Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકને ત્યાં જમવા જવાના તરકટની AAP નેતાએ જ પોલ ખોલીઃ...

    અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકને ત્યાં જમવા જવાના તરકટની AAP નેતાએ જ પોલ ખોલીઃ અન્ય પણ ગંભીર આરોપો લગાવ્યા

    કેજરીવાલે રિક્ષાચાલકને ત્યાં ભોજન કરવાની બાબત હજુ ચર્ચામાં છે ત્યારે તેમની જ પાર્ટીના નેતાએ મોટો ખુલાસો કર્યો છે.

    - Advertisement -

    આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હજુ ગુજરાતનો પ્રવાસ પૂરો કરે ન કરે તે પહેલાં જ આપ નેતાએ પાર્ટીનો પોલ ખોલતા ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. શહેરના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શાકીર શેખ દ્વારા અરવિંદ કેજરીવાલનું રિક્ષાચાલકને ત્યાં જમવા જવું એક તરકટ થી માંડીને પૈસાથી ટીકીટો વેચવા સુધીના ગંભીર આરોપો લગાવ્યા હતા. વેજલપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે દાવેદારી કરનારા શાકીર શેખે પોતાની સાથે અન્યાય થયો હોવાનું જણાવી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.

    સમાચાર પત્ર દિવ્ય ભાસ્કરને ઈન્ટરવ્યું આપતા શાકીર શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીમાં પૈસાના જોરે ટિકિટ વહેંચણી થાય છે. વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર નથી, સંગઠનના નથી, પણ હા પૈસાદાર જરૂરથી છે. હું કે પાર્ટીના લોકો તેમને જાણતા નથી. પૈસાના જોરે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આ લોકો પૈસાના જોરે સેટિંગ કરે છે. મારો આ માટે વિરોધ છે. હું વિરોધ કરીશ, ભલે પાર્ટી સસ્પેન્ડ કરે.”

    સમાચાર પત્ર દ્વારા પૂછાયેલા સવાલ પર આગળ જણાવતા શાકીર શેખ કહે છે કે “કેજરીવાલ કહે છે કે સાફ છબિના લોકોને રાખીશું, જેથી કોઈ એલિગેશન ના થાય, પણ હું કહેવા માગીશ કે કેવા લોકોને ટિકિટ અપાય છે. ટીકીટ આપવી હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકરને ટિકિટ આપો , આયાતી ઉમેદવારોને કેમ ટિકિટ આપો છો. નરોડામાં આયાતી ઉમેદવાર છે, અસારવાના જેજે મેવાડા પાસે પૈસા છે પણ સંગઠન નથી. કોઈ દિવસ મીટિંગ બોલાવી નથી. કોઈને જવાબદારી તો આપતા નથી. બીજાં રાજ્યોમાંથી લોકોને કામ કરવા બોલાવે છે અને પૈસાનું પાણી કરે છે.”

    - Advertisement -

    અહેવાલો મજબ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રત્યે ઉપલી હરોળમાં રહેલા લોકો વિષે શાકીર શેખ કહે છે કે ” ગોપાલ ઈટાલિયા મારી વાતનો જવાબ આપતા નથી. અને જયારે મે કિશોર દેસાઈને રજૂઆત કરી, તેમણે કહ્યું કે તમને સ્પેર વ્હીલ તરીકે રાખીશું. મે તે લોકો પાસે જવાબ માંગ્ય અને તેમને કહ્યું હતું કે હું તમારા જવાબની રાહ જોવું છું, પણ હજી સુધી રિપ્લાય આવ્યો નથી. ગોપાલ ઈટાલિયાને સમય નથી. ઈસુદાન મળતા નથી. ગુલાબસિંહ યાદવને જોયા પણ નથી.”

    રીક્ષા ચાલકને ત્યાં ભોજન પ્રી-પ્લાન હતું : શાકીર શેખ

    આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે એક રીક્ષા ચાલકના ત્યાં ભોજન કર્યું હતું, પરંતુ પાર્ટીથી રિસામણા લઈને બેઠેલા શાકીર શેખે આ ભોજન સમારંભની પણ પોલ ખોલી નાખી હતી, અહેવાલો મુજબ શાકીર શેખના કહેવા પ્રમાણે જો તેમને સામાન્ય નાગરિક સાથે ભોજન કરવુજ હતું તો અન્ય કોઈ વિસ્તાર નહિ, પરંતુ ઘાટલોડિયા વિધાનસભા જ કેમ પસંદ કરી? બધા યુનિયનના રિક્ષાચાલકો એ જ વિસ્તારના હતા. મુખ્યમંત્રીનો વિસ્તાર છે એટલે તેમણે પસંદ કર્યું. બીજા ઘણા વિસ્તારો હતા, આખા અમદાવાદમાં રિક્ષા ફરે છે. આ પ્રીપ્લાન્ડ છે મારા હિસાબે. તેમણે આગળ ઉમેર્યું.

    અત્રે ઉલ્લેખનીય છે કે કલ્પેશ પટેલની દારૂ પાર્ટીનું વાયરલ થવું ત્યાર બાદ પ્રફુલ વસાવાના વિરોધે આમ આદમી પાર્ટી માટે વંટોળ ઉભો કર્યો હતો, હજુ અરવિંદ કેજરીવાલ આ વાવાઝોડાને શાંત કરે તે પહેલાજ અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શાકીર શેખે આ વંટોળને વેગ આપે તેવા આરોપો અને નિવેદનો આપતા ગુજરાત આમ આદમી પાર્ટીની ભીંસ વધતી જોવા મળી રહી છે. આવનારા સમયમાં આ વાવાઝોડું આમ આદમી પાર્ટીની નાવડીને ક્યાં લઇ જશે તેનું અનુમાન લગાવવું અઘરું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં