Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ‘પહેલેથી એકઠા કરી રાખ્યા હતા પથ્થર, તલવાર-ધારિયાં લઈને કર્યો હતો હુમલો’: ખેરાલુમાં...

    ‘પહેલેથી એકઠા કરી રાખ્યા હતા પથ્થર, તલવાર-ધારિયાં લઈને કર્યો હતો હુમલો’: ખેરાલુમાં રામયાત્રા પર હુમલા મામલે મુસ્લિમ સમુદાયના 32 વ્યક્તિઓ સામે FIR, 15 પકડાયા

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા.

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રીરામની યાત્રા પર મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો થયા બાદ આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ખેરાલુ પોલીસ મથકે FIR નોંધાઈ છે, જેમાં 32 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાંથી 15ની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ મુસ્લિમ સમુદાયના છે. 

    ફરિયાદી સ્વયં ખેરાલુ ટાઉન પોલીસ પોલીસના PSI જે. કે ગઢવી બન્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.

    ફરિયાદ અનુસાર, આરોપીઓ હથિયારો લઈને શોભાયાત્રામાં સામેલ લોકો પાછળ દોડ્યા હતા અને યાત્રામાં જોડાયેલાં ટ્રેક્ટરો પર ધારિયાના ઘા મારીને નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે યાત્રામાં જોડાયેલા અમુક લોકોને તલવાર પણ મારી હતી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે PSI ગઢવી પણ પથ્થરના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. 

    - Advertisement -

    પોલીસે આ મામલે મુસ્લિમ સમુદાયના 32 વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમ 143, 147, 148, 149, 307, 332, 323, 337, 506(2), 120B, 427 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

    પોલીસે રવિવારે (21 જાન્યુઆરી, 2024) રાત્રે જ કૉમ્બિંગ હાથ ધરીને 15ની અટકાયત કરી લીધી હતી, ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી. હાલ બાકીનાની શોધખોળ ચાલી રહી છે. 

    કાર્યવાહી અંગે વધુ માહિતી આપતાં ખેરાલુ પોલીસ મથકના પીઆઈ એસ. જી શ્રીપાલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલે રાત્રે 32 શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાંથી 15 પકડાયા છે જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે. જલ્દીથી તેમને પણ પકડી લેવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, યાત્રા જેવી પહોંચી તેવો અચાનક તેની ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ પૂર્વનિયોજીત કાવતરું હોવાની પણ આશંકા છે, જે તપાસનો વિષય છે. 

    આ ઘટના રવિવારે (21 જાન્યુઆરી, 2024) બની હતી, જ્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં યોજનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં ખેરાલુમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં સામેલ હિંદુ સંગઠનોએ ઑપઇન્ડિયાને જણાવ્યા અનુસાર, યાત્રા જેવી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં મસ્જિદ નજીક પહોંચી કે તેની ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ અને અમુક લોકોને ઈજા પણ પહોંચી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં