Tuesday, April 23, 2024
More
    હોમપેજગુજરાતવિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધતા 13 તૂટે તેવી સ્થિતિ: સંભવિત ઉમેદવારોને...

    વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધતા 13 તૂટે તેવી સ્થિતિ: સંભવિત ઉમેદવારોને લઈને ઠેર ઠેર વિરોધના સુર અને રાજીનામાં

    કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં નારાજગી એટલી હદે વધી ગઈ છે કે જેના કારણે એક દિગ્ગજ કોંગ્રેસ નેતાએ પોતાનું મોઢું કાળું કરાવવું પડ્યું હતું. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર રશ્મિકાંત સુથારે દાવેદારી માંગી હતી પરંતુ તેમના સ્થાને કોંગ્રેસે ભીખુભાઇ દવેનું નામ જાહેર કરતા તેમના પુત્ર રોમીન સુથારે પાલડી ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર જ ભરતસિંહ સોલંકીના મોઢા પર શાહી ફેંકી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની વિધિવત ઘોષણા થઇ ચુકી છે અને તે સાથે જ શરુ થયો છે નારાજગી, રાજીનામાં અને પક્ષપલટાનો દૌર. દેખીતી રીતે જ આ સ્થિતિ સત્તારૂઢ પક્ષ કરતા સત્તામાં આવવા મથતા પક્ષોમાં વધુ જોવા મળી રહી છે જેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. એમાં પણ કોંગ્રેસની સ્થિતિ તો ખુબ જ ખરાબ છે.

    શુક્રવાર (4 નવેમ્બર)ના રોજ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી રજુ કરી હતી. જે બાદ ઠેર ઠેર વિરોધ શરૂ થઇ ગયેલો જોવા મળી રહ્યો છે. ક્યાંક કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે તો ક્યાંય અપેક્ષ ઉમેદવાર ઉભા રાખીને કોંગ્રેસને હરાવવાની વાત કરી રહ્યા છે.

    કોંગ્રેસ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ જ ઉભો રાખશે અપક્ષ ઉમેદવાર

    મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટીના સંભવિત ઉમેદવાર પી.એમ. પટેલનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ પટેલના નામનો સદ્ત્તર વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેમને ટિકિટ અપાશે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ જ અપક્ષ ઉમેદવાર ઉભો રાખીને કોંગ્રેસને હરાવશે.

    - Advertisement -

    આ સિવાય મહેસાણા જિલ્લાની કડી બેઠક પર પણ આવો જ વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમ એકાદી વિધાનસભા પર પ્રવીણ પરમારનું નામ જાહેર કર્યું હતું. જે બાદ કડીમાં ખુબ વિરોધ ઉભો થયો હતો. આ બાબતે કડીના સેનમાં સમાજે કોંગ્રેસના અમદાવાદ ખાતેની મુખ્ય કાર્યાલય ખાતે આવીને વિરોધ નોંધાવ્યો હતો.

    પેટલાદમાં પાટીદારો નારાજ

    અહેવાલો અનુસાર પેટલાદ વિધાનસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવાની છે. પેટલાદ બેઠક પરથી છેલ્લી 6 ટર્મથી કોંગ્રેસના નિરંજન પટેલ જીતતા આવે છે. હવે તેમના સાથે આવી રીતે સોલંકીને ટિકિટ મળવાના અહેવાલો ફરતા થતા સ્થાનિકોએ ખુબ વિરોધ નોંધાવ્યો હતો.

    વિરોધના પગલે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પેટલાદમાં ચૂંટણી પ્રચારને સદંતર બંધ કરી દીધો છે અને જ્યાં સુંધી ઉમેદવારના નામ વિષે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી પાર્ટીનું કોઈ કાર્ય નહિ કરવામાં આવે તેવું કહ્યું છે.

    ન માત્ર પેટલાદ પરંતુ તે સિવાય આ નિર્ણયથી સોજીત્રા, આણંદ અને ખંભાત બેઠકો પર પણ અસર પડનાર છે. આ બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહ્યું છે અને હાલમાં પાટીદારો કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે.

    આ સિવાય વડોદરાની માંજલપુર વિધાનસભા માટે ઉમેદવાર તરીકે તસવીન સિંઘનું નામ જાહેર થયા બાદ અહીંયા પણ વિરોધના સુર ઉઠતા જોવા મળ્યા હતા.

    કોંગ્રેસમાં પડ્યા ધડાધડ રાજીનામાં

    કચ્છ વિસ્તારની બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વધી રહેલી જોવા મળી હતી. ચૂંટણી પહેલા જ ભુજ નાગરોળીકાના પૂર્વ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું.

    આ ઉપરાંત દાહોદના ઝાલોદમાં પણ કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું. અહીંયા કોંગ્રેસે ઉમેદવાર ન બદલાતા 2000 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામુ આપી દીધું હતું.

    એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટ ન મળતા ભરતસિંહ સોલંકીનું મોઢું કાળું કર્યું

    કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં નારાજગી એટલી હદે વધી ગઈ છે કે જેના કારણે એક દિગ્ગજ કોંગ્રેસ નેતાએ પોતાનું મોઢું કાળું કરાવવું પડ્યું હતું. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર રશ્મિકાંત સુથારે દાવેદારી માંગી હતી પરંતુ તેમના સ્થાને કોંગ્રેસે ભીખુભાઇ દવેનું નામ જાહેર કરતા તેમના પુત્ર રોમીન સુથારે પાલડી ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર જ ભરતસિંહ સોલંકીના મોઢા પર શાહી ફેંકી હતી.

    આમ ઉમેદવારોની પહેલી યાદી બાદ જ કોંગ્રેસની સ્થિતિ જોવા જેવી થઇ છે. હવે આગળ કોંગ્રેસ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે એ જોવાનું રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં