Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના વિજેતાઓ લેશે ધારાસભ્ય પદના શપથ: વિજય મુહૂર્તમાં...

    ગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના વિજેતાઓ લેશે ધારાસભ્ય પદના શપથ: વિજય મુહૂર્તમાં યોજાશે તમામ નેતાઓનો શપથગ્રહણ સમારોહ

    ગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના વિજેતાઓ 11 જૂને શપથ લેશે. તે પાંચ સભ્યોમાં અરવિંદ લાડાણી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા અને ખંભાત વિધાનસભા બેઠક પરથી જીતેલા ચિરાગ પટેલનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની સાથે જ ગુજરાતની ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પરિણામની સાથે જ વિધાનસભા પેટાચૂંટણીનું પણ પરિણામ જાહેર કરાયું હતું. લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષો સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા પાંચેય સભ્યો પેટાચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાઈ આવ્યા છે. હવે મંગળવારે (11 જૂન, 2024) પેટાચૂંટણીના વિજેતાઓ ધારાસભ્ય પદના શપથ લેશે. તેમનો શપથગ્રહણ સમારોહ વિજય મુહૂર્તમાં રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન અને મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ પણ સંધ્યા વિજય મુહૂર્તમાં યોજવામાં આવ્યો હતો.

    ગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના વિજેતાઓ મંગળવારે (11 જૂન, 2024) શપથ લેશે. તે પાંચ સભ્યોમાં માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણી, વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર વિધાનસભા ક્ષેત્ર પરથી જીતેલા અર્જુન મોઢવાડિયા, વિજાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સીજે ચાવડા અને ખંભાત વિધાનસભા બેઠક પરથી જીતેલા ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ પાંચેય ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવશે.

    આ તમામ સભ્યો પૈકી પોરબંદર વિધાનસભા બેઠકના અર્જુન મોઢવાડિયા અને વિજાપુર વિધાનસભા બેઠકના સીજે ચાવડાને ગુજરાત સરકારના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણમાં મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. જોકે, હજુ સુધી તે અંગે કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી. પરંતુ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તે અંગેની ચર્ચાએ જોર પકડયું છે. નોંધવા જેવુ છે કે, આ પાંચેય સભ્યો ધારાસભ્ય પદ સહિત વિપક્ષી પાર્ટીઓના તમામ પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જે બાદ હવે તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને 1,33,163 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યાં હતા. તે ઉપરાંત વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સીજે ચાવડાનો 56,228 મતોથી વિજય થયો છે. સીજે ચાવડાને 1,00,641 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 44,413 મત મળ્યા

    ઉપરાંત વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતોથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45.338 મત મળ્યાં છે. તે સિવાય માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો 31,016 મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા છે. જ્યારે ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો 38,328 મતોથી વિજય થયો છે. ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં