Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણહવે AAPને કેજરીવાલની ધરપકડનો ડર, મંત્રી આતિશીએ કહ્યું- '2 નવેમ્બરે ED તેમને...

    હવે AAPને કેજરીવાલની ધરપકડનો ડર, મંત્રી આતિશીએ કહ્યું- ‘2 નવેમ્બરે ED તેમને પણ પકડીને જેલમાં નાખી દેશે’; એક્સાઈઝ પોલિસી મામલે થવાની છે પૂછપરછ

    હજુ સુધી સત્તાવાર એવી કોઈ જાહેરાત નથી થઈ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ કોઈ વોરંટ પણ નથી જાહેર થયું. તેમને EDએ દારૂ કૌભાંડ મામલે થયેલા પૈસાની હેરાફેરીને લઈને પૂછપરછ માટે બોલાવ્યા છે.

    - Advertisement -

    દિલ્હી સરકારના મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે 2 નવેમ્બર, 2023ના રોજ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ દાવો કર્યો હતો. 2જી તારીખે કેજરીવાલને ED દ્વારા દિલ્હી નીતિ દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

    PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ED દ્વારા જારી કરાયેલા સમન્સ પર આતિશીએ કહ્યું, “દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. ચારે તરફથી સમાચાર આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલને 2જી નવેમ્બરે બોલાવવામાં આવશે ત્યારે ED તેમની પણ ધરપકડ કરશે અને જેલમાં ધકેલી દેશે.”

    આતિશીએ આગળ કહ્યું, “આજે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની એક પછી એક ખોટા આરોપો લગાવીને અને કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ એટલા માટે કરવામાં આવશે કારણ કે તેઓ વડાપ્રધાનની વિરુદ્ધ બોલે છે.

    - Advertisement -

    આતિશીએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ED અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ I.N.D.I ગઠબંધનના અન્ય નેતાઓની પણ ધરપકડ કરશે. જેમ કે ઝારખંડના CM હેમંત સોરેન, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કેરળના CM પીનારાઈ વિજય અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન માટે પણ ED અને CBIનો દુરુપયોગ થશે.

    જોકે, હજુ સુધી સત્તાવાર એવી કોઈ જાહેરાત નથી થઈ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ કોઈ વોરંટ પણ નથી જાહેર થયું. તેમને EDએ દારૂ કૌભાંડ મામલે થયેલા પૈસાની હેરાફેરીને લઈને પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ આતિશીએ ધરપકડની સંભાવનાને જોતાં અત્યારથી જ આરોપો લગાવવાના શરૂ કરી દીધા છે.

    નોંધનીય છે કે દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘની EDએ પહેલાં જ ધરપકડ કરી લીધી છે. મનીષ સિસોદિયાનની દારૂ કૌભાંડ કેસમાં 9 માર્ચ 2023ના રોજ લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં છે. ત્યારથી કોર્ટ પણ તેમને જામીન આપવાનો ઈન્કાર કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં