Sunday, April 28, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'આપ'નું નવું તરકટ: એક્ટર શાહબાઝ બાદ હવે કેજરીવાલે એક ઇલેક્ટ્રિકના શોરૂમ માલિક...

    ‘આપ’નું નવું તરકટ: એક્ટર શાહબાઝ બાદ હવે કેજરીવાલે એક ઇલેક્ટ્રિકના શોરૂમ માલિક પાસે કરાવ્યું ‘બેરોજગારી’નું નાટક – Fact-check

    નવા થોરાડામાં સર્વોદય સોસાયટીની શેરી નંબર 2 ખાતે મેઇન રોડના કોર્નર પર મોકાની જગ્યાએ આવેલ આ દુકાન ભરત વાળાની જ છે. સાથે એ પણ જાણવા મળ્યું કે આ દુકાન જે કોર્નર પર છે એ કોર્નરવાળું ઓછામાં ઓછું 100 વારનું ઘર પણ તેનું જ છે.

    - Advertisement -

    ગુજરાતના રાજકોટમાં શનિવારે (3 સપ્ટેમ્બર) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ઘરે ઘરે જઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. આ સાથે જ તેમણે ગુજરાતીઓને લોભાવવા માટે આપેલ અનેક વાયદાઓમાંથી અમુક એવા બેરોજગારી ભથ્થા માટેના, ફ્રી વીજળી માટેના અને મહિલા માટેના ગેરંટી કાર્ડ મીડિયાની હાજરીમાં બનાવ્યા હતા.

    વિડીયોમાં જોઈ શકાય છે એમ અરવિંદ કેજરીવાલ રાજકોટમાં એક પૂર્વ નિર્ધારિત સ્થાને પહોંચે છે જ્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મીડિયાકર્મીઓ હાજર હોય છે. કેજરીવાલ એક ઘરના આંગણામાં પ્રવેશે જ્યાં તે ઘરના પરિવારના લોકો હાજર હોય છે.

    કેજરીવાલ તેમની સાથે વાત કરે છે અને જણાવવા પ્રયત્ન કરે છે કે તેમને કેવો રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ અને સરકારી દવાખાનાઓની કાયાપલટ કરી દીધી, દિલ્હીમાં દરેકનું લાઈટબીલ શૂન્ય આવે છે, વગેરે. પરંતુ આ પહેલા આપણે જુદી જુદી RTI અને સ્થળ તપાસ દ્વારા જાણી જ ચુક્યા છીએ કે એમાંથી મોટાભાગની વાતો ખોટી જ છે.

    - Advertisement -

    બાદમાં કેજરીવાલ ત્યાં હાજર ઘરના મોભી સાથે વાત શરૂ કરે છે જે પોતાનું નામ ભરત કિશોરભાઈ વાળા જણાવે છે. કેજરીવાલ જયારે તેમને પૂછે છે કે ઘરમાં કોઈ બેરોજગાર છે તો તેઓ થોડા ખચકાઈને કહે છે કે તેઓ પોતે જ બેરોજગાર છે. તો તરત જ કેજરીવાલ તેમની જાણકારીઓ નોંધીને ઉભા ઉભા તેમને બેરોજગારી ભથ્થાનુ ગેરંટી કાર્ડ અને ફ્રી વીજળી માટેનું ગેરંટી કાર્ડ બનાવી આપે છે. સાથે જ ઘરની મહિલાઓને મહિલા ગેરંટી કાર્ડ બનાવી આપે છે.

    સોશિયલ મીડિયામાં ઉઠ્યા પ્રશ્નો

    જેવો આ વિડીયો સોશિયલ મીડિયા પાર વાઇરલ થયો એવા તરત પ્રશ્નો ઉઠવા માંડ્યા હતા. આમ આદમી પાર્ટીના આગળના ટ્રેક રેકોર્ડને જોઈને પ્રશ્નો ઉઠવા વ્યાજબી પણ હતા.

    નોંધનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટીએ એક કાર્યક્રમમાં એક્ટર શાહબાઝ ખાન પાસે ગુજરાતને બદનામ કરવા માટે અને કેજરીવાલની વાહ વાહી કરાવવા માટે એક નાટક કરાવ્યું હતું. પાછળથી વાતનો ખુલાસો થતા આમ આદમી પાર્ટીએ નીચાજોણું થયું હતું.

    ગુજરાતના એક સ્થાનિક સંશોષણાત્મક પત્રકાર @vijaygajera એ એક વિડીયો શેર કર્યો જેમાં એક બાજુ કેજરીવાલ આ ‘બેરોજગાર’ ભરત વાળાને બેરોજગારી ભથ્થાનુ ગેરંટી કાર્ડ બનાવીને આપી રહ્યા છે અને બીજી બાજુ એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ બેરોજગાર નહિ પરંતુ એક દુકાનનો માલિક છે.

    ફેસબુક પાર પણ ઉઠ્યા આ વિષયને લઈને પ્રશ્નો

    ફેસબુક પર પણ આ વિષયને લઈને અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જીતેન્દ્ર સિંહ નામના એક વ્યક્તિએ વિડીયો શેયર કરીને લખ્યું હતું કે કેજરીવાલે આ જે વ્યક્તિને બેરોજગારી ભથ્થા માટેનું ગેરંટી કાર્ડ આપ્યું છે એ પોતે એક મોટી ઇલેક્ટ્રિકની દુકાનનો માલિક છે રાજકોટમાં અને વીજળી વિભાગમાં જુદા જુદા સરકારી કોન્ટ્રાકટ પણ લેતો હોય છે.

    ઑપઇન્ડિયાનું ફેક્ટ-ચેક

    સોશિયલ મીડિયા પર આ વિષયને લઈને ખુબ શંકાસ્પદ માહોલ ઉભો થતા ઑપઇન્ડિયાએ આ વિષયનું ફેક્ટ-ચેક કર્યું. આ ફેક્ટ-ચેકમાં અમને જે જાણવા મળી એ હકીકત ખુબ ચોંકાવનારી છે.

    ભરત વાળાની ફેસબુક પ્રોફાઈલ

    સૌપ્રથમ તો અમે આ ‘બેરોજગાર’ ભરત વાળાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ કરી. તેના ફેસબુક આઈડીમાં આ વ્યક્તિ પોતે રાજકોટમાં રહેતો હોવાનું જણાવે છે અને ‘સુપ્રીમ ઇલેક્ટિક્સ’ નો માલિક છે.

    બેરોજગાર ભરત વાળાની દુકાન સુપ્રીમ ઇલેક્ટ્રિકસ

    બાદમાં અમે આ વાતની સત્યતા તપાસવા રાજકોટ પહોંચ્યા. તેણે પોતાના આઈડીમાં દુકાનના નામનો સ્પેલિંગ ખોટો લખેલ હોવાથી અમને થોડી વાર તો લાગી દુકાન શોધવામાં પરંતુ રાજકોટના સ્થાનિક અને વિશ્વસનીય સૂત્રની મદદ લઈને અમે આખરે તેની દુકાન શોધી જ કાઢી. રવિવાર હોવાના કારણે અથવા બપોરે 1 વાગ્યા બાદ પહોંચ્યા હોવાના કારણે અમને દુકાન બંધ મળી હતી. અમે દુકાનનો દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

    મુખ્ય રોડ પર કોર્નર પર મોકાની જગ્યા પર 100વારથી મોટું મકાન જેમાં જ બનાવેલી છે દુકાન

    આસપાસના લોકોને વાત કરતા જાણવા મળ્યું કે નવા થોરાડામાં સર્વોદય સોસાયટીની શેરી નંબર 2 ખાતે મેઇન રોડના કોર્નર પર મોકાની જગ્યાએ આવેલ આ દુકાન ભરત વાળાની જ છે. તથા આ દુકાન અહીંયા 15થી 17 વર્ષથી ચાલી રહી છે. સાથે એ પણ જાણવા મળ્યું કે આ દુકાન જે કોર્નર પર છે એ કોર્નરવાળું ઓછામાં ઓછું 100 વારનું ઘર પણ તેનું જ છે.

    સ્થાનિકોએ એમ પણ જણાવ્યું કે ભરત અન્ય એક વિસ્તારમાં બીજું એક વૈભવી મકાન પણ ધરાવે છે. સાથે જ લોકોએ જણાવ્યું કે ઘણા સમયથી તે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળે છે. અમે ભરત વાળાને કોલ કરીને એમને મળવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેમો મોબાઈલ સતત બંધ આવી રહ્યો હતો.

    આમ સ્થળ તપાસ અને સ્થાનિકો સાથેની વાતને આધારે ઑપઇન્ડિયા એ નક્કી કરી શક્યું કે આ ભરત વાળા કોઈ જરૂરિયાતમંદ ‘બેરોજગાર’ નથી પરંતુ એક મોટી ઇલેક્સ્ટ્રીકની દુકાનનો માલિક છે. ઉપરાંત અમારા સૂત્રોએ એ પણ જણાવ્યું કે કેજરીવાલનો આ પ્રવાસ પહેલાથી પ્લાન્ડ હતો અને કોને મળવું અને શું બોલવું એ બધું પૂર્વ આયોજિત હતું. આમ પહેલી નજરે એ દેખાઈ આવે છે કે આ આખો ઘટનાક્રમ આમ આદમી પાર્ટી અને ભરત વાળાએ એકબીજાની સાથે મળીને ઉપજાવી કાઢેલો છે.

    અંતે ઑપઇન્ડિયાના ફેક્ટ-ચેકમાં સાબિત થાય છે કે ભરત વાળા બેરોજગાર નથી અને તેણે પોતાને મીડિયા સામે ખોટી રીતે પ્રદર્શિત કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કન્વીનરનો આ પ્રવાસ એકદમ પૂર્વઆયોજિત હતો અને તેમણે સ્ક્રિપ્ટ મુજબ નક્કી કરેલ લોકોને જ મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં