Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતમુફ્તી સલમાન અઝહરીએ કચ્છમાં પણ આપ્યું હતું ભડકાઉ ભાષણ, હવે આયોજક મામદખાન...

    મુફ્તી સલમાન અઝહરીએ કચ્છમાં પણ આપ્યું હતું ભડકાઉ ભાષણ, હવે આયોજક મામદખાન મુરની ધરપકડ: અઝહરીને પણ લાવવામાં આવી શકે

    31 જાન્યુઆરીએ રાત્રે જૂનાગઢમાં ભાષણ આપ્યા પહેલાં મુફ્તી સલમાન કચ્છના સામખિયાળી ગયો હતો, જ્યાં પણ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જૂનાગઢ મામલે અઝહરીની ધરપકડ થયા બાદ અઝહરી તેમજ કાર્યક્રમના આયોજક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    જૂનાગઢમાં વ્યસનમુક્તિ કાર્યક્રમની આડમાં ભડકાઉ ભાષણ આપવા બદલ પકડાયેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે કચ્છમાં સ્થિત સામખિયાળીમાં પણ એક FIR નોંધવામાં આવી હતી. તેની સાથે કાર્યક્રમના આયોજક મામદખાનને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો, હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અઝહરી જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે. 

    31 જાન્યુઆરીએ રાત્રે જૂનાગઢમાં ભાષણ આપ્યા પહેલાં મુફ્તી સલમાન કચ્છમાં આવેલા સામખિયાળી ગયો હતો, જ્યાં પણ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જૂનાગઢ મામલે અઝહરીની ધરપકડ થયા બાદ અઝહરી તેમજ કાર્યક્રમના આયોજક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે જાણકારી મળી છે કે આયોજક મામદખાન મુરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમ ગુલશન-એ-મહંમદી ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેનો મામદખાન સભ્ય છે.

    પોલીસે મુરની ધરપકડ કર્યા બાદ તેને કાર્યક્રમના સ્થળે લઇ જવામાં આવ્યો હતો અને તમામ વિગતો મેળવવામાં આવી હતી. દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં DySP સાગર સાબડાને ટાંકીને જણાવવામાં આવ્યું કે, અઝહરીએ સામખિયાળીમાં જ્યાં ભડકાઉ ભાષણ આપ્યું હતું ત્યાં પરવાનગી લેનાર આરોપીને લઈ જઈને પંચનામું કરવામા આવ્યું અને તેની પાસે કાર્યક્રમ શું હતો અને વિષય શું હતો વગેરે બાબતની જાણકારી મેળવવામાં આવી હતી. આ સમયે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આરોપીને 1 વાગ્યે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે. જ્યારે TV9ના રિપોર્ટ અનુસાર, મૌલાના અઝહરીને પણ પકડીને કચ્છ લાવવામાં આવી શકે, જે માટે કચ્છ પોલીસની એક ટીમ જૂનાગઢ જઈ શકે છે. 

    નોંધનીય છે કે હાલ મુફ્તી અઝહરી જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગતાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે તેને ફરી રજૂ કરવામાં આવશે. બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે હવે કચ્છ પોલીસ અન્ય એક કેસમાં તેની ધરપકડ કરી શકે છે. 

    મુફ્તી સલમાન અઝહરીનો કેસ અને ધરપકડ 

    31 જાન્યુઆરી, 2024ના રોજ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં મુસ્લિમ સમુદાયના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો ફરતો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને અઝહરી અને 2 આયોજકો સામે FIR નોંધી હતી. આયોજકોએ કાર્યક્રમ વ્યસનમુક્તિનો હોવાનું કહીને પરવાનગી માગી હતી. 

    FIR નોંધાયા બાદ એક તરફ બંને આયોજકોની ધરપકડ થઈ તો બીજી તરફ અઝહરીને શોધતી ગુજરાત ATS મુંબઈ પહોંચી હતી. જ્યાંથી તેની અટકાયત કરીને અમદાવાદ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. 

    પોતાના ભાષણમાં અઝહરી ‘અભી તો કરબલા કા મૈદાન બાકી હૈ’ અને ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવી વાતો કહેતો જોવા મળ્યો હતો. ઑપઇન્ડિયાએ સમગ્ર ભાષણ મેળવીને વિસ્તૃત રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે તેણે અન્ય પણ ભડકાઉ વાતો કહી હતી, જે અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં