેઓ જવાબ આપી રહ્યા ન હતા.”

    ત્યારબાદ તેમણે એક પોલીસ કમિશનર અંગે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમણે આવીને કહ્યું હતું કે આટલો મોટો મોતનો આંકડો બતાવી શકાય નહીં. તેઓ આગળ કહે છે, “આખા શહેરમાં મૃતદેહો દાટવામાં આવી રહ્યા હતા. અમે હલ્દીઘાટીની જેમ તેમનો વધ કર્યો હતો અને જેનો અમને ગર્વ છે. એ મહિલાઓ હોય કે બાળકો, અમે કોઈને બક્ષ્યાં ન હતાં. તમામને કાપીને સળગાવી દીધાં.”

    સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીનું આ સ્ટિંગ ફગાવી દીધું હતું 

    નરોડા પાટિયા કેસના મુખ્ય આરોપી અને 21 વર્ષની સજા પામેલા બજરંગ દળ નેતા બાબુભાઇ પટેલ ઉર્ફે બાબુ બજરંગીનો આ ઇન્ટરવ્યૂ તહેલકાના પત્રકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા આશિષ ખેતાને લીધો હતો.

    જોકે, સુપ્રીમ કોર્ટે આ ઇન્ટરવ્યૂને નકારી દીધાં હતાં અને કહ્યું હતું કે તહેલકા દ્વારા રમખાણોને લઈને કરવામાં આવેલાં ઇન્ટરવ્યૂનું કોઈ પ્રમાણિત મૂલ્ય નથી. પીએમ મોદીને અપાયેલી ક્લીન ચિટ સામે ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવેલ અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમુક લોકો દ્વારા કથિત રીતે કબૂલાત કરી હોવાનું દર્શાવતી તહેલકા ટેપ્સ કાયદાકીય રીતે કશું જ મૂલ્ય ધરાવતી નથી.

    કોર્ટે નોંધ્યું હતું કે, તપાસ દરમિયાન ટેપ અને તેની સામગ્રીઓનું સંભવિત મૂલ્ય જાણવા મળે તો જ તેનો ઉપયોગ કરી શકાય અને તે પણ માત્ર નિવેદન આપનાર વિરુદ્ધ જ, કોઈ અન્ય વ્યક્તિ વિરુદ્ધ નહીં.

    ‘આશિષ ખેતાનને કશુંક ‘મસાલેદાર’ જોઈતું હતું’ 

    જોકે, પછીથી હરેશ ભટ્ટ અને બાબુ બજરંગી બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓ એક સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને ખેતાને જ તેમને આવા વિસ્ફોટક ખુલાસા કરવા માટે કહ્યું હતું. હરેશ ભટ્ટે કહ્યું હતું કે, ખેતાન ‘હિંદુત્વ’ પર થીસીસ લખવા માંગતા હતા અને જેથી તેમનો (ભટ્ટનો) સંપર્ક કર્યો હતો. તેમને હરેશ ભટ્ટ પાસેથી કશુંક મસાલેદાર સામગ્રી જોઈતી હતી જેથી પોતાનો નરેટિવ આગળ વધારી શકે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, તહેલકાના પત્રકાર તરીકે ખેતાને એક જ મહિનામાં હરેશ ભટ્ટના નિવાસસ્થાન તેમજ ગોધરાની 7થી 8 વખત મુલાકાત લીધી હતી. 

    હરેશ ભટ્ટે ગુજરાત રમખાણોને લઈને તેમણે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે ખેતાનના કહેવા અનુસાર જવાબો આપ્યા હોવાનું પણ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, CBI તપાસની વાતો અને તેમની ગન ફેક્ટરી હોવાની અને તેમાં ડિઝલ અને પાઇપ બૉમ્બ બનાવીને હિંદુઓને વહેંચવાની વાતો ખોટી અને પાયાવિહોણી હતી.

    ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે હરેશ ભટ્ટ અને બાબુ બજરંગીએ પંજાબથી બે ટ્રક ભરીને તલવારો મંગાવવાની અને તેને હિંદુઓમાં વહેંચવાની કબૂલાત કરી હતી. ઉપરાંત, તેમની ગન ફેક્ટરીમાં રોકેટ લૉન્ચર બનાવવાની અને બૉમ્બ બનાવવાની વાત પણ ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    તેમણે એ પણ જણાવ્યું હતું કે ક્લિપમાં નરેન્દ્ર મોદી વિશે તેમણે કહેલી તમામ વાતો કાલ્પનિક હતી. જેથી તહેલકાનું ‘એક્સ્ટ્રા જ્યુડિશિયલ ઓપરેશન’ કશું જ સાબિત કરી શકતું નથી કારણ કે તેના પાત્રો જ સ્વીકારી ચૂક્યા છે કે તેમણે કેમેરા સામે આ બધી વાર્તાઓ ઘડી હતી.

    સ્ટિંગ બાદ બાબુ બજરંગીએ કરેલી કબૂલાતમાં ઘણી બાબતો મેળ ખાતી ન હતી 

    ગુજરાત સરકારે દાખલ કરેલા જવાબમાં બાબુ બજરંગીની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે સ્ટિંગ ઓપરેશન દરમિયાન તેમણે કહેલી વાતો સાથે મેળ ખાતા ન હતા. જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, આશિષ ખેતાને બાબુ બજરંગીને એક સ્ક્રિપ્ટ આપી હતી અને સ્ટિંગ દરમિયાન તેઓ તેમાંથી જ વાંચી રહ્યા હતા. 

    હરેશ ભટ્ટની ગન ફેક્ટરીની વાર્તા પણ બનાવટી જ હતી કારણ કે પોલીસ તપાસ દરમિયાન આવું કશું જ સામે આવ્યું ન હતું. સ્ટિંગ દરમિયાન નરોડા પાટિયા ગામમાંથી મળેલા મૃતદેહો પોલીસે અમદાવાદ શહેરના જુદા-જુદા ભાગોમાં ફેંક્યા હોવાના દાવામાં પણ કશું સત્ય ન હતું કારણ કે તપાસ દરમિયાન નરોડા પાટિયામાંથી માત્ર 84 મૃતદેહો જ મળ્યા હતા અને 11 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં