Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત‘સનાતન ધર્મના અપમાન સામે બોલતાં રોકવામાં આવ્યો, સતત થઈ રહ્યું હતું અપમાન’:...

    ‘સનાતન ધર્મના અપમાન સામે બોલતાં રોકવામાં આવ્યો, સતત થઈ રહ્યું હતું અપમાન’: પહેલાં રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી, હવે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

    રોહન ગુપ્તાએ કહ્યું કે, મેં ઉમેદવારી પરત કરવાનો મારા જીવનનો સૌથી કઠિન નિર્ણય લીધો અને હવે હું 15 વર્ષ સેવા આપ્યા બાદ પાર્ટી છોડવાનો તેનાથી પણ કઠિન નિર્ણય લઇ રહ્યો છું. તેમણે આ પાછળ સતત થતું અપમાન અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક નેતા દ્વારા સતત થતા ચરિત્રહરણનું કારણ આપ્યું છે.

    - Advertisement -

    અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ઉમેદવારી કર્યા બાદ પીછેહઠ કરનાર કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ હવે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે X પર એક પોસ્ટ કરીને જાણકારી આપી. સાથે ત્યાગપત્ર પણ જોડ્યો હતો, જેમાં પાર્ટી છોડવાનાં કારણો જણાવ્યાં છે. 

    રોહન ગુપ્તાએ એક લાંબી પોસ્ટમાં કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ નેતા પર આરોપો લગાવ્યા છે, જોકે નામ કોઈનું લીધું નથી. પિતાની લથડતી તબિયતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હું નહતો જોઈ શકતો, પરંતુ મારી સાથે જે થઈ રહ્યું હતું તે મારા પિતાને ખબર હતી અને તેમણે તે સહન કર્યા કર્યું અને આખરે તબિયત લથડી અને તેમની બાયપાસ સર્જરી કરવી પડી. રોહન ગુપ્તાએ પત્રમાં પોતાને અને પિતાને ‘ફાઈટર’ ગણાવીને કહ્યું કે, છેલ્લાં 40 વર્ષમાં તેમણે પાર્ટીમાં અનેક લડાઈઓ લડવી પડી. તેમણે કહ્યું કે, તેઓ કોઈનાથી ડરતા નથી પરંતુ જ્યારે તેમના વિરૂદ્ધ સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી છે.

    રોહન ગુપ્તાએ કહ્યું કે, મેં ઉમેદવારી પરત કરવાનો મારા જીવનનો સૌથી કઠિન નિર્ણય લીધો અને હવે હું 15 વર્ષ સેવા આપ્યા બાદ પાર્ટી છોડવાનો તેનાથી પણ કઠિન નિર્ણય લઇ રહ્યો છું. તેમણે આ પાછળ સતત થતું અપમાન અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક નેતા દ્વારા સતત થતા ચરિત્રહરણનું કારણ આપ્યું છે. જોકે, અહીં પણ નામ લખવામાં આવ્યું નથી.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આ નેતાએ છેલ્લાં 2 વર્ષમાં અનેક વખત તેમનું અપમાન કર્યું છે અને છેલ્લા 3 દિવસમાં પણ તેમ કરતાં ખચકાયા નથી. આગળ કહ્યું કે, “મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ તેઓ આવું કરવાનું ચાલુ રાખશે અને તેમને રોકનારું પણ કોઇ નહીં હોય. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર કોઇ પ્રહાર સહન કરવા માટે તૈયાર નથી.”ગુપ્તાએ કહ્યું કે, હવે તેઓ પાર્ટીમાં રહી શકે એમ નથી અને ‘ભારે હૃદય’થી પાર્ટી છોડવાનો નિર્ણય લઇ રહ્યા છે, કારણ કે આત્મસન્માન માટે તેમ કરવું જરૂરી છે. 

    સનાતન ધર્મના અપમાન પર પાર્ટી ચૂપ રહે તે તેમણે સુનિશ્ચિત કર્યું

    પૂર્વ કોંગ્રેસ નેતાએ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના નેતા પર તેમના અહંકારી અને અણઘડ સ્વભાવ થકી પાર્ટીને પણ ઘણું નુકસાન કરવાનો આરોપ લગાવ્યો. આગળ કહ્યું કે, “પોતાની વામપંથી માનસિકતાના કારણે તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે સનાતન ધર્મના અપમાન વિરુદ્ધ પાર્ટી મૌન રહે, જે વ્યક્તિગત રીતે મને પણ ખૂંચ્યું. એવો પણ દાવો કર્યો કે તેમને નેશનલ ટીવી પર સનાતન ધર્મના અપમાનનો વિરોધ કરવાથી રોકવામાં આવ્યા હતા. 

    કોંગ્રેસના મોવડી મંડળને ઉલ્લેખીને કહ્યું કે, તેમણે આ પ્રકારના નેતાઓની આવી પ્રવૃત્તિઓની અવગણના ન કરવી જોઈએ, જેથી ઈમાનદાર કાર્યકર્તાઓ અને નેતાઓને પાર્ટી છોડવાની નોબત ન આવે. અંતે કહ્યું કે, અમુકને આમાં કોઇ ષડ્યંત્ર હોવાનું પણ લાગશે, પરંતુ જે લોકો તેમની નજીક છે તેઓ તેમનો મુદ્દો સમજી શકે તેમ છે. 

    પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પણ તેમણે આવી જ વાતો કહી છે. પત્ર શુક્રવારે (22 માર્ચ) મોકલવામાં આવ્યો હતો. 

    નોંધવું જોઈએ કે રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને અવારનવાર નેશનલ ટીવીમાં જોવા મળતા હતા. પાર્ટીએ તેમને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ટીકીટ આપી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે પિતાની લથડતી તબિયતનો હવાલો આપીને ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે તેમણે પાર્ટી જ છોડી દીધી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં