Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના રામભક્તો હવે સરળતાથી કરી શકશે અયોધ્યા યાત્રા: અમદાવાદથી વધુ એક ફ્લાઇટનો...

    ગુજરાતના રામભક્તો હવે સરળતાથી કરી શકશે અયોધ્યા યાત્રા: અમદાવાદથી વધુ એક ફ્લાઇટનો થશે શુભારંભ, બે કલાકમાં પહોંચાડશે રામ જન્મભૂમિ

    સ્પાઇસ જેટની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ સવારે 6 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને 2 કલાકની સફર ખેડીને સવારે 8 કલાકે અયોધ્યા ધામ એરપોર્ટ પર લેન્ડ થશે

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે બાદ દેશના અનેક ભાગોમાંથી રામલલાના દર્શન કરવા માટે રામભકતો અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓને હાલાકી ના ભોગવવી પડે એ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ વિકસાવવા આવ્યો છે. તે જ અનુક્રમે હવે ગુજરાતમાંથી અયોધ્યા જવા માટેની વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાતના રામભક્તોને અયોધ્યા જવાનો વધુ એક વિકલ્પ મળ્યો છે. કારણ કે સ્પાઇસ જેટ અમદાવાદથી અયોધ્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ પહેલાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યા વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી.

    ગુજરાતના રામભક્તો માટે અયોધ્યા યાત્રા હવે ખૂબ જ સરળ બની રહેશે. સ્પાઇસ જેટ 1 ફેબ્રુઆરી, 2024થી અમદાવાદથી અયોધ્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ કરવા જઈ રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ વચ્ચે આ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. બુધવારને બાદ કરીને અઠવાડિયાના 6 દિવસ આ ફ્લાઇટ ઓપરેટ થશે. રામભક્તો સરળતાથી 2 કલાકની હવાઈ સફર ખેડીને અયોધ્યા ધામ પહોંચી શકશે.

    2 કલાકમાં પહોંચાડશે અયોધ્યા ધામ

    સ્પાઇસ જેટની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ સવારે 6 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને 2 કલાકની સફર ખેડીને સવારે 8 કલાકે અયોધ્યા ધામ એરપોર્ટ પર લેન્ડ થશે. આ ઉપરાંત અયોધ્યાથી પરત ફરવા માટે પણ ફ્લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરત ફરવા માટે અયોધ્યા ધામ એરપોર્ટ પરથી બપોરે 12:30 વાગ્યે ફ્લાઇટ ઉપડશે અને બપોરે 2:25 કલાકે અમદાવાદમાં લેન્ડ થશે. સ્પાઇસ જેટની વેબસાઇટ મુજબ, બે શહેરો વચ્ચેના એક પ્રવાસનું ભાડું લગભગ ₹4500 છે.

    - Advertisement -

    સ્પાઇસ જેટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે ગુજરાતના રામભક્તોને આ ફ્લાઇટ સેવાનો લાભ 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઈન્ડિગો એરલાઈન્સે બંને શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ઈન્ડિગોએ 11 જાન્યુઆરી, 2024થી ફ્લાઇટ સેવા શરૂ પણ કરી છે. 11 જાન્યુઆરીએ ઉડાન અમદાવાદથી અયોધ્યા સુધીની પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી હતી. આ દરમિયાન પ્રવાસીઓએ ‘જય શ્રીરામ’નો જયઘોષ પણ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં